Monday, August 10, 2015

છપ્પનવખારી - તૂ કિસી રેલ સી ગુઝરતી હૈ, મૈં કિસી પુલ સા થરથરાતા હૂં

Sandesh - Ardh Saptahik Purti - 29 July 2015

છપ્પનવખારી : તેજસ વૈદ્ય

સલીમ જાવેદે ફિલ્મ 'દીવાર'માં એંગ્રી યંગમેન આપ્યો એ અગાઉ સાહિત્યમાં દુષ્યંતકુમાર નામના એંગ્રી યંગમેનનો જન્મ થઈ ચૂક્યો હતો. દુષ્યંતકુમારની ગઝલો સિસ્ટમ સામે સવાલ ઊભા કરતી હતી અને વિદ્રોહી યુવાનો માટે મશાલ બનતી હતી. આજે પણ મોટાં આંદોલનો થાય છે ત્યાં દુષ્યંતની ગઝલો લલકારાય છે. હાલમાં જ રજૂ થયેલી બેનમૂન ફિલ્મ 'મસાન'માં દુષ્યંતકુમારની રોમેન્ટિક ગઝલ'તૂ કિસી રેલ...ફિલ્મના મહત્ત્વપૂર્ણ અંગ તરીકે રજૂ થઈ છે. યાદ કરીએ હિન્દી ગઝલના વિદ્રોહી રાજકુમાર દુષ્યંતકુમારને...


તૂ કિસી રેલ સી ગુઝરતી હૈ,
મૈં કિસી પુલ સા થરથરાતા હૂં
 
તૂ ભલે રત્તીભર ન સુનતી હૈ,
મૈં તેરા નામ બુદબુદાતા હૂં.
 
કિસી લંબે સફર કી રાતોં મેં,
તુઝે આલાવ સા જલાતા હૂં.
 
કાઠ કે તાલે હૈં, આંખોં પે ડાલે હૈં, ઉનમેં ઇશારોં કી ચાબિયાં લગા, 
રાત જો બાકી હૈ, શામ સે તાકી હૈ, નિયત મેં થોડી ખરાબિયાં લગા.
 
મૈં હૂં પાની કે બુલબુલે જૈસા,
તુઝે સોચું તો ફૂટ જાતા હૂં.
 
