Monday, August 10, 2015

છપ્પનવખારી - કટોકટી (1975-1977) : કરીમ લાલા - હાજી મસ્તાનનો અસ્ત, દાઉદ - ગવળીનો ઉદય

Sandesh - Ardh Saptahik Purti - 15 July 2015

છપ્પનવખારી : તેજસ વૈદ્ય



કટોકટીને ચાલીસ વર્ષ થયા. કટોકટી વિશે હાલના દિવસોમાં ખૂબ લખાયું છે. મોટે ભાગે એની રાજકીય અને સામાજિક અસર વિશે લખાયું છે. કયા કયા મોટા નેતા,ચળવળકારબૌદ્ધિક લોકો અને પત્રકારોને ઇન્દિરા ગાંધીએ જેલભેગા કરી દીધા હતા અને પછી એના કેવા પડઘા પડયા હતા એના વિશે લખાયું છે. કટોકટી વખતે મુંબઈ અન્ડરવર્લ્ડ પણ અડફેટે ચઢી ગયું હતું એના વિશે ખાસ લખાયું નથી. કરીમ લાલા અને હાજી મસ્તાનનો ડોન તરીકેનો દબદબો ડાઉન થયો એમાં કટોકટીનો મોટો રોલ છે. દાઉદ ઇબ્રાહીમ અને અરુણ ગવળી જેવા ગેંગસ્ટર મોટા ડોન બનવા લાગ્યા એમાં પણ કટોકટીનો રોલ છેજાણીએ કટોકટી અને અન્ડરવર્લ્ડની કશ્મકશ
કટોકટી દરમ્યાન પત્રકારો, સ્વાતંત્ર્યવીરો, ચળવળકારો, નેતાઓને તો ઇન્દિરા ગાંધીએ અડફેટે લઈ જ લીધા હતા. જેની ધાક મુંબઈને વધુ હોય એ અન્ડરવર્લ્ડ માફિયા પણ અડફેટે આવી ગયા હતા. મુંબઈના ટોચના માફિયામાથાંઓ કે જેની સામે સજ્જડ કેસ હોવા છતાં જેલમાં નાખી શકાતાં નહોતાં એ બધાં માથાંઓ કટોકટી દરમ્યાન જેલભેગાં થઈ ગયાં હતાં. રસપ્રદ ઘટના તો એ છે કે ટોચનાં કેટલાંક માથાંઓ કટોકટી દરમ્યાન નબળાં પડી ગયાં હતાં. ત્યારપછી દાઉદ, અરુણ ગવળી વગેરેએ માથું ઊંચક્યું હતું.
મિસા - મેઇન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ
કટોકટી સિત્તેરના દાયકામાં લાદવામાં આવી હતી. ૨૫ જૂન, ૧૯૭૫થી ૨૧ માર્ચ, ૧૯૭૭ સુધીનો સમયગાળો કટોકટી કાળ કહેવાય છે. કટોકટી દરમ્યાન હાજી મસ્તાન જેવો મુંબઈનો ડોન મેઇન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ(મિસા) હેઠળ જેલમાં ધકેલાયો હતો, એ વખતે અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, લાલુપ્રસાદ યાદવ, ચંદ્રશેખર તેમજ શરદ યાદવ જેવા નેતાઓ મિસા હેઠળ જેલભેગા થયા હતા. ટૂંકમાં, અડવાણી, વાજપેયી, હાજી મસ્તાન બધાને મિસા નામની એક જ લાકડીએ હાંકવામાં આવ્યા હતા.
મિસા શું છે એ પહેલાં સમજી લઈએ. મિસા એ એક્ટ છે જે ૧૯૭૧માં ભારતીય સંસદમાં પસાર થયો હતો. એ વખતે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતાં. અત્યંત ઊહાપોહ જગાવનારા આ એક્ટની વિચિત્રતા એ હતી કે એમાં કોઈ પણ કારણ આપ્યા વગર કોઈને પણ ઉઠાવીને માત્ર શંકાના ધોરણે જેલમાં નાખી શકાય. મતલબ કે કોઈ નિર્દોષ વ્યક્તિને મિસા હેઠળ જેલમાં નાખવામાં આવી હોય તો પણ એ એક્ટ તો એને દોષિત જ ગણે છે. એ વ્યક્તિએ પોતે સાબિત કરવું પડે કે હું નિર્દોષ છું. એવો પણ નિષ્કર્ષ નીકળે કે મિસા મુજબ તો દેશના તમામ નાગરિકો એ કાયદા હેઠળ દોષિત જ ગણાય. મતલબ કે એને કાયદો કઈ રીતે કહી શકાય? પણ એવો કાયદો હતો. સંસદમાં કાયદો પસાર થયો ત્યારે એવી બાંહેધરી આપવામાં આવી હતી કે રાજકીય કિન્નાખોરી રાખીને હરીફ નેતાઓ સામે એનો દુરુપયોગ કરવામાં નહીં આવે. જોકે, ઇન્દિરા ગાંધીએ એનો ભરપૂર દુરુપયોગ કર્યો. લોકશાહી મૂલ્ય ધરાવતા દેશમાં આવા કાયદા ન ટકી શકે, તેથી જ ૧૯ મહિનાની કટોકટી પૂરી થઈ એના બે મહિના પછી ઇન્દિરા ગાંધીએ ચૂંટણી જાહેર કરી. જેમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો અને જનતા સરકારે દેશની બાગડૌર સંભાળી હતી. જેણે મિસા હટાવી દીધો હતો.
કટોકટીના વીસ સૂત્રીય કાર્યક્રમે અંડરવર્લ્ડને કઈ રીતે અડફેટે લીધું?
વસંત નાઇક ડિસેમ્બર ૧૯૬૩થી ફેબ્રુઆરી ૧૯૭૫ સુધી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન હતા. સિત્તેરના દાયકામાં એટલે કે કટોકટીકાળવાળા દાયકામાં મુંબઈમાં જે અન્ડરવર્લ્ડ હતું એ સ્મગલિંગ એટલે કે દાણચોરી પર નિર્ભર હતું. કરીમ લાલા અને હાજી મસ્તાનનો એ વખતે દબદબો હતો. એ લોકોએ રાજ્ય પ્રશાસનના નાકે દમ લાવી દીધો હતો. દમ એટલા માટે લાવી દીધો હતો કે તેઓ ઇન્ટેલિજન્સ તેમજ કાયદાની પકડમાં આવતા નહોતા. તેમને પકડવા માટે કોઈ કડક કાયદો જ અમલમાં લાવવો પડે એમ છે એવું નાઇકે ઇન્દિરા ગાંધીને વારંવાર જણાવ્યું હતું. મહારાષ્ટ્ર અને ગુજરાત દાણચોરીના ગઢ હતા, કારણ કે બંને રાજ્યો પાસે દરિયો છે. દાણચોરી માટે દરિયા જેવું માધ્યમ આજની તારીખે પણ બીજું કોઈ નથી.
૧૯૭૧માં મિસા કાયદો બન્યો એમાં ઇન્દિરા ગાંધીનાં પોતાનાં રાજકીય ગણિત હતાં. તેમની ગણતરીમાં અંધારી આલમ ફરતે સકંજો કસવાનું પણ ગણિત હતું. કટોકટીનો જે વીસ મુદ્દાનો કાર્યક્રમ ઇન્દિરા ગાંધીએ રજૂ કર્યો હતો એમાંનો એક મુદ્દો એવો હતો કે સ્મગલરોની સંપત્તિ ટાંચમાં લેવામાં આવે. ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું કે દાણચોરોને પણ મિસા હેઠળ જ જેલભેગા કરવામાં આવે.
એટલે કે ૧૯૭૧માં બનેલા મિસાનો ખરો અમલ પાંચ વર્ષ પછી ૨૬ જૂન, ૧૯૭૫માં લાદવામાં આવેલી કટોકટી વખતે થયો. કટોકટી દરમ્યાન કોઈને પણ ઉઠાવીને એનો ગુનો બતાવ્યા વગર જેલમાં નાખી શકાય એમ હતું. ઉપર કહ્યું તેમ મુંબઈ અન્ડરવર્લ્ડ પર પણ એ ગાળામાં જબરું રોલર ફરી ગયું. સરકારે વીણી વીણીને ડોન, નાના મોટા ગુંડાઓ, કાળા બજારિયાઓ તેમજ કાળાં નાણાંના હવાલા પાડનારાઓને પકડીને જેલમાં ધકેલી દીધા. મિસા હેઠળ તો નેતા અને મોટા ડોનને જ નાખવામાં આવ્યા એ સિવાયના લોકોની વિવિધ કલમ હેઠળ ધરપકડ તેમજ કેટલાંકની અટકાયત કરવામાં આવી હતી. કેટલાંક વેપારીઓને ઇકોનોમિક ઓફેન્સ તળે જેલમાં નાખી દીધા હતા.
આમ, માત્ર રાજકારણમાં જ નહીં, પણ મુંબઈની અંધારી આલમ માટે પણ એ ખરેખર કટોકટીનો કાળ હતો. જે માફિયાઓ જેલભેગા નહોતા થયા એ કટોકટીના ૧૯ મહિના દરમિયાન ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા.
હાજી મસ્તાન ૯૦ દિવસ સુધી મિસા હેઠળ જેલમાં હતો. જેલમાંથી બહાર આવ્યા પછી તેના પર કન્ઝર્વેશન ઓફ ફોરેન એક્સચેન્જ એન્ડ પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. તેથી એ ચૂં કે ચા કરી શકે એમ નહોતો. કરીમ લાલાએ તો કટોકટીના તમામ મહિનાઓ જેલમાં જ વિતાવવા પડયા હતા. કરીમ લાલાએ તો રામ જેઠમલાણી જેવા વકીલને રોક્યા હતા છતાં કંઈ વળ્યું નહોતું. મુંબઈની આર્થર રોડ જેલ, થાણેની સેન્ટ્રલ જેલ તેમજ પૂણેની યરવડા જેલ અને ઔરંગાબાદની હરસૌલ જેલ ઊભરાઈ ગઈ હતી.
સિત્તેરના એ દાયકામાં હાજી મસ્તાન, કરીમ લાલા, યૂસુફ પટેલ અને વરદરાજન મુદ્દલિયાર મોટાં માથાં એટલે કે ડોન હતાં. રમા નાઇક, અરુણ ગવળી અને દાઉદ ઇબ્રાહિમ ત્યારે ગુંડા હતા. આ તમામ લોકોને કટોકટી વખતે જેલમાં મોકલી દેવાયા હતા. હાજી મસ્તાન પર તો મિસા અને કન્ઝર્વેશન ઓફ ફોરેન એક્સચેન્જ એન્ડ પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટ હેઠળ જડબેસલાક કેસ બનાવવામાં આવ્યા હતા. જ્યારે કે દાઉદ, ગવળી અને રમા નાઇક પર નેશનલ સિક્યોરિટી એક્ટ(એનએસએ) અંતર્ગત કેસ નોંધવામાં આવ્યા હતા. રમા નાઇક મટકા અને શરાબનો કારોબારી હતો. રમા નાઇક અને અરુણ ગવળી વચ્ચે દોસ્તી હતી.
જોવાની વાત એ છે કે મુંબઈના તમામ માફિયા જેલમાં ભેગા થયા હતા. કહેવાય કે કટોકટીએ જાણે બધાની જેલમાં મિટિંગ ગોઠવી આપી હતી. બધા દેડકા એક છાબડામાં ભેગા થઈ ગયા હતા. આના પરિણામે એવું થયું કે જેલમાંથી બહાર છૂટયા ત્યારે કેટલાંક ગ્રૂપ તૈયાર થઈને આવ્યાં. જેમ કે, વરદરાજન મુદલિયારને લાગ્યું કે લાગ્યું કે રમા નાઇક લાંબી રેસનો ઘોડો છે. તે કાઠું કાઢશે,તેથી બંને વચ્ચે જેલમાં જ ટયુનિંગ થઈ ગયું હતું. મુંબઈને અડીને આવેલા વસઈ અને વિરારની ખાડીઓનો દાણચોરી માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય એનો પ્લાન તે બંનેએ જેલમાં જ તૈયાર કરી લીધો. બંનેએ નક્કી કરી લીધું કે જેલમાંથી છૂટયા બાદ ત્યાંથી સ્મગલિંગ ઓપરેશન પાર પાડશું.
દાઉદ, ગવળી, રમા નાઇક વગેરેએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. એ વખતે તેઓ ગુંડા હતા, ડોન નહોતા. તેમના પર મોટા ગુના નહોતા અને જે હતા એની સામે મજબૂત પુરાવા નહોતા, તેથી તેમને જામીન પર છુટકારો મળી ગયો હતો.

