Showing posts with label મહાભારત. Show all posts
Showing posts with label મહાભારત. Show all posts

Tuesday, September 29, 2015

છપ્પનવખારી - કૃષ્ણ નામના આમ આદમીને તમે ઓળખો છો?

Sandesh - Ardh Saptahik Purti - 28 August 2013

છપ્પનવખારી : તેજસ વૈદ્ય
કૃષ્ણને લોકોએ ઇશ્વર બનાવી દીધા અને મંદિરો બાંધ્યાં,પણ કૃષ્ણ નામના 'માણસ'ને જોવાનું ચૂકી ગયા. કૃષ્ણની સિદ્ધિ લોકોએ પોંખી પણ તેનો સંઘર્ષ લોકો માટે અછૂત રહ્યો. જેના લલાટે જન્મતાંવેંત લડવાનું લખાયું હોયજે પ્રયાસો છતાં મહાભારતનું યુદ્ધ ન અટકાવી શક્યા હોય અને પોતાની નજર સામે સમગ્ર વંશને નાશ પામતો જોયો હોય તેનું દર્દ કેટલું અગાધ હશે!
 
કાર્ટૂનથી લઇને કથાસપ્તાહ સુધી છવાયેલું કિરદાર એટલે કૃષ્ણ. કૃષ્ણ એવું લાઇવ વ્યક્તિત્વ છે કે સમાજજીવનની કોઇ પણ બાબતમાં એનો સંદર્ભ આજેય ખૂબ પ્રસ્તુત છે. કૃષ્ણને આપણે પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ પણ એક મોટી વિચિત્રતા એ છે કે કૃષ્ણને આપણે ટુકડાઓમાં વિભાજિત કરી દીધો છે. કોઇ બાળકૃષ્ણને જ પૂજે છે તો કોઇ લીલા પુરુષને જ પૂજે છે. કોઇ માત્ર ગીતાના કૃષ્ણને જ ભજે છેતો કોઇ વળી કૃષ્ણના અન્ય કોઇ સ્વરૃપને ભજે છે. આ બધામાં ઉત્તરાર્ધના કૃષ્ણને એટલે કે મહાભારતના યુદ્ધ પછીના કૃષ્ણને કોઇ પૂજતું નથી. ઉત્તરાર્ધના કૃષ્ણ લોકોને મંજૂર નથી.
ઘરમાં લટકાવેલા કેલેન્ડરથી માંડીને ટીવીની સિરિયલોમાં કૃષ્ણ હંમેશાં હસતા જ જોવા મળે છે. કૃષ્ણ હંમેશાં હસતાં હતા અને હસતાં જ રહ્યા છે પણ...મહાભારતનું સૌથી કરુણ કિરદાર જો કોઇ હોય તો એ કૃષ્ણ હતું. 'દેવ' કૃષ્ણને તો લોકોએ ખૂબ પૂજ્યા પણ 'માનવ' કૃષ્ણને જોવાનું લોકો ચૂકી ગયા. એમ પણ કહી શકીએ કે કૃષ્ણ નામના એક 'માણસ'ને આપણે જોવા જ નથી માગતા.
કૃષ્ણ માટે બધા સરખા હતા. ગાય પણ સરખી ને ગોવાળ પણ સરખા. કૃષ્ણ માટે કોઇ ભેદ હતા જ નહીં. દુર્યોધન ખોટો હતો એ છતાંય તે જો પાંડવોને પાંચ ગામ આપી દેવા તૈયાર હોત તો કૃષ્ણ તેનો ન્યાય તોળવા ન બેસત, એ હદે કૃષ્ણ 'અભેદ ર્મૂિત' હતા પણ લોકોએ કૃષ્ણના ટુકડા કરીને મનગમતા ટુકડા પસંદ કરીને એની ર્મૂિત બનાવીને પૂજ્યા. જન્મ્યા ત્યારથી મૃત્યુ પામ્યા ત્યાં સુધીના અખંડ કૃષ્ણને કોઇએ નથી ભજ્યા. પરિણામે કૃષ્ણના જીવનનાં દુઃખો તેમની યુગપુરુષની છબીમાંથી બાકાત રહી ગયા.
જે માણસનો જન્મ જ જેલમાં થયો હોય, તે ન જન્મે તે માટે તેના નામે તેના ભાઈબહેનની હત્યા કરવામાં આવી હોય, બાર વર્ષે તેને ખબર પડે કે તેની અસલી માતા જશોદા નહીં પણ દેવકી છે. જેનો સગો મામો તેનો લોહીતરસ્યો હોય. બાળપણથી મૃત્યુ સુધી જેને યુદ્ધો લડવાં પડયાં હોય. જેના તમામ પ્રયાસો છતાં મહાભારતનું યુદ્ધ અટકી ન શક્યું હોયજેને નજર સામે જ પોતાનો વંશ નાશ પામતો જોવાનો વારો આવ્યો હોય અને જેનું મૃત્યુ સાવ એકાકી જંગલમાં લખાયેલું હોય તેની કરૃણતા કેટલી હશે!
મહાભારતમાં કૃષ્ણ તેજપુંજ જ નહોતા પણ કરુણાનું શિખર હતા. કૃષ્ણે બધું છોડયું જ છે. ત્યાગ તેમના જીવનનો સ્થાયીભાવ હતો. કૃષ્ણ ગોકુળથી મથુરામથુરાથી દ્વારકા ગયા. તેમણે એક વખત જે સ્થળ છોડયું ત્યાં પાછા નથી ગયા. આ ત્યાગ કૃષ્ણને ઊંચા ટોડલે બેસાડે છે. કૃષ્ણે દરેક સ્થળ છોડયું તો ખરું પણ મનથી એ સ્થળોથી ક્યારેય અલગ થઇ શક્યા નહોતા. તેમણે એ દરેક સ્થળ છોડયાનો ભાર હૈયામાં ધરબી રાખ્યો હતો. ગોકુળમાં ગોપીઓની ગોરસ ભરેલી મટકી ફોડનાર ગોવિંદાએ ગોકુળ છોડયા પછી ગોરસ ખાધું નહોતું. મુસ્કાન જેમ કૃષ્ણના ચહેરાનું આભૂષણ હતું એમ મૌન પણ કૃષ્ણના વ્યક્તિત્વની એક આભા હતી. એ એવી ગુપ્ત આભા હતી કે જેના પર બહુ ઓછા લોકોની નજર ગઇ હતી. જે ગોકુળ અને મથુરા આજે કૃષ્ણથી ઓળખાય છેએ તેણે પળનાય વિલંબ વગર ભારે હૈયે છોડી દીધાં હતાં અને એ પણ ત્યાંના લોકો માટે થઇને.