તૂ કિસી રેલ સી......
 - વરુણ ગ્રોવર
 
ઉપરની રચના વાંચી? એ વાંચ્યા વગર આગળ લેખ વાંચવાની મજા નહીં આવે. 'મસાન' ફિલ્મનું આ ગીત છે જે વરુણ ગ્રોવરે લખ્યું છે. ગીતની મજા એ છે કે હિન્દીના પ્રખ્યાત રચનાકાર દુષ્યંતકુમારની જાણીતી ગઝલ તૂ કિસી રેલ સી ગુઝરતી હૈ...ને મુખડામાં મૂકી એક સ્વતંત્ર ગીત રચ્યું છે. ફિલ્મોમાં જ્યારે ગીતકાર કોઈ જૂના દિગ્ગજ રચનાકારની કૃતિમાંથી પ્રેરણા લઈને કશુંક સર્જે છે ત્યારે એક સરસ અને લાઇવ અનુસંધાન સર્જાય છે. અગાઉ પીયૂષ મિશ્રા, સ્વાનંદ કીરકીરે અને ગુલઝારે આવા પ્રયોગ કર્યા છે. આ પ્રકારના પ્રયોગ વધારે થવા જોઈએ. એને લીધે લોકોને એ મૂળભૂત શાયર કે કવિ વિશે વધુ જાણવાની ઉત્કંઠા જાગે છે. આજની નવી પેઢી એ બહાને એ મૂળભૂત શાયર કે કવિથી વાકેફ થાય છે. તેમના વિશે વધુ જાણવાની અને તેમની રચના વાંચવાની ઇચ્છા થાય છે.
વરુણ ગ્રોવર કહે છે કે, "મેં સ્કૂલની નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો ત્યારે દુષ્યંતકુમારની જાણીતી ગઝલ 'કૌન કહતા હૈ આસમાન મેં સુરાગ નહીં હૈ...'ની પંક્તિઓ દ્વારા સમાપન કર્યું હતું. ઉત્તર પ્રદેશ, બિહાર કે રાજસ્થાનમાં ૮૦ અને ૯૦ના દાયકામાં સ્કૂલ-કોલેજ લેવલે જે ડિબેટ કે વક્તૃત્વ સ્પર્ધાઓ થતી એમાં દુષ્યંતકુમારની પંક્તિઓ ન સાંભળવા મળે એવું ન બને. 'તૂ કિસી રેલ સી ગુઝરતી હૈ, મૈં કિસી પુલ સા થરથરાતા હૂં' માં દુષ્યંતકુમારનો કમાલ એ છે કે આ વાક્ય રોમેન્ટિક લાગતું નથી. કોઈ છોકરી ટ્રેનની જેમ પસાર થાય અને છોકરો પુલની જેમ ખળભળી ઊઠે એ સંદર્ભમાં પ્રથમ દૃષ્ટિએ રોમેન્ટિસીઝમ દેખાતું જ નથી. તરત બીજો વિચાર એ આવે કે આ ફૂલ - ભમરો કે ચંદા - ચકોરી જેવાં ઢાંચાઢાળ રોમેન્ટિક રૂપકો કરતાં ટ્રેન અને પુલનો સંદર્ભ એકદમ નવી અને લાઇવ અભિવ્યક્તિ છે. એમાં સેન્સ્યુઅલ એટલે કે વિષયાસક્તિ પણ ઝળકે છે. 'મસાન'માં તેમની જાણીતી રચનાનો આધાર લઈને ગીત બનાવવું મારા માટે થોડું ટફ હતું. મારે ગીતમાં સરળતા અને એ અસર જાળવી રાખવાની હતી જે ઓરિજિનલ ગઝલમાં છે. મને એક જ ડર હતો કે દુષ્યંત કુમારની રચના સાથે છેડછાડ થઈ હોય એવું ન લાગવું જોઈએ. મારા આ પ્રયાસમાં જો હું કેટલાંક વધુ લોકોને હિન્દી ગઝલના રાજકુમાર સુધી પહોંચાડવામાં સફળ રહું તો એ મારા માટે બોનસ રહેશે."
વરુણ ગ્રોવરે ધાર્યું નિશાન પાર પાડયું છે. 'મસાન' ફિલ્મનું એ ગીત આજકાલ અનેક યુવાઓના મોબાઇલમાં ગુંજવા લાગ્યું છે. ફિલ્મમાં એનું પિક્ચરાઇઝેશન પણ એટલું મનોહારી છે કે એ ગીત જોવાનું વારંવાર મન થાય. ફિલ્મનો સ્ક્રિનપ્લે પણ વરુણ ગ્રોવરે જ લખ્યો છે.
 'મસાન' અદ્ભુત ફિલ્મ છે. મસાન એટલે કે મસાણ એટલે કે સ્મશાન. ફિલ્મમાં રોમાન્સ છે. ફિલ્મોમાં ક્યારેય રજૂ નથી થયું એવું બનારસ છે. સિસ્ટમની ભ્રષ્ટતા લોકોના અસ્તિત્વ સાથે કેવો ખિલવાડ કરે છે એની વાત છે. સંઘર્ષ અને સંજોગોમાંથી સંવેદનાપૂર્વક ઉપર ઊઠીને જીવનમાં આગળ વધવાની વાત કહેતી ફિલ્મ છે. 'મસાન' એવી ટેક્સ્ટબુક ફિલ્મ છે જે વધુ એક દાખલો બેસાડે છે કે સાંપ્રત સમસ્યાઓ સામે નિસબતપૂર્વક સવાલ ઉઠાવીને મનોરંજક ફિલ્મ બનાવી શકાય છે.