કરીમ લાલા અને હાજી મસ્તાન મોરારજી દેસાઈને ઘૂંટણીયે પડયા
કટોકટી લાગુ થઈ એના કેટલાંક અઠવાડિયાં પછી મુંબઈના પોલીસ વડા તરીકે એસ.વી. ટાંકીવાળાની નિમણૂક થઈ હતી. તેમણે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આપેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે એન્ટિ સ્મગલિંગ ડ્રાઇવમાં કુલ ૨૮૮ દાણચોરોને ઝબ્બે કરવામાં આવ્યા હતા તેમજ ૧૭૭ દાણચોરોની મિલકત જપ્ત કરવામાં આવી હતી.
ક્લાઇમેક્સ તો એ હતો કે કટોકટી દરમ્યાન બે વર્ષ જેલના આંટાફેરા બાદ હાજી મસ્તાન અને કરીમ લાલાને સમજાઈ ગયું હતું કે હવે કાયદાની પકડ મજબૂત બની છે અને માફિયા તરીકે ઝાઝું ખેડી શકાય એમ નથી. કટોકટી બાદ થયેલી ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો અને જનતા સરકાર ચૂંટાઇ હતી. હાજી મસ્તાન અને કરીમ લાલા જઈને જનતા દળના ટોચના નેતા જયપ્રકાશ નારાયણને મળ્યા હતા. તેમને આજીજી કરી હતી કે વડાપ્રધાન મોરારજી દેસાઈને કહો કે અમારા પર સહેજ રહેમ રાખે. બંનેએ સોગંધનામું રજૂ કરીને સરકારને બાંહેધરી આપી હતી કે તેઓ હવે કોઈ ગેરકાયદે કામમાં નહીં સંડોવાય. મોરારજી દેસાઈએ તેમની વિનવણી માન્ય રાખી હતી અને તેમના પર લટકતી અટકાયતની તલવાર ટળી હતી. હાજી મસ્તાન એ પછી જયપ્રકાશ નારાયણની પાર્ટીમા જોડાયા હતા. ડોનમાંથી રાજકારણી બન્યા હતા. કરીમ લાલાને પણ સમજાઈ ગયું હતું કે પોતાના કિલોમીટર પૂરા થઈ ગયા છે.