ગોકુળ છોડયુંમથુરા છોડયું
કૃષ્ણ ગોકુળમાં હતા અને મથુરામાં વસતા તેના મામા કંસના જીવનનું એકમાત્ર લક્ષ્ય કૃષ્ણનો વધ હતું. કૃષ્ણને ટાર્ગેટ કરવા માટે કંસે મથુરામાં વિષ્ણુયાગ યજ્ઞાનું નિમિત્ત એટલે કે છટકું ગોઠવ્યું હતું. કૃષ્ણ મથુરા ન જાય તો એનો કોપ સમગ્ર ગોકુળ પર વરસે. કંસના કોપનો સામનો કરવાનું સામર્થ્ય ગોકુળ નગરી પાસે નહોતું. તેથી કંસે અક્રૂરના માધ્યમથી જ્યારે વિષ્ણુયાગ યજ્ઞા માટે કૃષ્ણને નોતર્યા ત્યારે ગોકુળ ગામ એવું ઇચ્છતું હતું કે કૃષ્ણ મથુરા જાય. જે ગોકુળના લોકોની સુખાકારી માટે કૃષ્ણે કાળિયા નાગનું દમન કર્યું. જે ગોકુળ માટે કૃષ્ણે ઇન્દ્ર સામે બાંયો ચઢાવી હતી એ કૃષ્ણને ગોકુળ છોડીને મથુરા જતાં કોઇ ગોકુળવાસીએ કેમ ન રોક્યાકૃષ્ણ જાણતા હતા કે કંસ વિષ્ણુયાગના ઓઠા હેઠળ કોની આહુતિ હોમવા માગે છે. એ છતાં કૃષ્ણે ચૂપચાપ બળરામ સાથે ગોકુળ મૂકી દીધું હતું. કૃષ્ણના આ મૌનને કેટલા ઓળખી શક્યા છે?
કૃષ્ણે મથુરા જઇને કંસનું રામનામ સત્ય કર્યા પછી મથુરા જ તેમનું જીવન થઇ ગયું હતું. કંસે જેલમાં પૂરી રાખેલા યાદવોને તેમણે છોડાવ્યા પછી જીવન ગોઠવાવા માંડયું હતું. કૃષ્ણને એમ કે હવે જીવનમાં સહેજ શાંતિ આવશેપણ એમ ન થયું. કંસના વધથી છંછેડાયેલો તેનો સંબંધી જરાસંધ કૃષ્ણ માટે લોહીતરસ્યો થયો હતો. મથુરાવાસીઓને મનમાં એવી આશંકા ઘર કરી ગઇ કે જો કૃષ્ણ મથુરામાં રહેશે તો જરાસંધ આપણું ગામ ખેદાનમેદાન કરી નાખશે અને યાદવ વંશનો નાશ થઇ જશે. વિકદ્રુ જેવા વરિષ્ઠ યાદવે સભામાં કૃષ્ણને કહ્યું કે જરાસંધ અને કાળયવન મથુરા પર ટાંપીને બેઠા છે. મથુરામાં યાદવોનો વંશ નાશ પામવાની ધરી પર ઊભો છે. તું એકલો જરાસંધ સામે લડવા સક્ષમ છે. કૃષ્ણને વિકદ્રુનો એ મોઘમ ઈશારો પામતાં વાર ન લાગી કે તેના કહેવાનો મતલબ એ છે કે કૃષ્ણ મથુરા છોડે અને જરાસંધ સાથે પોતે જે ફોડવાનું હોય તે ફોડી લે. કૃષ્ણે જેમ ગોકુળ છોડયું એમ જ વિરક્તી ઓઢીને મથુરાય છોડયું. જે યાદવોને કૃષ્ણે કંસની કેદમાંથી છોડાવ્યા હતા એ જ યાદવોએ કૃષ્ણને મથુરા છોડવાનું કહ્યું હતું.
કહેવાય છે કે મહાભારતના યુદ્ધ પછી કૃષ્ણ ૩૬ વર્ષ જીવ્યા હતા. મહાભારતના યુદ્ધ સુધી જે વ્યક્તિની આભા સૂર્યનાં કિરણોની જેમ ઠેર ઠેર પ્રસરેલી હતી એ જ કૃષ્ણ યુદ્ધ પછી તેમના વ્યક્તિત્વથી વિપરિત નજરે પડે છે. જાણે ગાંધારીના શાપના ચરિતાર્થ થવાની રાહ જોવા માટે જીવતા હોય એવા વર્તાય છે. મહાભારતનું યુદ્ધ તો કૃષ્ણ જીતી ગયા હતાપણ યુદ્ધ બાદ કૃષ્ણ અંદરથી પરાસ્ત થઇ ગયા હતા. યુદ્ધ બાદ દ્વારકામાં યાદવો સાથે સ્થાયી થયા પછી એવા કેટલાય પાયાના પ્રસંગો છે જેમાં કૃષ્ણ યોગેશ્વર નહીં પણ લાચાર દેખાય છે.
સ્યમંતક મણિ અને સવાલો
સત્તાની સાથે માણસની જવાબદારી વધી જાય છે. જવાબદારી વધી જાય ત્યારે નાની નાની ભૂલોને પણ લોકો બિલોરી કાચ લઇને જોતા હોય છે. સમય માણસની કેવી ફજેતી કરે છે એનો વધુ એક કિસ્સો દ્વારકામાં સ્યમંતક મણિ ગાયબ થાય છે ત્યારે કૃષ્ણના જીવનમાં જોવા મળે છે. કૃષ્ણનાં પટરાણી સત્યભામાના પિતા અને યાદવ સત્રાજિતે સૂર્યની કૃપાથી સ્યમંતક મણિ પ્રાપ્ત કર્યો હતો. સ્યમંતક મણિ કલ્પવૃક્ષ જેવો હતો અને એની પાસેથી અણનમ ધન પ્રાપ્ત થતું હતું. કૃષ્ણનો મત હતો કે સ્યમંતક માત્ર સત્રાજિત પાસે ન રહેતાં સમગ્ર યાદવ કુળ પાસે રહેવો જોઇએકારણ કે મહેનત વિના પ્રાપ્પ થતી સંપત્તિ પર વ્યક્તિનો નહીં,સમાજનો હક હોવો જોઇએ.
પણ કૃષ્ણની આ વાતનો સત્રાજિતે સ્વીકાર કર્યો ન હતો. અક્રૂરપ્રસેનજિત જેવા યાદવોએ પણ સત્રાજિતને જ છૂપો ટેકો આપ્યો હતો. જે સમાજ કે યાદવ કુળના ભલા માટે કૃષ્ણ વાત કરતા હોય અને એના વિચારમાત્રથી જ કુળના સભ્યો બે ભાગમાં વહેંચાઇ જતા હોય તો બહેતર છે કે એ વિચાર પડતો મૂકવો એમ માનીને કૃષ્ણે એ વાત પર જ પડદો પાડી દીધો હતો.
 સ્યમંતક મણિ કૃષ્ણના લલાટે અપજશની બીજી ઘણી રેખા ખેંચવાનો હતો. થયું એવું કે સત્રાજિતનું મૃત્યુ થયું અને સ્યમંતક મણિ ચોરાઇ ગયો. સત્યભામા ચિંતિત હતાં. સ્યમંતક માટે જ કોઇએ સત્રાજિતનું કાસળ કાઢયું હશે એવો ગણગણાટ દ્વારકામાં શરૃ થયો હતો. કૃષ્ણે મણિ યાદવ કુળને સોંપવાની જે વાત સત્રાજિતને કહી હતી એ પણ ચકડોળે ચઢી હતી. સત્યભામાને આશ્ચર્ય એ વાતનું હતું કે સ્વયં કૃષ્ણથી ચોર પકડાતો નથી! યાદવોની પેઠે એ પણ શંકા સેવે છે કે તેના પિતાનો મણિ કૃષ્ણ પાસે તો નથીને! પ્રસેનજિત પાસે મણિ હોવાની આશંકાએ કૃષ્ણ અને બળરામ તેની પાસે જાય છે ત્યારે એ ભાગવાની તૈયારી કરે છે. રથ પર સવાર કૃષ્ણે અને બળરામને કહ્યું, "મોટા ભાઇ, તમે થોભો હું એકલો તેની પાસે જાઉં છું, કારણ કે ધર્મ કહે છે કે તે એકલો છે અને આપણે બંને છીએ."કૃષ્ણ જ્યારે ભાગી રહેલા પ્રસેનજિત પાસે પહોંચે છે ત્યારે તેની લાશ મળે છે. મણિ વગર ખાલી હાથે આવેલા કૃષ્ણને જોઇને બળરામના મનમાં પણ કૃષ્ણ પ્રત્યે શંકા જાગે છે. બળરામ દ્વારકા છોડી દે છે. જે દ્વારકાનો નાથ કહેવાતો હતો એની પડખે પત્ની અને ભાઇ પણ ઊભા નથી રહેતાં.