'મસાન'માં દુષ્યંતકુમારની રચના 'કિસી રેલ સી ગુઝરતી હૈ...'ને રજૂ કરવામાં આવી છે, પણ બારીકાઈથી જોશો તો સમગ્ર ફિલ્મ દુષ્યંતકુમારની રચના'સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, મેરી કોશિશ હૈ કી યે સૂરત બદલની ચાહીએ' ને વફાદાર છે.
દુષ્યંતે નવા દૃષ્ટાંતો સાથે રોમેન્ટિક ગઝલો લખી છે, પણ મૂળે તેની ગઝલોનો સ્વભાવ વિદ્રોહ રહ્યો છે. તેમની રોમેન્ટિક રચનાઓમાં પણ ટિપિકલ શણગાર નથી હોતો. ક્યારેક તેમના રોમેન્ટિસીઝમમાં પણ વિદ્રોહ ઝળકે છે.
 મશહૂર શાયર નિદા ફાઝલી(નિદા ફાઝલી શાયર છે, ગીતકાર નહીં) એક વખત મુશાયરા સબબ ઉત્તર પ્રદેશના બિજનૌર ગયા હતા. બિજનૌરમાં નગરભ્રમણ એટલે કે સાઇટ સીઇંગ દરમ્યાન તેમને પથ્થરની ઠોકર વાગી. સાથી રાહગીરે તેમને સંભાળ્યા અને કહ્યું કે, "હુજૂર, યહ બિજનૌર હૈ... યહાં કી હર ચીઝ કાબિલે ગૌર હૈ."
એ પછી નિદા ફાઝલીએ એક લેખ લખ્યો. લેખ દુષ્યંતકુમાર વિશે હતો અને દુષ્યંતકુમાર બિજનૌરના હતા. નિદા ફાઝલી લખે છે, "દુષ્યંતની દૃષ્ટિ એના યુગના નવી પેઢીના ગુસ્સા અને નારાજગીથી નિર્માણ પામી છે. એ ગુસ્સો અને નારાજગી એ અન્યાય અને રાજકારણના કુકર્મોની સામે નવા તેવરનો અવાજ હતો. એ અવાજ મધ્યમવર્ગીય જુઠ્ઠાણાંનો નહીં પણ છેવાડાના લોકોની મહેનત અને દયાનો અવાજ હતો. દુષ્યંતની ગઝલોમાં એ માણસનો પડઘો છે જે માણસ અગાઉ કબીર, નઝીર અને તુકારામને ત્યાં જોવા મળ્યો હતો. જેણે નાગાર્જુન અને ધૂમિલના શબ્દોને ધારદાર બનાવ્યા હતા એણે જ દુષ્યંતની ગઝલોને ચમકાવી હતી." નાગાર્જુન અને ધૂમિલ હિન્દીના ઊંચેરા કવિ હતા. નઝીર અકબરાબાદી ઉર્દૂના મહાન શાયર હતા.
દુષ્યંતકુમારની મજા એ છે કે તેમણે એ વખતે આમ આદમીની ઝબાનમાં ગઝલ લખવાનું શરૂ કર્યું જ્યારે હિન્દીની ગઝલો પર ઉર્દૂ ઝબાનનો જબરો પ્રભાવ હતો. જેના વિદ્રોહને વાચા આપતા હો એને સમજાય એ રીતે લખાવું જોઈએ એ દુષ્યંતનો સૂર હતો. ઉર્દૂની ગઝલો પણ કાળાંતર વર્ષો સુધી ઇશ્ક, સાકી, બઝ્મ, તગાફુલ, બુલબુલ વગેરેમાંથી બહાર નીકળી નહોતી. દુષ્યંતે શાયરીને સીધી સિસ્ટમ સાથે જ શિંગડાં લેતાં શીખવ્યું.
દુષ્યંતકુમારની મજા એ પણ છે કે એમની ગઝલની ઝબાન સરળ છે, છતાં એના એક્સપ્રેશન્સ ફ્લેટ નથી. વિદ્રોહની કવિતાઓ ઘણી વખત ફ્લેટ હોય છે. વિદ્રોહની સાથે કાવ્યમાં સૂક્ષ્મ વિચાર હોય તો એ રચના લાંબી ટકે છે. દુષ્યંતકુમારની રચનાઓ કાળાંતર વર્ષ રાજ કરવાની છે એનું કારણ એનો વિદ્રોહ અને એમાં રહેલું દીર્ઘ ચિંતન છે.
 કોઈ પણ કલાકાર પછી એ સાહિત્યકાર હોય કે ફિલ્મમેકર હોય કે નાટયકાર હોય કે ચિત્રકાર, એની કલામાં જો વર્તમાનને વાચા ન હોય, બદીઓ સામે બળવો ન હોય તો એની કલા મર્યાદિત છે. એની રચનામાં પોલિટિક્સ ઓફ ધ આર્ટનું તત્ત્વ હોવું જ જોઈએ. દુષ્યંતકુમારની રચનાઓમાં ધ્યાનાકર્ષક બાબત એ જ છે. એમની રચનાઓમાં સરકારની બદીઓ સામે વિદ્રોહ છે. વિદ્રોહ તો બીજા ઘણાં કવિઓની રચનામાં હોય છે, પણ એ કવિઓનો સામાજિક, રાજકીય અને પરિસ્થિતિકીય અભ્યાસ ઓછો હોય છે. ઘણાં કવિઓ ફેશનેબલી રીતે વિદ્રોહી કવિતાઓ લખે છે, જે દુષ્યંતકુમારની ગઝલોની જેમ લાંબું જીવી શકતી નથી.