દાઉદ - ગવળીગેંગસ્ટરમાંથી ડોન બન્યા
કટોકટી પછી કરીમ લાલા અને હાજી મસ્તાન ડોનમાંથી ડાઉન થઈ ગયા હતા. બીજી તરફ દાઉદ, રમા નાઇક અને અરુણ ગવળી માટે મેદાન થોડું મોકળું થયું હતું. ગેંગસ્ટરમાંથી ડોન બનવાની તેમની ગતિ કટોકટી બાદ તેજ થઈ ગઈ હતી. એ પછી એંશીના દાયકામાં તો બાકાયદા દાઉદ ઇબ્રાહિમ અને અરુણ ગવળી ડોન થઈ ગયા હતા. અંધારી આલમનો એક અધ્યાય કટોકટી પછી પૂરો થયો હતો. 
૧૯૭૭માં કટોકટી ગઈ પછી દાઉદ અને ગવળી જેવા ગેંગસ્ટરનું કદ વધી ગયું હતું. કટોકટી પૂરી થઈ એના ચોથા વર્ષે ૧૯૮૧માં મુંબઈમાં મિલ કામદારોની પ્રચંડ હડતાળ પડી હતી. ટ્રેડ યુનિયન લીડર દત્તા સામંતની હાકલથી હડતાળ પડી હતી. જેને લીધે અનેક કામદારો બેકાર થઈ પડયા હતા. પૈસાના અભાવે કેટલાય યુવાનિયા અરુણ ગવળી અને દાઉદની ગેંગમાં જોડાયા હતા. બંનેની ગેંગનું વજન વધ્યું હતું. ૧૯૮૧ પછી તો તેઓ ડોન તરીકે પંકાવા લાગ્યા હતા. મુંબઈને હંફાવવા લાગ્યા હતા. છતાં મુંબઈ પોલીસ તેમને પકડી શકતી નહોતી. આમ, દાઉદ અને અરુણ ગવળી ડોન બન્યા એમાં કટોકટી અને મિલ કામદારોની હડતાળે મોટો રોલ ભજવ્યો હતો.
અરુણ ગવળી, રમા નાઇક અને બાબુ રેશીમે મળીને બી.આર.એ. કંપની નામની ગેંગ બનાવી હતી. ત્રણેયના પહેલા અક્ષર પરથી ગેંગનું નામ પાડવામાં આવ્યું હતું. ૧૯૮૮માં મુંબઈના નાગપાડા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર રાજન કટધરેના હાથે રમા નાઇકનું એન્કાઉન્ટર થયું હતું. ત્યાર પછી બાબુ રેશીમનું પોલીસ લોકઅપમાં મોત થયું હતું. આ બંને મોતમાં ગવળીને દાઉદનો હાથ હોવાનું જણાયું હતું.
બીજો અધ્યાય
 અંધારી આલમનો એક અધ્યાય કટોકટી પછી પૂરો થયો હતો અને બીજો તેમજ વધુ જોખમી અધ્યાય પછી શરૂ થયો હતો. જે અંડરવર્લ્ડ કટોકટી સુધી માત્ર દાણચોરી અને મીલકત હડપવા પર નભતું હતું એનું જોખમ પછી વધુ વિસ્તર્યું હતું. પ્રોટેક્શન મની,ખંડણી, કોન્ટ્રાક્ટ કિલિંગ, ડ્રગ્સ વગેરે માફિયાગીરી દાઉદ અને ગવળીકાળમાં વધી હતી. ૧૯૯૨ના મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટોની ઘટના દ્વારા તો અંધારી આલમે આતંકવાદની પણ રાહ પકડી હતી. અંધારી આલમને આતંકવાદ સુધી દોરી જનારો દાઉદ ઇબ્રાહિમ હતો,જે દેશ માટે સૌથી જોખમી પરચો હતો. હાજી મસ્તાન અને કરીમ લાલાએ દાદાગીરીમાં પણ પોતાનાં ધારાધોરણ રાખ્યાં હતાં. તેઓ મુખ્યત્વે દાણચોરી કરતા હતા અને બેનામી મિલકતો ઊભી કરતા હતા. તેઓ ડ્રગ્સ કે આતંકવાદના કારોબારમાં ક્યારેય નહોતા પડયા. દાઉદ ઇબ્રાહિમે અન્ડરવર્લ્ડનાં નવાં સમીકરણ સેટ કર્યાં અને તમામ મર્યાદાઓ તોડી નાખી. તેણે કોઈ નિયમો જ રાખ્યા નથી. દાઉદ પોતાને બિઝનેસમેન ગણાવે છે અને તેની બિઝનેસની વ્યાખ્યા એ છે કે કોઈ પણ રીતે પૈસા આવવા જોઈએ. જ્યાં પૈસો બનતો હોય ત્યાં કોઈ નીતિનિયમ, ધારાધોરણ હોતાં નથી.
હવે અંડરવર્લ્ડ એ હદે વિસ્ફારિત થઈ ગયું છે કે મિસા તો શું કોઈ પણ કડક કાયદા એને કંટ્રોલ કરી શકે એમ નથી. છોટા રાજન ઓસ્ટ્રેલિયામાં છે. દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં છે. અંધારી આલમનો કંટ્રોલ ટાવર ભારતની ભૂગોળની બહાર છે. કાનૂનના હાથ ભલે લાંબા હોય પણ દેશની બહાર એનું કદ વેતરાઈ જાય છે.     