કૃષ્ણને વગોવનાર સ્યમંતક મણિ અક્રૂર પાસે હતો. કૃષ્ણ તેને પકડી પાડે છે. યાદવસભામાં કૃષ્ણ મણિ રજૂ કરે છે, અક્રૂરને નહીં! ચોર તરીકે કૃષ્ણ અક્રૂરનું નામ જાહેર કરતા નથી, કારણ કે વૃદ્ધ અક્રૂરને ભરી સભામાં હાંસીપાત્ર બનાવીને કૃષ્ણ તેનો બુઢાપો લજવવા માગતા નથી. કૃષ્ણ માનતા હતા કે અક્રૂર ગમે એવા હતા તોયે કૃષ્ણ તેમની જ આંગળી ઝાલીને ગોકુળથી મથુરા આવ્યા હતા.
પોતાના પર પહાડ તૂટયા હોય ત્યારે પણ દિલમાંથી ઉદારતા ઠાલવે તે કૃષ્ણ. દુઃખની વાત એ છે કે સ્યમંતક મણિ પ્રસંગે કૃષ્ણના દુઃખના સાક્ષી અને સધિયારો પણ માત્ર કૃષ્ણ હતા.
કસોટી પર કૃષ્ણ
મહાભારતના યુદ્ધમાં માત્ર કૌરવોની જ હાર નહોતી થઇ પણ યુદ્ધ અટકાવવા માટેના કૃષ્ણના પ્રયાસોની પણ હાર થઇ હતી. કૃષ્ણે મહાભારતના યુદ્ધમાં હથિયાર નહોતાં લીધાંકારણ કે તે યુદ્ધ ઇચ્છતા નહોતા. કૃષ્ણે તમામ પ્રયાસ કર્યા છતાં છેવટે યુદ્ધ ગળા લગી આવી પહોંચ્યું ત્યારે કૃષ્ણે જાહેર કર્યું કે તે હથિયાર ધારણ નહીં કરે. સૂક્ષ્મ રીતે જોઇએ તો આ વાતમાં કૃષ્ણની લાચારી પણ ઝળકે છે. અલબત્તયુદ્ધમાં કૃષ્ણનો કોઇ રોલ ન હતો એવું તો કોઇ કહી શકે નહીં જ. તેમનો જ દોરીસંચાર હતોપણ જે માણસે યુદ્ધ અટકાવવા માટેના તમામ પ્રયાસ કર્યા હોય અને છતાંય યુદ્ધ આવી ચઢે ત્યારે માણસ કરી કરીને શું કરી શકે હથિયાર ન ઉઠાવવું એ કૃષ્ણનો અનિવાર્ય થઇ પડેલા યુદ્ધ સામેનો 'અસહકાર' હતો.
ખરી કસોટી તો ત્યારે આવે છે જ્યારે યુદ્ધ પૂરું થયા પછી મહાસંહારના ખબર આપવા માટે કૃષ્ણ ગાંધારી અને ધૃતરાષ્ટ્ર પાસે જાય છે. યુદ્ધમાં પણ સ્થિર રહી શકતા યુધિષ્ઠિર પણ કહી દે છે કે યુદ્ધમાં કોણ ખુવાર થયું છે એ સમાચાર આપવા માટે હું માતા ગાંધારી અને ધૃતરાષ્ટ્ર પાસે નહીં જાઉં ત્યારે એ જવાબદારી કૃષ્ણના શિરે આવે છે. જે માણસે યુદ્ધમાં હથિયાર નથી ઉઠાવ્યાં તેણે મોતના સમાચાર આપવા જવું પડે છે.
મહાભારતના યુદ્ધ કરતાંય કપરી ક્ષણ કૃષ્ણના જીવનમાં ત્યારે આવે છે જ્યારે એ ગાંધારીને મળે છે. યુગોનો ભેંકાર હૈયે સંઘરીને બેઠેલી ગાંધારી કૃષ્ણને કહે છે, "ક્ષત્રિયો માટે યુદ્ધની કોઇ નવાઇ નથીપણ એક ભાઇ સો ભાઇને પરલોક પહોંચાડી દે. ભાઇ ઊઠીને ભાઇના જ રક્તનું પાન કરે એવું આર્ય પરંપરામાં ક્યારેય બન્યું નથી. તમે ઉપસ્થિત હોવા છતાં આ અધર્મ કેમ થવા દીધો?આવા ઘણા સણસણતા સવાલ ગાંધારી કૃષ્ણને પૂછે છે.
યુદ્ધ પૂરું થયું હોવા છતાં ગાંધારી એવું સ્વીકારી શકતાં નહોતાં કે કૃષ્ણ હોવા છતાં આ મહાસંહાર થયો. ગાંધારી કૃષ્ણને શાપ આપે છે, "કૃષ્ણ, મેં પુત્રોને જન્મ આપ્યો હતો. મેદાનમાં ગીધ જે હાડકાં ઠોલે છે એને નહીં. તમે કેમ આ અનર્થ થવા દીધો. જો મારી સેવામાં બળ હોય અને મારા તપમાં ધર્મ હોય તો હું શાપ આપું છું કે તમારો આખો વંશ પણ આ રીતે જ હડકાયા કૂતરાની પેઠે અંદરોઅંદર એકબીજાને ફાડી ખાશે. તમે પ્રભુ છો પણ પશુની જેમ કમોતે મરશો. તમે પ્રભુપણાનો દુરુપયોગ કર્યો છે."
કૃષ્ણ કોઇ આશીર્વાદ ઝીલતા હોય એમ ગાંધારીનો શાપ ગ્રહણ કરી લે છેઅને કહે છે. "માઅઢાર દિવસોના આ કાળનાં કાળજાં ફાડી નાખતા સંગ્રામમાં હું જ મર્યો છુંકરોડો વખત. જેટલી વખત જે પણ સૈનિક મર્યો એ હું જ હતોકારણ હું જો જીવન છું તો મરણ પણ હું જ છું. તમારો શાપ સ્વીકાર્ય છે. "
ગાંધારી બ્રહ્માંડવેધક પોક મૂકતાં કહે છે. "આ શું કર્યું મેં પ્રભુ. મને માફ કરો. તમે આ શાપ વિફળ કરી દો." પણ કૃષ્ણ અનુગ્રહની જેમ શાપ પણ સ્વીકાર કરે છે. ગાંધારીના શાપ પછી કૃષ્ણનું જીવન જાણે યાદવાસ્થળીની ઘડી ગણતું હોય એ રીતે વીત્યું હતું.