દુષ્યંતના સંગ્રહ 'સાયે મેં ધૂપ'ના અનેક શેર ૧૯૭૫-૧૯૭૭ની ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીને બયાન કરે છે. દુષ્યંતકુમાર ૩૦ ડિસેમ્બર, ૧૯૭૫ના રોજ અવસાન પામ્યા હતા. કટોકટી તો તેમના અવસાન પછી ૧૪ મહિના સુધી ચાલુ રહી હતી. જો તેઓ હયાત હોત તો વધુ રચનાઓ એને કેન્દ્રમાં રાખીને લખી હોત.
કટોકટી વખતે જયપ્રકાશ નારાયણ પર લાઠીચાર્જ થયો હતો. સરકારે એવો ખુલાસો કર્યો કે એ લાઠી તેમણે નથી ચલાવી. ત્યારે દુષ્યંતકુમારે જયપ્રકાશ નારાયણ માટે ગઝલ લખી હતી.
વો આદમી નહીં હૈ મુકમ્મલ બયાન હૈ,
માથે પે ઉસકે ચોટ કા ગહરા નિશાન હૈ.
ઇક સરફિરે કો યૂં નહીં બહેલા શકેંગે આપ,
યે આદમી નયા હૈ મગર સાવધાન હૈ.
સામાન કુછ નહીં, ફટે હાલ હૈ મગર,
ઝોલે મેં ઉસકે પાસ કોઈ સંવિધાન હૈ.
ઇન્દિરા ગાંધી પર વ્યંગ કરતી દુષ્યંતકુમારની આ રચનાનો અંડરટોન જુઓ.
મત કહો આકાશ મેં કોહરા ઘના હૈ,
યહ કિસી કી વ્યક્તિગત આલોચના હૈ.
દુષ્યંતકુમારની એ વિશેષતા રહી કે તેમણે ગઝલોને દેશની વર્તમાન પરસ્થિતિ સાથે જોડી. અગાઉ એવું કામ રામપ્રસાદ બિસ્મિલે કર્યું હતું. 'બિસ્મિલ'ને આજે પણ તેમની ગઝલથી જ યાદ કરવામાં આવે છે.
'સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ,
દેખના હૈ ઝોર કિતના બાજુએ કાતિલ મેં હૈ'
દેશપ્રેમની ગઝલો અને ગીતો આજે પણ લખાય છે, પણ સાંપ્રત અવ્યવસ્થા સામે વિદ્રોહ કરતી ગઝલો લખાતી નથી. ગુજરાતીમાં તો સાવ જ ઓછી લખાય છે. સામાજિક સરોકાર ધરાવતા બે-ચાર ગુજરાતી કવિઓને બાદ કરતાં કોઈ કવિની રચનામાં એ કૌવત નજરે પડતું નથી. આપણા મોટાભાગના ગઝલકારો સંવેદના અને સૌંદર્યમાંથી જ બહાર નથી આવ્યા. સામાજિક પરિસ્થિતિનો તેમનો અભ્યાસ પણ નથી.
દેશમાં હાંસિયામાં જીવતા લોકોની લાચારીના દુષ્યંતકુમાર પ્રવક્તા હતા. તેમના દબાયેલા સ્વરની અંદરનો ચિત્કાર દુષ્યંતકુમારે વફાદારીપૂર્વક વ્યક્ત કર્યો છે. જેને ગઝલમાં રુચિ હોય એણે દુષ્યંતકુમારને ન વાંચ્યા હોય એવું ભાગ્યે જ બની શકે. સાથે એ પણ ઉમેરવું રહ્યું કે જેણે દુષ્યંતકુમારને વાંચ્યા હોય એ તેનાથી પ્રભાવિત ન થયા હોય એવું પણ ન બની શકે.
આઝાદી મળતાં જ નવી સવાર ઊઘડશે એવું સોનેરી સપનું દેશે આંખમાં આંજ્યું હતું, પણ એવું ન થયું. આઝાદી પછી સર્જાયેલી રાજકીય અને સામાજિક આપાધાપી અને દેશની વિશીર્ણ સ્થિતિ ઉપર દુષ્યંતે લખ્યું,
ખડે હુએ થે અલાવો કી આંચ લેને કો,
સબ અપની અપની હથેલી જલા કે બૈઠ ગયે.
આ જ પરિસ્થિતિનો અન્ય એક શેર જુઓ,
ઇસ શહેર મેં અબ કોઈ બારાત હો યા વારદાત
અબ કિસી ભી બાત પર ખૂલતી નહીં હૈ ખિડકિયાં
અને પછી સગવડિયા લોકો માટે તેમણે લખ્યું,
લહુલુહાન નઝારોં કા ઝિક્ર આયા તો,
શરીફ લોગ ઉઠે દૂર જા કે બૈઠ ગયે.
 