   
કટોકટી એટલે શું?
દેશમાં અસામાન્ય સંજોગો હોય અને આંતરિક સુરક્ષા સામે જોખમ હોય એટલે કે કટોકટીની સ્થિતિ હોય તો નાગરિકોના અધિકાર પર કાપ મૂકવાની કે એ અધિકાર છીનવી લેવાની બંધારણમાં જોગવાઈ છે. એ અંતર્ગત કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય તો કટોકટી લાગુ કરવામાં આવે છે.
૨૫ જૂન, ૧૯૭૫થી ૨૧ માર્ચ, ૧૯૭૭ સુધી દેશમાં કટોકટી લાગુ કરવામાં આવી હતી. ઇન્દિરા ગાંધી સરકારે કટોકટી લાગુ કરી હતી. જેને હાલમાં જ ચાલીસ વર્ષ પૂરાં થયાં છે. દેશની અત્યંત કલંકપૂર્ણ ઘટનાઓમાં કટોકટી સામેલ છે. ઇન્દિરા ગાંધીએ જ્યારે કટોકટી લાદી ત્યારે દેશ સામે કોઈ આંતરિક સુરક્ષાનું જોખમ નહોતું. તેમણે માત્ર પોતાના રાજકીય વર્ચસ્વ ખાતર, કહો કે અંગત લાભ ખાતર કટોકટી લાગુ કરી હતી. જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં બિહારમાં ભ્રષ્ટાચાર સામે જંગી આંદોલન ચાલુ હતું. જેમાં ઇન્દિરા ગાંધી સામે તીવ્ર અસંતોષ હતો. આ કોઈ રાષ્ટ્રીય સંકટ નહોતું. એને ખાળવા માટે ઇન્દિરા ગાંધીએ કટોકટી લાગુ કરીને બંધારણીય જોગવાઈનો દુરુપયોગ કર્યો હતો.
૧૯૭૫ની ૨૫ જૂને મોડી રાતે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સિદ્ધાર્થશંકર રાય અને કેન્દ્રીય કાયદાપ્રધાન એચ.આર. ગોખલે રાષ્ટ્રપતિ ભવન ગયા હતા. એ વખતે ફખરુદ્દીન અલી રાષ્ટ્રપતિ હતા. તેમને ઊંઘમાંથી જગાડીને કહેવામાં આવ્યું કે આ દસ્તાવેજ પર સાઇન કરી દો. રાષ્ટ્રપતિ સવાલ કરે એ પહેલાં જ કહી દેવામાં આવ્યું કે વડાપ્રધાન આવતી કાલે કેબિનેટની બેઠક બોલાવવાનાં છે. એમાં આ નિર્ણય પર મંજૂરી લઈ લેવાશે. રાષ્ટ્રપતિએ તરત સહી કરી દીધી. એ દસ્તાવેજ કટોકટી લાગુ કરવા માટેનો હતો.
એ પછી દેશમાં કટોકટી લાગુ થઈ હતી. જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, જ્યોર્જ ફર્નાન્ડિઝ, અટલ બિહારી વાજપેયી,લાલકૃષ્ણ અડવાણી, અશોક મહેતા વગેરે જેલભેગા થયા હતા.

છપ્પનવખારી - કમ્યુનિકેશન્સ ક્રાંતિ અને અકરાંતિયાપણું

Sandesh - Ardh Saptahik Purti - 22 July 2015

છપ્પનવખારી : તેજસ વૈદ્ય

ઉપયોગ અને અકરાંતિયાપણા વચ્ચે વિવેકની એક પાતળી રેખા હોય છે. કોમ્યુનિકેશન્સની જે ક્રાંતિ થઈ છે એ ખરેખર આશીર્વાદરૂપ છે. દરેકના હાથમાં મોબાઇલ આવી ગયા છે. ઘેર ઘેર વોટ્સએપ પહોંચી ગયું છે. ફેસબુક એટલું પોપ્યુલર છે કે લોકોને ફેસ ટુ ફેસ મળવાનું પણ જરૂરી નથી લાગતું. મુદ્દો એ છે કે કોમ્યુનિકેશન્સનાં આ બેનમૂન માધ્યમોનો ઉપયોગ હવે અકરાંતિયાની જેમ થવા માંડયો છે. આ માધ્યમોએ જ માણસને ક્યાંક એકલો તો નથી કરી દીધોને!


"બેટા, તું આજકાલ તારા જૂના દોસ્તોને મળવા નથી જતો. અગાઉ તો પંદર-વીસ દિવસ થાય એટલે તરત દોડી જતો હતો."
"પપ્પા, અમે હવે વોટ્સએપ ગ્રૂપ બનાવી લીધું છે. રોજ વોટ્સએપ પર મળીએ છીએ. રોજ વાતો થાય છે, તેથી રૂબરૂ મળવાની કંઈ જરૂર રહેતી નથી.
એક પરિવારમાં ચાર સભ્યો છે. મમ્મી એકતા કપૂરબ્રાન્ડ સિરિયલ જોવામાં વ્યસ્ત છે. દીકરો પોતાના સેલફોન પર ગેઇમ રમે છે. દીકરી પોતાના સેલફોન પર વોટ્સએપમાં વ્યસ્ત છે. પપ્પા કાં તો છાપું વાંચે છે કાં બીજા રૂમમાં ટીવી જુએ છે. આવો સીન કદાચ તમે આસપાસના કોઈના ઘરમાં જોયો હશે. શક્ય છે કે તમારા ઘરમાં જ આવું ચિત્ર ક્યારેક સર્જાતું હોય. ટૂંકમાંઘરમાં બધા સભ્યો હાજર હોય અને એકબીજા સાથે વાતો કરવાને બદલે મોબાઇલ કે ટીવી પર વ્યસ્ત હોય, એટલે કે વર્ચ્યુઅલ વર્લ્ડમાં જ મસ્ત હોય!
કેટલાંક દોસ્તો કે સંબંધીઓ દસ-પંદર દિવસે મળે ત્યારે પણ આવો જ માહોલ સર્જાતો હોય છે. પંદર વ્યક્તિ ભેગી થઈ હોય એમાંથી ચાર કે પાંચ વાત કરતી હોયએ સિવાયના લોકો માત્ર હાજરી પુરાવવા આવ્યા હોય એમ સેલફોનમાં ફેસબુક કે વોટ્સએપ કે કોઈનો ફોન કોલ અટેન્ડ કરવામાં વ્યસ્ત હોય છે.
સૌથી બેહૂદું ચિત્ર તો એ છે કે ઘરમાં મહેમાન આવ્યા હોય ત્યારેય ઘરમાં ટીવી ચાલુ હોય. ઘરમાં મહેમાન પધારે એટલે ટીવી બંધ કરીને તેમના પર જ ધ્યાન આપવાનું હોય. ઘરે આવેલા મહેમાન આવી સ્થિતિમાં કોચવાયા કરે છે કે અમે ખોટા ટાઇમે તો આવ્યા નથીને! કોઈ વ્યક્તિ માંડ ફુરસદ કાઢીને તમને મળવા આવી હોય અને તમે ટીવી ચાલુ રાખો ત્યારે વાતો નથી થતી. વાતોની માત્ર ઔપચારિકતા નિભાવાતી હોય છે. રૂબરૂ મળવાની જે મજા છે એ નંદવાઈ જતી હોય છે.
વર્ચ્યુઅલ વાસ્તવિકતા