મહાભારતમાં ગાંધારી તપોબળવાળી એવી પવિત્ર મહિલા હતી જે કૃષ્ણને શાપ આપી શકતી હતી. તેણે ધર્મ ખાતર સ્વેચ્છાએ પોતાના સો પુત્રોના ચહેરા જોયા નહોતા. વિશ્વની કોઇ માતા એવી નહીં હોય કે તેના સંતાનને જોયા વગર રહી શકે. કૃષ્ણે તો બધું સ્વીકાર્યું હતુંપછી એ જરાસંધની જેલમાંથી છૂટેલી દાસીઓ હોય કે ગાંધારીનો શાપ. ગાંધારીના શાપ પછી કૃષ્ણ હસ્તિનાપુરથી દ્વારકા જઇને વસે છે. મહાભારતના યુદ્ધ પછી અને ખાસ તો ગાંધારીના શાપ પછી કૃષ્ણની આભા ધીમે ધીમે ઓગળી રહી હતી. કૃષ્ણના જીવનનો અત્યંત ભીષણ પ્રસંગ યાદવાસ્થળી હતો. મહાભારના યુદ્ધ બાદ ૩૬ વર્ષે યાદવાસ્થળી થઇ હતી એવું કહેવાય છે. આ દરમ્યાન ક્યારેય કૃષ્ણ હસ્તિનાપુર કે અન્ય ક્યાંય ગયા નથી. યુદ્ધ પછીનાં વર્ષો કૃષ્ણ માટે અત્યંત દુઃખના દિવસો હતા. જેના નામના મંદિરિયાં બંધાય છે એ કૃષ્ણ મહાભારતના યુદ્ધ પછીના કૃષ્ણ નથી. જેને લોકો યોગેશ્વર તરીકે ઓળખતા હોય તેનાં તમામ સગાંસંબંધીનાં મોત અંદરોઅંદર કાગડાકૂતરાની પેઠે પોતાની આંખ સામે જ થાય એનાથી મોટી કરુણતા બીજી કઇ હોઇ શકે? આ સંજોગો પચાવવા કૃષ્ણ કયું કાળજું લાવ્યા હશે? સિદ્ધિનાં શિખરો પર પહોંચેલા કૃષ્ણે પોતાના કુળના પતનનું પાતાળ પણ જોયું. કૃષ્ણ જન્મથી મૃત્યુ સુધી સુખ અને સંજોગોની વચ્ચે દેવ કરતાં માણસ બનીને વધુ જીવ્યા હતા. સુખના દિવસોમાં તે આનંદના હિલોળે નાચ્યા અને દુઃખના દિવસોમાં તેણે હૈયે મણ મણના ભાર વેઠયાપણ કૃષ્ણ ક્યારેય વિચલિત થયા નથી. ઘટનાના મુખ્ય પાત્ર તરીકે સક્રિય રહીને પણ ઘટનાના દર્શક જેવી અલિપ્તતા જાળવી રાખવાની આ કળા કદાચ કૃષ્ણ પાસે જ હતી.      
મહાભારતના યુદ્ધમાં માત્ર કૌરવોની જ હાર નહોતી થઇ પણ યુદ્ધ અટકાવવા માટેના કૃષ્ણના પ્રયાસોની પણ હાર થઇ હતી. કૃષ્ણે મહાભારતના યુદ્ધમાં હથિયાર નહોતાં લીધાં, કારણ કે તે યુદ્ધ ઇચ્છતા નહોતા
અંધાયુગ
ગાંધારી જ્યારે કૃષ્ણને શાપ આપે છે એે પછી જાણે સમગ્ર કાળ પર ગ્રહણ લાગ્યું હોય એવું હૃદયવિદારક વર્ણન ધર્મવીર ભારતીના મહાન હિન્દી નાટક 'અંધાયુગ'માં છે.
સ્વીકાર કીયા યહ શાપ કૃષ્ણને જીસ ક્ષણ સે
ઉસ ક્ષણ સે જ્યોતિ સિતારોં કી પડ ગઇ મંદ
યહ શાપ સુના સબને પર ભય કે મારે
માતા ગાંધારી સે કુછ નહીં કહા
પર યુગ સંધ્યા કી કલુષિત છાયા - જૈસા
યહ શાપ સભી કે મન પર ટંગા
 
વીર કર્ણ સામે લાચાર કૃષ્ણ
કૃષ્ણ જાણતા હતા કે જ્યાં સુધી કૌરવ પક્ષે ભીષ્મ અને કર્ણ છે ત્યાં સુધી કૌરવને હરાવી શકાય નહીં. તેથી કૃષ્ણ કર્ણ પાસે એક એવો પ્રસ્તાવ મૂકે છે જેમાં કૃષ્ણની પીછેહઠ નજરે પડે છે. કૃષ્ણ કર્ણને કહે છે કે તું સુતપુત્ર નહીં, કુંતીપુત્ર છે. પાંચેય પાંડવોમાં તું સૌથી મોટો છે. જો તું પાંડવપક્ષે રહીને લડીશ તો દ્રૌપદીનું પતિત્વ ભોગવીશ.
દ્રૌપદીનું રૃપ ભલભલાને ભ્રમિત કરી દે એવું આકર્ષક હતું તેથી કૃષ્ણે એ દાવ પણ અજમાવી જોયો કે જો આ લાલચે પણ કર્ણ કદાચ પાંડવપક્ષે આવી જાય. કર્ણની વીરતા સામે કૃષ્ણની આ મોટી લાચારી હતી. કર્ણ જો હા પાડી દેત તો તેણે દ્રૌપદીનો દ્રોહ કર્યો જ કહેવાય એવું જાણતા હોવા છતાં પણ કૃષ્ણ કર્ણને આ પ્રસ્તાવ મૂકે છે. કૃષ્ણની આ કેટલી મોટી વેદના હતી!
 
ભીષ્મ અને કૃષ્ણની રસપ્રદ વાત

કૃષ્ણ અને ભીષ્મને એકબીજા પ્રત્યે ભારોભાર આદર હતો. કૃષ્ણ જ્યારે ધ્યાન ધરતા ત્યારે ભીષ્મને યાદ કરતા હતા. આના પરથી ભીષ્મના વ્યક્તિત્વની ઊંચાઇ માલૂમ પડે છે. કૃષ્ણે જ્યારે કહ્યું કે હું મહાભારતના યુદ્ધમાં હથિયાર નહીં ઉઠાવું ત્યારે ભીષ્મે કહ્યું હતું કે મારૃં વચન છે કે હું કૃષ્ણના હાથમાં હથિયાર લેવડાવીને રહીશ. એ પછી યુદ્ધમાં બે વખત કૃષ્ણ ભીષ્મને મારવા દોડે છે. એક વખત ચાબૂક લઇને અને બીજી વખત રથનું પૈડું લઇને. બંને વખત અર્જુન કૃષ્ણને રોકી દે છે. ભીષ્મ કૃષ્ણના હાથે મરવામાં ગૌરવ માનતા હતા. ભીષ્મ યુદ્ધમાં પોતાના મૃત્યુનો ઉપાય પણ દુશ્મનને બતાવી દે છે. અર્જુન શિખંડીને આડો રાખીને બાણ મારે છે અને ભીષ્મ ઢળી પડે છે. જો સ્ત્રી સામે હથિયાર ઉઠાવવાની ભીષ્મની પ્રતિજ્ઞાા ન હોત તો ભીષ્મને મારવા ખૂબ મૂશ્કેલ હતા અને જ્યાં સુધી ભીષ્મ કૌરવોની પડખે હતા ત્યાં સુધી કૌરવોને હરાવવા મૂશ્કેલ નહીં નામુમકિન હતા.