હિન્દીમાં તો દુષ્યંતે ગઝલ પર એવી મૌલિક મુદ્રા કંડારી છે કે દુષ્યંત પહેલાંની ગઝલો અને દુષ્યંત પછીની ગઝલો એવા અભ્યાસ થાય છે. કેટલાંક એવું માને છે કે હિન્દીમાં ગઝલનો વિકાસ થયો એ દુષ્યંતકુમારના આવ્યા પછી થયો છે. વળી, દુષ્યંતકુમારની ગઝલોમાં પણ ઉર્દૂ, ફારસી શબ્દોનો બહોળો ઉપયોગ છે. તેમણે ગઝલને હિન્દીનો લિબાસ પહેરાવ્યો છે એવું નક્કી કરીને ગઝલો નથી લખી. તેઓ એક વાતે સ્પષ્ટ હતા કે ગઝલ આમ આદમીને કેન્દ્રમાં રાખીને લખાવી જોઈએ અને તેમને સમજાય એ શૈલીમાં લખાવી જોઈએ. ગાંધીજી કહેતા કે ભાષા કોસિયાને પણ સમજાઈ જાય એવી હોવી જોઈએ એ વાતને દુષ્યંતકુમારે બખૂબી ગઝલની બાનીમાં ઉતારી છે. દુષ્યંતકુમારે કહ્યું હતું કે, "હિન્દી અને ઉર્દૂ પોતાના સિંહાસનમાંથી ઊતરીને આમ આદમી પાસે આવે છે ત્યારે એમાં કોઈ ફર્ક કરવો મુશ્કેલ બની જાય છે."
 સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, મેરી કોશિશ હૈ કી યે સૂરત બદલની ચાહિયે. આ પંક્તિઓ એટલી મશહૂર થઈ ચૂકી છે કે મોટાભાગનાં આંદોલનોમાં લોકો એને લલકારતા હોય છે અને આ પંક્તિઓના પોસ્ટર લઈને ફરતા હોય છે. કેટલીક વખત તો એવું પણ જોવા મળે કે ચૂંટણીપ્રચારમાં બે વિરોધી પાર્ટીઓ આ એક સ્લોગન લઈને પ્રચાર કરતી હોય છે.
દુષ્યંતકુમારે ગઝલ ઉપરાંત નાટકો, વાર્તા, નવલકથા, સંસ્મરણો, રેડિયો રૂપક વગેરે ઘણું લખ્યું, પણ એ લોકોમાં વધુ પ્રચલિત થયા ગઝલકાર તરીકે. તેમણે ટોલ્સ્ટોયની એન્ના કેરેનીના જેવી મહાન નવલકથાનો હિન્દી અનુવાદ પણ કર્યો છે.
વિદ્રોહ અને સિસ્ટમની અવ્યવસ્થા વચ્ચેય દુષ્યંતકુમારે ક્યારેય આશાવાદ મૂક્યો ન હતો અને ગાયું હતું કે,
હો ગઈ હૈ પીર પર્બત સી પીઘલની ચાહિયે.
ઇસ હિમાલય સે કોઈ ગંગા નિકલની ચાહિયે.
મેરે સીને મેં ના સહી તો તેરે સિને મેં સહી,
હો કહીં ભી આગ, આગ જલની ચાહિયે.
 