આટલા દાખલા ટાંકીને ભૂમિકા બાંધવાનું કારણ એ છે કે હવે રૂબરૂ મળવાના અને વાતોની મહેફિલ જમાવવાના દુકાળ પડવા માંડયા છે. ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, સ્કાયપ જેવા કમ્યુનિકેશન ક્રાંતિના ઝંડા શહેર અને ગામેગામ લહેરાવા માંડયા છે. કમ્યુનિકેશન્સ ક્રાંતિએ બે દૂરના છેડાના અમેરિકા અને અમદાવાદના માણસને નજીક લાવી દીધા છે અને ઘરના બે માણસો વચ્ચે અંતર વધારી દીધું છે. મોટાં શહેરોની અંદર હવે કુટુંબ નાનાં થઈ ગયાં છે. દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, ચેન્નાઈ, અમદાવાદ વગેરે શહેરોમાં એવાં કેટલાંય કપલ એટલે કે યુગલ હશે જેઓ રૂબરૂ વાત કરતાં હોય એના કરતાં સેલફોન પર વધુ વાત કરતાં હોય.
નાનાં છોકરાંવ પણ ઘરે પપ્પાની રાહ એટલા માટે જોતા હોય છે કે પપ્પા આવે એટલે મોબાઇલમાં ગેઇમ રમવા મળે. ઘરમાં દૂધની તપેલી ક્યાં છે એ બિલાડી શોધી લે છે એમ ટાબરિયાં પપ્પાના મોબાઇલમાંથી ગેઇમ શોધી લે છે. ઘરમાં છોકરું રીડિયારમણ કરતું હોય તો શાંત કરવા ગેઇમ રમવા મોબાઇલ પકડાવી દેનારાં પેરેન્ટ્સ પણ તમે જોયાં જ હશે. નાના ગામમાં પણ એવું જોવા મળે છે કે કોઈ માણસ દુકાનમાં મોબાઇલનો ટોકટાઇમ રિચાર્જ કરાવવા ગયો હોય ત્યારે ટાબરીયું ટકોર કરે કે પપ્પા તમે મોબાઇલમાં ફલાણી ગેઇમ નખાવી લોને! બાપને બિચારાને એ ગેઇમનું નામ પણ ખબર ન હોય! નાનાં છોકરાંવ પર મોબાઇલ મેનિયા એ હદે હાવી થઈ ગયો છે કે એ બાળપણમાં જ 'ગેઝેટગુરુબની જાય છે. જેમ બાળ મજૂરી હટાવવા માટે ઝુંબેશ ચાલે છે એમ બાળકોને મોબાઇલથી દૂર રાખવા માટે પણ કોઈ ઝુંબેશ ભવિષ્યમાં શરૂ થાય તો નવાઈ નહીં.
કિતને દૂર-કિતને પાસ

કમ્યુનિકેશન્સ ક્રાંતિએ છેલ્લા પંદર-વીસ વર્ષમાં ભારતમાં જબરો ફેલાવ કર્યો છે અને જનજીવન પર અદ્વિતીય અસર ઊભી કરી છે. વીસેક વર્ષ અગાઉ કોઈને કલ્પના પણ નહીં હોય કે કોમ્યુનિકેશન્સનાં વિવિધ ઉપકરણો શહેર અને ગામડાંના દરેક ઘરમાં ઘૂસીને એવી અનિવાર્યતા ઊભી કરી દેશે કે એના વિના ચાલશે નહીં.
કોમન મેન માટે કમ્યુનિકેશન્સ ક્રાંતિ જેવી આશીર્વાદરૂપ ઘટના બીજી એકેય નથી. કોઈ વ્યક્તિ નવું ઘર ખરીદે છે. એ ઘરના દરવાજે શ્રી ગણેશાય નમઃ કે ૭૮૬ લખે છે. એ દરવાજાનો ફોટો અને આખા ઘરનો વીડિયો પાંચ કે સાત મિનિટમાં દૂર વસતા સંબંધીને મોકલી શકે છે. એ આશીર્વાદરૂપ ઘટના જ છે. બેન્કમાં તમારા ખાતામાં કેટલાં કાવડિયાં છે એ સેલફોનના ટેરવે જાણી શકો કે વીજળીનું બિલ મોબાઇલથી અડધી મિનિટમાં ભરી શકો એ આશીર્વાદ જ નહીં સુખદ ચમત્કાર છેતેથી કમ્યુનિકેશન્સ ઉપકરણોના ફાયદાનો તો તોટો જ નથી.
મુદ્દો એ છે કે કોઈ પણ ઉપકરણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરતાં માણસને આવડવો જોઈએ. માણસને અકરાંતિયાની જેમ એનું વળગણ ન હોવું જોઈએ. જો માણસને એનો યોગ્ય ઉપયોગ ન આવડે તો ઉપકરણ માણસ પર ચઢી બેસે છે. આજે એવું જ થઈ રહ્યું છે. વર્ચ્યુઅલ જગતની વાસ્તવિકતા એ છે કે બે દૂરના માણસ નજીક આવ્યા છે અને નજીકના માણસો વચ્ચે અંતર પડવા માંડયું છે.