Link
http://www.sandesh.com/article.aspx?newsid=1233736

છપ્પનવખારી - ય તો ધર્મસ્તતો જય : ગાંધારી

Sandesh - Ardh Saptahik Purti - 04 March 2015
છપ્પનવખારી - તેજસ વૈદ્ય
મહાભારતનો ખરો ક્લાઇમેક્સ ગાંધારીનો શાપ છે. મહાભારત વાંચવાની મજા એ છે કે એમાં ઈશ્વર પણ દોષમુક્ત નથી. યોગેશ્વરને પણ શાપ આપી શકે એવા સમર્થ પાત્ર એમાં છે. મહાભારત દેવોની કથા કરતાં માણસનાં છળ, કપટ, કુત્સિતતા, મત્સર, તેજોદ્વેષ, રાજદ્વારિતા,પ્રતિશોધની કથા છે અને એ બધાંમાંથી ચળાઈને આવેલા સુવાંગ અધ્યાત્મની કથા છે. રવિવારે મહિલા દિન છે એ નિમિત્તે ગાંધારીને યાદ કરીએ


ગાંધારી જગતની એકમાત્ર એવી સ્ત્રી હતી જેણે સ્વેચ્છાએ પોતાના સો પુત્રોના ચહેરા નહોતા જોયા. એ સો પુત્રોને મરતા જોયા હતા. ગાંધારી મહાભારતની સૌથી તેજસ્વી મહિલા હતી એવું સહજતાથી કહી શકાય એમ છે. જે સ્ત્રી કૃષ્ણ જેવા યોગેશ્વરને શાપ આપી શકે અને એ છતાં નિષ્કલંક રહી શકે એ સ્ત્રી ર્નિિવવાદપણે સૌથી તેજસ્વી જ હોવાની.
મહાભારતમાં સ્ત્રીઓ વૈચારિક રીતે ખાસ્સી મોડર્ન એટલે કે પરિપક્વ છે. પુરુષોને અતિક્રમે એટલી સ્પષ્ટતા ધરાવે છે. રામાયણનાં કિરદારો બધાં આદર્શ છે. તેમને સ્પર્શી શકાતાં નથી. મહાભારતની મજા એ છે કે એમાં કૃષ્ણ દેવ થઈને પણ છળ આચરે છે. યુધિષ્ઠિર ધર્મરાજ હોવા છતાં તેને જુગારનું વ્યસન છે. ભીષ્મને ધર્મ શું છે એ ખબર છે, પણ એ ઊભા તો કૌરવોને પક્ષે જ રહે છે. ગાંધારી મહાભારતનું સૌથી વિલક્ષણ અને પવિત્ર પાત્ર છે. ગાંધારી કૌરવોના પક્ષે છે અને ધર્મને ટટ્ટાર વળગેલી છે. એના જેવું તેજબળ આર્યાવર્તની કોઈ મહિલામાં નથી. મહાભારતમાં મહાન પાત્રોની પણ માનવસહજ મર્યાદાઓ છે. રામાયણમાં વિભીષણથી માંડીને હનુમાન સુધીનાં પાત્રો આદર્શની ઊંચાઈ પર બેઠેલાં છે. મહાભારત દ્વંદ્ધ અને વિરોધાભાસનું કાવ્ય છે.
ધર્મ શું છે એ મહાભારતમાં ચાર જ જણા સમજતા હતા. કૃષ્ણ, વિદુર, યુધિષ્ઠિર અને ગાંધારી. કૃષ્ણ અને યુધિષ્ઠિર ધર્મમાંથી ચલિત થયા હોય એવાં દૃષ્ટાંત મળે છે, પણ ગાંધારીએ કૌરવપક્ષે રહીને પણ ધર્મની બહાર એક પગલું નહોતું મૂક્યું.
મહાભારતમાં ગાંધારી અને કુંતી બે એવાં પાત્રો છે જે લગ્ન અગાઉ પુત્રપ્રાપ્તિનાં વરદાન પામી ચૂકેલાં છે. એક વખત વેદવ્યાસ ફરતાં ફરતાં ગાંધારી પાસે આવે છે. સેવા કરીને ગાંધારી તેમને ખુશ કરી દે છે. તેઓ વરદાન માગવાનું કહે છે ત્યારે ગાંધારી કહે છે કે મારા પતિ જેવા સો પુત્ર મને થાય. એ વખતે ગાંધારીને થોડી ખબર હતી કે તેનાં લગ્ન ધૃતરાષ્ટ્ર સાથે થશે.
પુરુષ કરોડોપતિ હોય તોપણ જો અંધ હોય તો કન્યા એને પરણવા માટે રાજી ન થાય એ દેખીતી વાત છે. છતાં પણ ગેઇમ એ થઈ કે રાજકુમારી ગાંધારીનાં લગ્ન ધૃતરાષ્ટ્ર સાથે થયાં. એ વખતે રાજકુમારીઓનો સ્વયંવર યોજાય એવી પરંપરા હતી, પણ ગાંધારીનો સ્વયંવર યોજાયો નથી. એને વર-પસંદગીનો અવકાશ મળ્યો નથી. ગાંધારી જેવી રાજકુમારીને એક અંધ પુરુષ સાથે પરણાવવા માટે હા પાડવા માટે ગાંધારીના પિતા મહારાજ સુબલની કાં તો ગણતરી હતી કાં તો મજબૂરી. ધૃતરાષ્ટ્ર માટે માગંુ ભીષ્મ લઈનેે આવે છે. ભીષ્મ યોદ્ધા હતા. સ્વયંવરમાંથી તેઓ અંબા, અંબિકા અને અંબાલિકાનું અપહરણ કરી લાવ્યા હતા, તેથી તેમને ના પાડવામાં આવે તો તેઓ કદાચ ગાંધારીનું અપહરણ પણ કરી શકે. કારણ નંબર બે, એ વખતે આર્યાવર્તમાં હસ્તિનાપુર જેવું શક્તિશાળી અને સમૃદ્ધ રાજ્ય એકેય નહોતું. જેના સુપ્રીમો ભીષ્મ હતા, તેથી સુબલરાજને એ લાલચ હોઈ શકે કે એક સમર્થ ઘરાણા સાથે સંબંધ બંધાય છે. તેમની દીકરી સૌથી સશક્ત રાજ્યની રાણી બનશે એવું પણ તેમણે વિચાર્યું હોય!
ગાંધારીનો ન સ્વયંવર થયો કે ન તો એની મરજી પૂછવામાં આવી કે તારાં લગ્ન ધૃતરાષ્ટ્ર સાથે કરવાનું આયોજન છે. તારી ઇચ્છા શું છે? સૌથી મોટો વજ્રાઘાત એ છે કે રાજકુમારી ગાંધારીને એ પણ જણાવવામાં નથી આવતું કે તું જેને પરણી રહી છે એ પુરુષ અંધ છે. ગાંધારી પરણીને છેક હસ્તિનાપુર આવે છે એ પછી માલૂમ પડે છે કે તેનો વર તો અંધ છે. જેને સહારે જીવન વિતાવવાનું હોય એનો જ સહારો બનવું પડે એ સ્થિતિ બડી વિષમ છે. એ ઘટના જ દુર્ઘટના છે.