દુષ્યંતકુમારની જે ગઝલની પ્રથમ બે પંક્તિઓ પરથી વરૂણ ગ્રોવરે ફિલ્મ 'મસાન'માં ગીત લખ્યું હતું એનાથી લેખની શરૂઆત થઇ હતી. હવે લેખના અંતમાં દુષ્યંત કુમારની એ મૂળ ગઝલ વાંચો...
 
તુ કિસી રેલ સી ગુઝરતી હૈ,
મૈં કીસી પુલ સા થરથરાતા હું
એક જંગલ હૈ તેરી આંખો મેં,
મૈં જહાં રાહ ભૂલ જાતા હું
હર તરફ ઐતરાઝ હોતા હૈ,
મૈં અગર રોશની મેં આતા હું
મૈં તુજે ભૂલને કી કોશીશ મેં,
અપને કિતને કરીબ પાતા હું - દુષ્યંત કુમાર




દુષ્યંત કુમારની કેટલીક ગઝલ

એક ગુડિયા કી કઈ કઠપૂતલિયોં મેં જાન હૈ,
આજ શાયર યે તમાશા દેખકર હૈરાન હૈ.
 
કલ નુમાઇશ મેં મિલા વો ચીથડે પહને હુએ,
મૈંને પૂછા નામ તો બોલા કિ હિન્દુસ્તાન હૈ.
 
મુજમેં રહતે હૈં કરોડોં લોગ, ચૂપ કૈસે રહું,
હર ગઝલ અબ સલ્તનત કે નામ એક બયાન હૈ.

- - - - 
 
 ઇસ નદી કી ધાર મેં ઠંડી હવા આતી તો હૈ,
નાવ જર્જર હી સહી, લહરોં સે ટકરાતી તો હૈ.
 
એક ચિનગારી કહીં સે ઢૂંઢ લાઓ દોસ્તોં,
ઇસ દીયે મેં તેલ સે ભીગી હુઈ બાતી તો હૈ.
 
એક ખંડહર કે હૃદય સી, એક જંગલી ફૂલ સી,
આદમી કી પીર ગૂંગી હી સહી, ગાતી તો હૈ.
- - - - -
 
તુમ્હારે પાંવોં નીચે કોઈ ઝમીં નહીં,
કમાલ યે હૈ કિ ફિર ભી તુમ્હેં યકીં નહીં.
 
મૈં બેપનાહ અંધેરોં કો સુબહ કૈસે કહું,
મૈં ઇન નઝારોં કા અંધા તમાશબીન નહીં.
 
તેરી ઝુબાં હૈ જૂઠી જમ્હુરિયત(લોકશાહી) કી તરહ,
તૂ એક ઝલીલ-સી ગાલી સે બહતરીન નહીં.

Article link
http://www.sandesh.com/article.aspx?newsid=3104697

1 comment:

  1. આ લેખ છાપામાં વાંચ્યો હતો, આજે બીજી વાર વાંચ્યો... દુષ્યંત કુમાર વિશે વાંચતા વાંચતા અહીં આવી ગયો. એક્સલન્ટ પીસ.

    ReplyDelete