 ટેક્નોલોજીએ રોમાન્સની મજા ઘટાડી દીધી છે
યુવક-યુવતીની સગાઈ થાય એ પછી તેમની મુલાકાતો વધે છે. એ મુલાકાત દરમ્યાન યુવક કે યુવતી ભાવિ પતિ કે પત્ની સાથે વાત કરવાને બદલે વોટ્સએપ પર મંડયાં હોય અને સગાઈઓ તૂટી હોય એવા કિસ્સાય બન્યા છે. અગાઉ મંગેતર છોકરી અને છોકરો મળતાં તો છોકરી શરમાઈને જમીન ખોતરતીહવે વોટ્સએપ ખોતરે છે. ફિલ્મમેકર કરણ જોહરે સરસ વાત કહી હતી. તેણે કહ્યું હતું કે, "ટેક્નોલોજીએ રોમાન્સની મજા ઘટાડી દીધી છે." રોમાન્સની જ નહીંતહેવારની પણ મજા મર્યાદિત કરી દીધી છે. દિવાળી કે ઈદ જેવા તહેવારમાં રૂબરૂ મળવાને બદલે વોટ્સએપ પર શુભકામના મોકલીને પતાવી દેવાવાળાઓની સંખ્યા વધી રહી છે.
સવારે ઊઠીને હથેળી જોઈને કરાગ્રે વસતે લક્ષ્મી... બોલનારા લોકો હવે ઊઠતાંવેંત હથેળીમાં મોબાઇલ મૂકીને પેન્ડિંગ વોટ્સએપ મેસેજ ચેક કરે છે. ગઈ કાલે સાંજે મૂકેલી સેલ્ફીને ફેસબુક પર કેટલી લાઇક્સ અને કોમેન્ટ મળે છે એ ચેક કરે છે. વીસેક મિનિટ એમાં વીતે છે. પછી પથારીમાંથી આળસ મરડાય છે અને વોશરૂમની વાટ પકડાય છે અને પછી મોંમાં બ્રશ ફરે છે. આવા લોકોને રાત્રે સૂવામાં મોડું પણ સોશ્યલ મીડિયા વળગણને કારણે જ થતું હોય છે. આને કહેવાય માણસનું સોશ્યલ મીડિયા પ્રત્યેનું અકરાંતિયાપણું.
અકરાંતિયાપણાની હદ તો એ છે કે સ્મશાનમાં અંત્યેષ્ટિ માટે આવેલા ડાઘુઓ પણ દાહ અપાયા પછી ખૂણો પકડીને વોટ્સએપ ખોલીને બેસી જાય છે. અકરાંતિયાપણાને તો સ્મશાનવૈરાગ્ય પણ નથી આવતું.
લોકો પર સોશ્યલ મીડિયાના વળગણ એ હદે હાવી થઈ ગયાં હોય છે કે નવા વર્ષની શરૂઆતમાં લેવાતા રેઝોલ્યુશન્સ એટલે કે પ્રતિજ્ઞાામાં પણ સોશ્યલ મીડિયાનો સમાવેશ થઈ ગયો છે. 'હવેથી હું ફેસબુક પર ચોંટેલી કે ચોંટેલો નહીં રહું', 'હવેથી હું વોટ્સએપ મેસેજમાં મર્યાદા મૂકી દઈશવગેરે વગેરે. જોકેઆ પ્રકારની કામચલાઉ પ્રતિજ્ઞાા ક્યારેય પળાતી હોતી જ નથી એ પણ એક સત્ય છે.
વાતનો આપણો તંતુ એ છે કે માણસ હવે વર્ચ્યુઅલ જગતમાં વધુ રાચે છે. સાથે બેસીને વાતો કરવા કરતાં વોટ્સએપ ચેટિંગ, મેસેન્જર, ફેસબુક, ટ્વિટર દ્વારા થતી વાતચીતનું ચલણ વધ્યું છે.
 નસીરુદ્દીન શાહ એવો એક્ટર છે જેને પોતાને ફિલ્મના નહીં પણ નાટકના અભિનેતા તરીકે ઓળખાવવું વધુ ગમે છે. તેણે કહ્યું હતું કે, "મને નાટક કરવાં એટલા માટે ગમે છે કે એ બહાને હું લોકોને મળું છું. તેમની સાથે સંવાદ સાધું છું. નાટકની ભજવણી દ્વારા હું લોકો સાથે વાત કરું છું. બાકીલોકો આજકાલ એટલા વ્યસ્ત હોય છે કે એકબીજા માટે સમય નથી. મેસેજથી પતતું હોય તો મળવાનું ટાળે છે."
છૂટાછેડાના ઘણાં કેસ એવા હોય છે કે જેમાં પતિ કે પત્નીને કાઉન્સેલિંગની જરૂર જ હોતી નથી. તેમને માત્ર એક શ્રોતાની જરૂર હોય છે જે તેમને સાંભળે. છૂટાછેડાના ઘણાં કારણોમાંનું મહત્ત્વપૂર્ણ કારણ એ હોય છે કે પતિ કે પત્ની એકબીજા માટે સમય ફાળવતાં હોતાં નથી. એકબીજા માટે સમય ફાળવીને વાતો કરવી એ જીવનની મહત્ત્વપૂર્ણ જરૂરિયાત હોય છે.
નોર્મલ માણસ માટે પણ વાત કરવી, કોઈ પોતાને સાંભળે અને પોતે સામેવાળાની બે વાત સાંભળે એવી તેની જરૂરિયાત હોય છે. માણસ પાસે વાત કરવા માટે યોગ્ય દોસ્તો હોય તો એના માટે દુઃખના ડુંગરા ખૂબ નાના થઈ જાય છે. એ દોસ્ત પછી પત્ની પણ હોઈ શકે કે ઓફિસમાં સાથે કામ કરતો કર્મચારી પણ હોઈ શકે.
કેટલાંક લોકો આખો દિવસ ફેસબુક કે અન્ય સોશ્યલ સાઇટ્સ પર ઓનલાઇન હોય છે. આનું કારણ એ હોઈ શકે છે કે તેમને રિઅલ વર્લ્ડમાં નજીકના મિત્રો હોતા નથીકાં તો એ વ્યક્તિ સોશ્યલાઇઝ થવામાં થોડી શરમાળ છે. એવું પણ હોઈ શકે કે ફેસબુક ફ્રેન્ડલિસ્ટમાં કે વોટ્સએપ કોન્ટેક્ટ્સમાં કોઈ એવું છે જે તેમની અત્યંત નજીક છેતેથી પણ તેઓ સતત ઓનલાઇન જોવા મળે છે. ઓનલાઇનના આ વળગણમાંથી છૂટવાનો ઇલાજ એક જ છે કે મિત્રો રૂબરૂ મળે અને ઘડિયાળ બંધ કરીને કલાકોના કલાકો સુધી ગપાટા મારે અથવા તો સાથે ફરવા જાય.
અગાઉ ટીવી ઘેર ઘેર નહોતાં પહોંચ્યા અને ડેઇલી સોપના ડેઇલી ડોઝ નહોતા શરૂ થયા ત્યારે મહિલાઓ ઓટલે બેસતી હતી અને પંચાત એટલે કે ગોસિપ કરતી હતી. મહિલાઓ ચોવટ કરે એને લોકો સારું ન ગણતા. એના કેટલાંક ગેરફાયદા ખરા પણ ખરેખર તો એ ચોવટ કે ગોસિપ પરંપરા સારી હતી. વાતો કરવાનું સુખ મળતું. ગમે તેવી મુસીબત હોય તોપણ બહેનો ઓટલે એને વાગોળીને સહેજ હળવી થઈ જતી હતી. ગોસિપ મનદુરસ્તી માટે સારી છે એવું તો હવે વિદેશમાં થતાં સર્વે પણ કહેવા માંડયા છે. મુદ્દો એ છે કે હવે ટીવીએ ઓટલા ખાલી કરી દીધા છે.
તો વાત એમ છે કે લોકોને મળવું. બાત કરને સે હી બાત બનતી હૈ.      


  બોર્ડર લાઇન સેલ્ફી અને ક્રોનિક સેલ્ફી!

મોબાઇલથી ફોટો પાડવો એટલે કે સેલ્ફી લેવી એ એક સરસ વ્યવસ્થા છે. સોશ્યલ મીડિયા પર સેલ્ફી વહેતી કરો અને લોકો એના પર લાઇક્સ કે કમેન્ટ કરે તો મજા આવે. આ મજા ત્યારે જ આવે જ્યારે એ માફકસરનું હોય. સેલ્ફી મૂક્યા જ કરતાં લોકો પોતાનીય મજા બગાડે છે અને બીજાનીય મજા બગાડે છે. બસમાં બારીવાળી સીટ મળે તો સેલ્ફીસંતાન પહેલી વખત રડે તો એની સાથે સેલ્ફીસવારે ગાંઠિયા ખાતા હોય તો એની સેલ્ફી. ઘરમાં ચાઇનીઝ રાંધ્યું હોય તો એનો કટોરો પકડીને સેલ્ફી. સેલ્ફી જ સેલ્ફી. મારું જીવન એ જ મારી સેલ્ફી!
જોગનો ધોધ જોવા જનારા કેટલાંય લોકો સેલ્ફી લેવામાં એટલા વ્યસ્ત હોય છે કે ધોધને નિહાળવાની જે મોજ હોય છે એ ચૂકી જાય છે. તેમના માટે જોગના ધોધને આંખોમાં ભરી લેવા કરતાં સેલ્ફી પાડીને ફેસબુક પર લાઇક્સ મેળવી લેવાની મજા વધુ અગત્યની હોય છે. ક્યારેક એમ થાય છે કે લોકો બહાર ફરવા જાય છે કે સેલ્ફી પડાવીને ફેસબુક પર ચોંટાડવા જાય છે! સેલ્ફીની એક મજા છેપણ અકરાંતિયાપણાની મજા હોતી નથી. કેટલાંક લોકો ફેસબુક પર એટલી સેલ્ફી ચોંટાડયા કરતા હોય છે કે પોતાની જાતને ડિસ્પ્લે મોડેલ કે ગેલેરીના નમૂના બનાવી દીધી હોય છે.