ગાંધારી એ બધું ગળી જાય છે. પતિ સાથે કમ સે કમ શારીરિક ભિન્નતા દૂર થાય એ માટે આંખે પાટા બાંધી લે છે. આંખે પાટા સમાધાનનો સૌથી મોટો ઘૂંટડો હતો. ગાંધારી અને ધૃતરાષ્ટ્ર એ ઐતિહાસિક કજોડું હતું. માત્ર શારીરિક ભેદની જ વાત નથી. એ તો એક હદ પછી સ્થૂળ બાબત છે. ધૃતરાષ્ટ્ર માનસિક રીતે પણ અંધ હતા. દુર્યોધન જન્મ્યો ત્યારે તેના સંકેત નબળા હતા. વરતારા કાઢનારાઓએ કહ્યું કે આ બાળક કુળનું નિકંદન કાઢી નાખશે. એ વખતે ગાંધારીએ હિંમતભેર કહ્યું હતું કે આપણે આનો ત્યાગ કરીએ. ધૃતરાષ્ટ્ર માન્યા નહીં.
જુગટામાં હરાવીને પાંડવોને વનવાસ અપાયો એ વખતે પણ ગાંધારીએ ધૃતરાષ્ટ્રને વાર્યા કે મહારાજ! દુર્યોધનનો ત્યાગ કરો. એ પ્રજાની નજરમાંથી ઊતરતો જાય છે, પણ સમજે તો ધૃતરાષ્ટ્ર શાના? માતા થઈને પણ ગાંધારી દુર્યોધનનો ત્યાગ કરવાનું કહેતી હતી, પણ ધૃતરાષ્ટ્રનો પુત્રમોહ અજબ હતો.
મોહ એ ધૃતરાષ્ટ્રની મોટી નબળાઈ હતી. જ્યારે કે ગાંધારી અર્થશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર અને ધર્મ શું છે એ જાણતી હતી, તેથી ન માત્ર શારીરિક બલકે આધ્યાત્મિક તેમજ માનસિક રીતે પણ ગાંધારી અને ધૃતરાષ્ટ્ર કજોડાં હતાં. પોતે પડયું પાનું નિભાવી રહી છે એ ગાંધારી સારી રીતે જાણતી હતી. વિદુર સાથેની તેની જે તાત્ત્વિક ચર્ચા છે એમાં એ વાત તે જણાવે છે. કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે 'મહાભારતનાં પાત્રો' પુસ્તકમાં જે ચરિત્રો આલેખ્યાં છે એમાં તે સંવાદ સરસ રીતે રજૂ થયો છે.
ગાંધારીના ગુણ-દોષ
ગાંધારીએ ગુમાવવાનું જ આવ્યું છે. તેને પતિ અંધ મળ્યો. 'યતો ધર્મસ્તતો જય' જેનું સતત રટણ છે એ ગાંધારીનો પુત્ર દુર્યોધન ધર્માંધતાનો પ્રતિનિધિ નીકળ્યો. પતિ ધૃતરાષ્ટ્ર અંધ હોવાથી મોટા હોવા છતાં રાજપદ ન મળ્યું અને નાના હોવા છતાં પાંડુને એ પદ મળ્યું, જેથી ગાંધારી મહારાણીપદથી વંચિત રહી ગઈ. ગાંધારીને એવી આશા હતી કે પતિ ન બન્યો તો કંઈ નહીં પુત્ર ગાદીએ બેસશે. એવું પણ ન થયું. ગાંધારીને કુંતી કરતાં વહેલો ગર્ભ રહ્યો હતો પણ બે વર્ષ સુધી સંતાન ન થયાં. દરમ્યાન કુંતીએ પુત્ર યુધિષ્ઠિરને જન્મ આપ્યો. વંશમાં પહેલો પુત્ર કુંતીને થયો તેથી પાટવીકુંવર બનવાનો ટેકનિકલી પહેલો હક યુધિષ્ઠિરનો બનતો હતો. ગાંધારી જ્યારે તેમના પુત્રોના અવતરવાની રાહ જોતી હોય છે ત્યારે ધૃતરાષ્ટ્ર વિદુલા નામની દાસી તરફ ઢળી જાય છે. ગાંધારી માટે કપરો સમય વધુ કપરો બની રહે છે. વિદુલાને ધૃતરાષ્ટ્રથી એક પુત્ર પણ થાય છે. આ તમામ સંજોગોમાં ગાંધારી રાજમહેલ વચ્ચે એકલી પડી ગયેલી મહેસૂસ કરે છે. ગાંધારી જ્ઞાાની હતી પણ અંતે તો મનુષ્ય હતી. મનુષ્ય હોવાના દોષ તેનામાં પણ હતા. કુંતીની તેને ખૂબ ઈર્ષ્યા થતી હતી. તેને પહેલાં પુત્ર જન્મ્યો એટલે તે બળીને બેઠી થઈ ગઈ હતી. બીજો તર્ક એ પણ છે કે ગાંધારીએ આંખે પાટા બાંધી લીધા એ પતિપરાયણતા તરીકે સારી વાત છે, પણ પુત્રના ઉછેર અને સંસ્કારસિંચન માટે તેણે પાટા ખોલી નાખવા જોઈતા હતા. ગાંધારીના પાટા એક જગ્યાએ ગુણ ઠરે છે તો બીજી જગ્યાએ દોષ ઠરે છે. સંતાનોના જન્મ પછી યોગ્ય ઉછેર માટે તેણે પાટા ખોલી નાખ્યા હોત તો મહાભારતનું ચિત્ર કંઈક જુદું હોત. યુદ્ધમાં અભિમન્યુનો વધ થયા પછી અર્જુન પ્રતિજ્ઞાા કરે છે કે કાલે સૂર્યાસ્ત સુધીમાં હું જયદ્રથનો વધ કરીશ. જો એમ નહીં કરી શકું તો અગ્નિમાં પડીને મરી જઈશ. બીજે દિવસે સૂર્યાસ્ત નજીક આવે છે અને જયદ્રથ જડતો નથી ત્યારે અર્જુન અકળાઈ ઊઠે છે. ત્યારે કૃષ્ણ કહે છે કે તમે બધા પ્રતિજ્ઞાા લેવામાં આટલા અધીરા કેમ થઈ જાવ છો? ગાંધારીએ પણ આંખે પાટા બાંધવાની પ્રતિજ્ઞાા ન કરી હોત કે કુરુકુળના હિતને જોઈને પ્રતિજ્ઞાાનો ત્યાગ કરીને પાટા ખોલીને સંતાનો પ્રત્યે ધ્યાન આપ્યું હોત તો કદાચ યુદ્ધની આ ઘડી આવત જ નહીં. કૌરવો કેટલાંય છળથી બચી ગયા હોત. ગાંધારીએ પણ કેટલેક ઠેકાણે કાચું કાપ્યું હતું. જેનાં પરિણામ યુદ્ધ સુધી ગયાં હતાં.
ગાંધારી જે કૃષ્ણને શાપ આપીને યાદવાસ્થળી સર્જી શકે છે એ જ ગાંધારી પાંડવોને પણ શાપ આપીને નિકદંન કાઢી શકે છે, તેથી જ પાંડવો યુદ્ધ પછી ધૃતરાષ્ટ્રને પગે લાગવા જાય છે પણ ગાંધારી પાસે જતાં બીવે છે. ગાંધારી પાંડવોને શાપ આપત તોપણ ખોટું ન ઠરત, કારણ કે દુર્યોધન, દ્રોણ, કર્ણ વગેરેને હણવામાં પાંડવોએ છળનો ઉપયોગ કર્યો હતો, પણ ગાંધારી એવું નથી કરતી. કૃષ્ણને પણ શાપ આપ્યા પછી તેને સમજાય છે કે તેણે મહાન ભૂલ કરી છે. એવો પણ એક મત છે કે પાંડવોને શાપ ન લાગે એ માટે કૃષ્ણે ગાંધારીના શાપ માટે ભૂમિકા તૈયાર કરી અને શાપ પોતાના તરફ વાળી દીધો હતો. મહાભારતમાં યુધિષ્ઠિર જેવો યુધિષ્ઠિર ધર્મમાંથી ચલિત થાય છે, પણ ગાંધારી ક્યારેય ધર્મમાંથી ચલિત થઈ નથી. દુર્યોધન જ્યારે યુદ્ધમાં જતા પહેલાં આશીર્વાદ લેવા આવે છે ત્યારે ગાંધારી એને 'વિજયી ભવઃ' નથી કહેતી. ગાંધારી કહે છે 'ય તો ધર્મસ્તતો જય - જ્યાં ધર્મ છે તેનો વિજય છે.' ગાંધારી દુર્યોધનને કહે છે કે મને તો દીવા જેવું ચોખ્ખું દેખાય છે કે લડાઈમાં કોઈનું શ્રેય નથી. નથી તારું કે નથી પાંડવોનું. જેમાં સમગ્ર માનવજાતિનું હિત ન હોય એમાં મારા દુર્યોધનનું હિત હોઈ શકે એમ જો મારે ગળે ઊતરે તો તને આ ઘડીએ આશીર્વાદ આપી દઉં. ગાંધારીને એ ખબર છે કે તેમનાં સંતાનો ધર્મની પડખે નથી. ધર્મ પાંડવોના પક્ષે છે. યુદ્ધ અગાઉ કૌરવો-પાંડવો વચ્ચે જેટલા પણ આંતરકલહ થયા એમાં ગાંધારી પોતાના પુત્રોને પક્ષે નહીં પણ પાંડવોના પક્ષે ઊભી હતી.
કૃષ્ણની વિટંબણા
યુદ્ધ પછી કૃષ્ણ ધૃતરાષ્ટ્રને તો કહી શકે છે કે તમે તો તમારા પુત્રને જ હંમેશાં છાવર્યા. પાંડવોએ પાંચ ગામ માગ્યાં એ પણ તમે જો આપી દીધાં હોત તો યુદ્ધ ન થાત. કૃષ્ણની વિટંબણા એ હતી કે ગાંધારીને શું જવાબ આપવો? એ તો હંમેશાં ધર્મની પડખે જ ઊભી હતી. એણે તો દીકરાને પણ વિજય થવાના આશીર્વાદ નહોતા આપ્યા. કૃષ્ણ ગાંધારી સામે ગેંગેફેંફે થઈ જાય છે. યાદ રહે કે કે ગાંધારી એકમાત્ર એવું પાત્ર છે જેની પાસે કૃષ્ણ નૈતિક રીતે ઝાંખા પડી જાય છે.
ગાંધારીનું તપોબળ એવું મજબૂત છે કે કૌરવોનો વંશ નાશ પામ્યો એ ઘડીએ તે એવાં કોઈ વેણ-વચન ઉચ્ચારી દે તો ત્રણેય લોક ભસ્મિભૂત કરી શકે છે, તેથી એ અત્યંત નાજુક પળે ખુદ વેદવ્યાસ ગાંધારીના ચિત્તને શાંત કરવા આવે છે.
ગાંધારી - ભીમ સંવાદ
દુર્યોધન પોતાનો સૌથી મોટો દુશ્મન ભીમને માનતો હતો, અર્જુનને નહીં. ધૃતરાષ્ટ્રે પણ ભીમના જ લોઢાના પૂતળાને ભેટીને કચડયું હતું. દુર્યોધન, દુઃશાસન સહિત સો કૌરવોમાંથી લગભગ કૌરવોનું ભીમે જ ઢીમ ઢાળી દીધું હતું, તેથી ગાંધારીને પણ ભીમ પ્રત્યે સૌથી વધુ ક્રોધ હતો. ગાંધારી ભીમને પૂછે છે કે કૃષ્ણની હાજરીમાં દુર્યોધનનો અધર્મપૂર્વક વધ થયો? ત્યારે ભીમ કહે છે કે ધર્મ છે કે અધર્મ એ મને ખબર નથી પણ વધ મેં કર્યો છે. મારો જીવ બચાવવા માટે મેં એમ કર્યું છે. મને ક્ષમા આપો. દુર્યોધનને ધર્મપૂર્વક મારવો અશક્ય હતો તેથી અધર્મનો આશરો લેવો પડયો. ભીમ પોતાના અપરાધોને સ્વીકારે છે અને દ્યૂતસભા સહિતના કૌરવોએ પાંડવો સાથે કરેલા અન્યાયની વાત પણ મૂકે છે. ગાંધારી એને ક્ષમા આપે છે. પુત્રોના મૃત્યુનો શોક એમ તો ન શમેને! ગાંધારી ભીમને કહે છે કે માન્યું કે દુર્યોધન અને દુઃશાસને તારી સાથે વેર જ રાખ્યું, પણ મારા બાકીના પુત્રોમાંથી કોઈકે તો તારી સાથે ઓછો અપરાધ આચર્યો હશેને? કોઈ એકને તો જીવિત રાખવો હતો? અમે ઘરડાં થયાં કોઈ એકાદ પુત્ર અમારી લાકડી બને એ સારુ તો જીવતો રાખવો'તો? એનો જવાબ ભીમ પાસે નહોતો. યુધિષ્ઠિર માફી માગવા ગાંધારીની પાસે ફરકે છે અને પાટામાંથી ગાંધારીની દૃષ્ટિ તેમના નખ પર પડે છે. યુધિષ્ઠિરના ધોળા નખ કાળા પડી જાય છે. અર્જુન તો સગેવગે થઈ જાય છે.
ગાંધારી, જેવી તપોબળવાળી સ્ત્રી એકેય નથી : કૃષ્ણ
પાંડવો સગેવગે થઈ જાય છે પછી કૃષ્ણ આગળ આવે છે. કૃષ્ણને આગળ આવવું પડે એમ જ હતું, કારણ કે ગાંધારી તો પૃથ્વીનો પણ નાશ કરી શકવા સમર્થ હતી. કૃષ્ણ કહે છે, તમે પૃથ્વીને પણ બાળી શકો છો. છતાં તમારી બુદ્ધિ પાંડવોના વિનાશ માટે પ્રવૃત્ત ન થજો.