અમેરિકન સાઇકિયાટ્રિસ્ટ એસોસિએશને તો સેલ્ફીની ઘેલછાને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર(ઓસીડી)ની કેટેગરીમાં સ્થાન આપ્યું છે. એસોસિએશને તો બોર્ડરલાઇન સેલ્ફીઅક્યુટ સેલ્ફી અને ક્રોનિક સેલ્ફી એવા ત્રણ પ્રકાર પાડયા છે. મોબાઇલનું વળગણ હાવી થઈ ગયું હોય તો સેલફોન ડાયેટ અને ડિજિટલ ડાયેટ જેવા પ્રોગ્રામ થાય છે. લોકો આપણે ત્યાં જેમ એકટાણાં કે ઉપવાસ કરે એમ અઠવાડિયામાં એક દિવસ સેલફોનથી દૂર રહે છે.

Article link
http://www.sandesh.com/article.aspx?newsid=3101686

છપ્પનવખારી - તૂ કિસી રેલ સી ગુઝરતી હૈ, મૈં કિસી પુલ સા થરથરાતા હૂં

Sandesh - Ardh Saptahik Purti - 29 July 2015

છપ્પનવખારી : તેજસ વૈદ્ય

સલીમ જાવેદે ફિલ્મ 'દીવાર'માં એંગ્રી યંગમેન આપ્યો એ અગાઉ સાહિત્યમાં દુષ્યંતકુમાર નામના એંગ્રી યંગમેનનો જન્મ થઈ ચૂક્યો હતો. દુષ્યંતકુમારની ગઝલો સિસ્ટમ સામે સવાલ ઊભા કરતી હતી અને વિદ્રોહી યુવાનો માટે મશાલ બનતી હતી. આજે પણ મોટાં આંદોલનો થાય છે ત્યાં દુષ્યંતની ગઝલો લલકારાય છે. હાલમાં જ રજૂ થયેલી બેનમૂન ફિલ્મ 'મસાન'માં દુષ્યંતકુમારની રોમેન્ટિક ગઝલ'તૂ કિસી રેલ...ફિલ્મના મહત્ત્વપૂર્ણ અંગ તરીકે રજૂ થઈ છે. યાદ કરીએ હિન્દી ગઝલના વિદ્રોહી રાજકુમાર દુષ્યંતકુમારને...


તૂ કિસી રેલ સી ગુઝરતી હૈ,
મૈં કિસી પુલ સા થરથરાતા હૂં
 
તૂ ભલે રત્તીભર ન સુનતી હૈ,
મૈં તેરા નામ બુદબુદાતા હૂં.
 
કિસી લંબે સફર કી રાતોં મેં,
તુઝે આલાવ સા જલાતા હૂં.
 
કાઠ કે તાલે હૈં, આંખોં પે ડાલે હૈં, ઉનમેં ઇશારોં કી ચાબિયાં લગા, 
રાત જો બાકી હૈ, શામ સે તાકી હૈ, નિયત મેં થોડી ખરાબિયાં લગા.
 
મૈં હૂં પાની કે બુલબુલે જૈસા,
તુઝે સોચું તો ફૂટ જાતા હૂં.
 