જે ગાંધારી ધૃતરાષ્ટ્ર અને પાંડવો પાસે રડી નહોતી એ કૃષ્ણ પાસે રડી પડે છે. વેદના, ક્રોધ, તિરસ્કાર, પીડા, આવેશ અને રુદનની પરાકાષ્ઠાએ ગાંધારીને યુદ્ધમેદાનમાં સંહાર પામેલા પોતાના પુત્રોને મમતાભરી નજરે એક વાર જોવા છે. કૃષ્ણ દિવ્યદૃષ્ટિથી તેમને મરુભૂમિ બની ચૂકેલા યુદ્ધમેદાનમાં લઈ જાય છે. જે સ્ત્રીએ અડધી જિંદગી પાટા વીંટી રાખ્યા છે એને જોવાનું આવે છે ત્યારે પણ એ શું જોવે છે? લોહી નિગળતી ભૂમિ. પોતાના જ પુત્રો અને ભાઈઓના ક્યાંક હાથ પડયા છે તો ક્યાંક ડોળા કાઢેલાં ડોકાં. ગીધ, કાગડા, શિયાળ માટે તો જાણે છપ્પનભોગ લાગ્યો હતો. મૃતદેહોના મહાસાગર વચ્ચે ગાંધારી જાણે મરજીવાની જેમ ઊભી હતી. કેટલીય સ્ત્રીઓ પોતાના પતિ અને પુત્રોનાં શબ ફંફોસીને આક્રંદ કરતી હતી. છાતીકૂટ મરશિયાઓના દાવાનળ વચ્ચે ગાંધારી શાંત અને નિસ્તેજ ઊભી હતી. ક્યાંક ગીધડાં લાશ ચૂંથતાં હતાં તો ક્યાંક શિયાળિયાં માંસના લોથડા ખેંચીને જતાં હતાં. ચારે તરફ સ્ત્રીઓનાં કરુણ આક્રંદ અને ગીધડાઓની ચિચિયારી વચ્ચે કાળની કાણ મુકાઈ હોય એવી એ ક્ષણોમાં ગાંધારી ભેંકાર અને સૂનમૂન છે.
દ્રોણ, દ્રુપદ, કર્ણ, શલ્ય વગેરે અતિરથી-મહારથીનાં પીંખાતાં શબ જોઈને ગાંધારી કૃષ્ણને કહે છે કે એવું લાગે છે કે જાણે પૃથ્વી પરથી પંચમહાભૂતોનો જ લોપ થઈ ગયો હોય. વિલાપ કરતી ગાંધારી આગળ વધે છે ત્યારે દુર્યોધનના શબ પર તેનું ધ્યાન પડે છે. શીત કટિબંધની હિમશીલા પર જેમ સૂર્યનાં કિરણો પડે ને એ ભેખડો સાગરમાં ફસડાઈ પડે એમ ગાંધારી દુર્યોધનનો શીર્ણવિશીર્ણ દેહ જોઈને ધરબાઈ પડે છે. કૃષ્ણ તેમને સંભાળે છે. દુર્યોધનના શબને ભેટીને રુદનનો હાહાકર મચાવી દે છે. જગતમાં પ્રેમને પૂર્ણપણે વ્યક્ત કરે એવા કોઈ શબ્દો નથી શોધાયા એમ વેદનાને વાચા આપે એવા શબ્દો પણ નથી શોધાયા. એ વખતે પણ ગાંધારી કૃષ્ણને કહે છે કે મને મારા પુત્રોના મરણનું દુઃખ તો છે જ, પણ એથીય સવાયું દુઃખ મારી પુત્રવધુઓના વિલાપને સાંભળીને થાય છે. તેમને જીવતેજીવ લાશ બની ગયેલી જોઈને થાય છે.
આ બધા માટે જવાબદાર ગાંધારી કૃષ્ણને ઠેરવે છે. ગાંધારીને ભરોસો હતો કે કૃષ્ણ યોગેશ્વર છે, સ્વયં ધર્મ છે. યુદ્ધને રોકવા સમર્થ છે. તે ધારત તો યુદ્ધ ન થાત. એ સૂક્ષ્મ ક્ષણોમાં ગાંધારી ભાન ભૂલી બેસે છે અને કૃષ્ણને શાપ દઈ દે છે......
ગાંધારીનો શાપ
હું તપસ્વિની ગાંધારી. મારા આ જન્મનાં તમામ પુણ્યબળ તેમજ પૂર્વજન્મના પુણ્યબળને એકઠું કરીને કહું છું. કૃષ્ણ સાંભળો! તમે જો ઇચ્છતા હોત તો યુદ્ધ રોકાઈ શકત. મેં પુત્રો જણ્યા હતા, હાડપિંજરો નહીં. નિરપરાધ અશ્વત્થામાને તમે શાપ આપ્યો એ જ શાપ તમે અધર્મ આચરનાર ભીમને કેમ ન આપ્યો? તમે ધર્મનો દુરુપયોગ કર્યો છે. જો મારી સેવામાં બળ હોય અને મારા સંચિત તપમાં ધર્મ હોય તો કૃષ્ણ સાંભળો! તમારો આખો વંશ પણ આવી રીતે જ હડકાયા કૂતરાની જેમ એકબીજાને ફાડી ખાશે. તમે પણ એક પારધીને હાથે માર્યા જશો. તમે પ્રભુ છો પણ પશુની જેમ મોત પામશો.
કૃષ્ણ શાપને કેમ આશીર્વાદ ગણે છે?
પ્રભુ હોઉં કે પરાત્પર પણ પુત્ર છું હું તમારો. અઢાર દિવસના આ ભીષણ સંગ્રામમાં કોઈ નહીં કેવળ હું જ મર્યો છું કરોડો વખત. જેટલી વખત જે પણ સૈનિક જમીનદોસ્ત થયો એ કોઈ નહીં હું જ હતો. અશ્વત્થામાના અંગમાંથી પણ રક્ત બનીને યુગ-યુગાંતર સુધી હું જ ટપકવાનો છું. જીવન હું છું તો મૃત્યુ પણ હું જ છું માતા. શાપ તમારો સ્વીકાર્ય છે.
બીજી જ ક્ષણે ગાંધારીને ભાન થાય છે કે તેણે આ શું કહી નાખ્યું? પાતાળના પાષાણને પણ હલાવી નાખે એવી પોક મૂકીને તે રડે છે. કરગરીને બબડે છે કે દેવ, મેં આ શું બોલી નાખ્યું. કૃષ્ણ તમારા પર મારી મમતા અગાધ છે. તમે આ શાપને વિફળ કરી દો. હું તો પુત્રહીન થઈ ગઈ, તેથી વેદનાના આવેશમાં મેં આવું કહી દીધું. મને માફ કરો.
કૃષ્ણ કહે છે કે જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી તમે પુત્રવિહીન નથી. પ્રભુ હોઉં કે પરાત્પર પણ પુત્ર છું તમારો. યાદવો દૈવીયોગથી નાશ પામવાના છે એમાં કોઈ શંકા જ નથી. યાદવોનો નાશ કરી શકે એવો એકેય પુરુષ મારા સિવાય જગતમાં નથી. તેઓ પરસ્પર લડીને જ મોતને પામશે. હું એ જાણું છું. તમે તો એનું માત્ર કથન કર્યું છે. આ શાપનો તમને કોઈ દોષ નહીં લાગે. તમારું તેજોબળ સહેજ પણ વિલય નહીં પામે.
એક માતાની વેદનાની પરાકાષ્ઠા મહાભારતમાં ગાંધારીના પાત્રમાં જે ઝિલાઈ છે એવી ભારતવર્ષના કોઈ સાહિત્યમાં નથી ઝિલાઈ. આપણા સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષી કહેતાં કે, "ગાંધારી એવું પાત્ર છે કે એ રડાવી નથી નાખતી, પણ આંસુઓને સૂકવી નાખે છે." ગાંધારી એવું પાત્ર છે કે જેનું દુઃખ આંસુને પણ બાળી મૂકે છે.




Link
www.sandesh.com/article.aspx%3Fnewsid%3D3049095+&cd=1&hl=en&ct=clnk&gl=in