તૂ કિસી રેલ સી......
 - વરુણ ગ્રોવર
 
ઉપરની રચના વાંચી? એ વાંચ્યા વગર આગળ લેખ વાંચવાની મજા નહીં આવે. 'મસાન' ફિલ્મનું આ ગીત છે જે વરુણ ગ્રોવરે લખ્યું છે. ગીતની મજા એ છે કે હિન્દીના પ્રખ્યાત રચનાકાર દુષ્યંતકુમારની જાણીતી ગઝલ તૂ કિસી રેલ સી ગુઝરતી હૈ...ને મુખડામાં મૂકી એક સ્વતંત્ર ગીત રચ્યું છે. ફિલ્મોમાં જ્યારે ગીતકાર કોઈ જૂના દિગ્ગજ રચનાકારની કૃતિમાંથી પ્રેરણા લઈને કશુંક સર્જે છે ત્યારે એક સરસ અને લાઇવ અનુસંધાન સર્જાય છે. અગાઉ પીયૂષ મિશ્રા, સ્વાનંદ કીરકીરે અને ગુલઝારે આવા પ્રયોગ કર્યા છે. આ પ્રકારના પ્રયોગ વધારે થવા જોઈએ. એને લીધે લોકોને એ મૂળભૂત શાયર કે કવિ વિશે વધુ જાણવાની ઉત્કંઠા જાગે છે. આજની નવી પેઢી એ બહાને એ મૂળભૂત શાયર કે કવિથી વાકેફ થાય છે. તેમના વિશે વધુ જાણવાની અને તેમની રચના વાંચવાની ઇચ્છા થાય છે.
વરુણ ગ્રોવર કહે છે કે, "મેં સ્કૂલની નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો ત્યારે દુષ્યંતકુમારની જાણીતી ગઝલ 'કૌન કહતા હૈ આસમાન મેં સુરાગ નહીં હૈ...'ની પંક્તિઓ દ્વારા સમાપન કર્યું હતું. ઉત્તર પ્રદેશ, બિહાર કે રાજસ્થાનમાં ૮૦ અને ૯૦ના દાયકામાં સ્કૂલ-કોલેજ લેવલે જે ડિબેટ કે વક્તૃત્વ સ્પર્ધાઓ થતી એમાં દુષ્યંતકુમારની પંક્તિઓ ન સાંભળવા મળે એવું ન બને. 'તૂ કિસી રેલ સી ગુઝરતી હૈ, મૈં કિસી પુલ સા થરથરાતા હૂં' માં દુષ્યંતકુમારનો કમાલ એ છે કે આ વાક્ય રોમેન્ટિક લાગતું નથી. કોઈ છોકરી ટ્રેનની જેમ પસાર થાય અને છોકરો પુલની જેમ ખળભળી ઊઠે એ સંદર્ભમાં પ્રથમ દૃષ્ટિએ રોમેન્ટિસીઝમ દેખાતું જ નથી. તરત બીજો વિચાર એ આવે કે આ ફૂલ - ભમરો કે ચંદા - ચકોરી જેવાં ઢાંચાઢાળ રોમેન્ટિક રૂપકો કરતાં ટ્રેન અને પુલનો સંદર્ભ એકદમ નવી અને લાઇવ અભિવ્યક્તિ છે. એમાં સેન્સ્યુઅલ એટલે કે વિષયાસક્તિ પણ ઝળકે છે. 'મસાન'માં તેમની જાણીતી રચનાનો આધાર લઈને ગીત બનાવવું મારા માટે થોડું ટફ હતું. મારે ગીતમાં સરળતા અને એ અસર જાળવી રાખવાની હતી જે ઓરિજિનલ ગઝલમાં છે. મને એક જ ડર હતો કે દુષ્યંત કુમારની રચના સાથે છેડછાડ થઈ હોય એવું ન લાગવું જોઈએ. મારા આ પ્રયાસમાં જો હું કેટલાંક વધુ લોકોને હિન્દી ગઝલના રાજકુમાર સુધી પહોંચાડવામાં સફળ રહું તો એ મારા માટે બોનસ રહેશે."
વરુણ ગ્રોવરે ધાર્યું નિશાન પાર પાડયું છે. 'મસાન' ફિલ્મનું એ ગીત આજકાલ અનેક યુવાઓના મોબાઇલમાં ગુંજવા લાગ્યું છે. ફિલ્મમાં એનું પિક્ચરાઇઝેશન પણ એટલું મનોહારી છે કે એ ગીત જોવાનું વારંવાર મન થાય. ફિલ્મનો સ્ક્રિનપ્લે પણ વરુણ ગ્રોવરે જ લખ્યો છે.
 'મસાન' અદ્ભુત ફિલ્મ છે. મસાન એટલે કે મસાણ એટલે કે સ્મશાન. ફિલ્મમાં રોમાન્સ છે. ફિલ્મોમાં ક્યારેય રજૂ નથી થયું એવું બનારસ છે. સિસ્ટમની ભ્રષ્ટતા લોકોના અસ્તિત્વ સાથે કેવો ખિલવાડ કરે છે એની વાત છે. સંઘર્ષ અને સંજોગોમાંથી સંવેદનાપૂર્વક ઉપર ઊઠીને જીવનમાં આગળ વધવાની વાત કહેતી ફિલ્મ છે. 'મસાન' એવી ટેક્સ્ટબુક ફિલ્મ છે જે વધુ એક દાખલો બેસાડે છે કે સાંપ્રત સમસ્યાઓ સામે નિસબતપૂર્વક સવાલ ઉઠાવીને મનોરંજક ફિલ્મ બનાવી શકાય છે.
'મસાન'માં દુષ્યંતકુમારની રચના 'કિસી રેલ સી ગુઝરતી હૈ...'ને રજૂ કરવામાં આવી છે, પણ બારીકાઈથી જોશો તો સમગ્ર ફિલ્મ દુષ્યંતકુમારની રચના'સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, મેરી કોશિશ હૈ કી યે સૂરત બદલની ચાહીએ' ને વફાદાર છે.
દુષ્યંતે નવા દૃષ્ટાંતો સાથે રોમેન્ટિક ગઝલો લખી છે, પણ મૂળે તેની ગઝલોનો સ્વભાવ વિદ્રોહ રહ્યો છે. તેમની રોમેન્ટિક રચનાઓમાં પણ ટિપિકલ શણગાર નથી હોતો. ક્યારેક તેમના રોમેન્ટિસીઝમમાં પણ વિદ્રોહ ઝળકે છે.
 મશહૂર શાયર નિદા ફાઝલી(નિદા ફાઝલી શાયર છે, ગીતકાર નહીં) એક વખત મુશાયરા સબબ ઉત્તર પ્રદેશના બિજનૌર ગયા હતા. બિજનૌરમાં નગરભ્રમણ એટલે કે સાઇટ સીઇંગ દરમ્યાન તેમને પથ્થરની ઠોકર વાગી. સાથી રાહગીરે તેમને સંભાળ્યા અને કહ્યું કે, "હુજૂર, યહ બિજનૌર હૈ... યહાં કી હર ચીઝ કાબિલે ગૌર હૈ."
એ પછી નિદા ફાઝલીએ એક લેખ લખ્યો. લેખ દુષ્યંતકુમાર વિશે હતો અને દુષ્યંતકુમાર બિજનૌરના હતા. નિદા ફાઝલી લખે છે, "દુષ્યંતની દૃષ્ટિ એના યુગના નવી પેઢીના ગુસ્સા અને નારાજગીથી નિર્માણ પામી છે. એ ગુસ્સો અને નારાજગી એ અન્યાય અને રાજકારણના કુકર્મોની સામે નવા તેવરનો અવાજ હતો. એ અવાજ મધ્યમવર્ગીય જુઠ્ઠાણાંનો નહીં પણ છેવાડાના લોકોની મહેનત અને દયાનો અવાજ હતો. દુષ્યંતની ગઝલોમાં એ માણસનો પડઘો છે જે માણસ અગાઉ કબીર, નઝીર અને તુકારામને ત્યાં જોવા મળ્યો હતો. જેણે નાગાર્જુન અને ધૂમિલના શબ્દોને ધારદાર બનાવ્યા હતા એણે જ દુષ્યંતની ગઝલોને ચમકાવી હતી." નાગાર્જુન અને ધૂમિલ હિન્દીના ઊંચેરા કવિ હતા. નઝીર અકબરાબાદી ઉર્દૂના મહાન શાયર હતા.
દુષ્યંતકુમારની મજા એ છે કે તેમણે એ વખતે આમ આદમીની ઝબાનમાં ગઝલ લખવાનું શરૂ કર્યું જ્યારે હિન્દીની ગઝલો પર ઉર્દૂ ઝબાનનો જબરો પ્રભાવ હતો. જેના વિદ્રોહને વાચા આપતા હો એને સમજાય એ રીતે લખાવું જોઈએ એ દુષ્યંતનો સૂર હતો. ઉર્દૂની ગઝલો પણ કાળાંતર વર્ષો સુધી ઇશ્ક, સાકી, બઝ્મ, તગાફુલ, બુલબુલ વગેરેમાંથી બહાર નીકળી નહોતી. દુષ્યંતે શાયરીને સીધી સિસ્ટમ સાથે જ શિંગડાં લેતાં શીખવ્યું.
દુષ્યંતકુમારની મજા એ પણ છે કે એમની ગઝલની ઝબાન સરળ છે, છતાં એના એક્સપ્રેશન્સ ફ્લેટ નથી. વિદ્રોહની કવિતાઓ ઘણી વખત ફ્લેટ હોય છે. વિદ્રોહની સાથે કાવ્યમાં સૂક્ષ્મ વિચાર હોય તો એ રચના લાંબી ટકે છે. દુષ્યંતકુમારની રચનાઓ કાળાંતર વર્ષ રાજ કરવાની છે એનું કારણ એનો વિદ્રોહ અને એમાં રહેલું દીર્ઘ ચિંતન છે.
 કોઈ પણ કલાકાર પછી એ સાહિત્યકાર હોય કે ફિલ્મમેકર હોય કે નાટયકાર હોય કે ચિત્રકાર, એની કલામાં જો વર્તમાનને વાચા ન હોય, બદીઓ સામે બળવો ન હોય તો એની કલા મર્યાદિત છે. એની રચનામાં પોલિટિક્સ ઓફ ધ આર્ટનું તત્ત્વ હોવું જ જોઈએ. દુષ્યંતકુમારની રચનાઓમાં ધ્યાનાકર્ષક બાબત એ જ છે. એમની રચનાઓમાં સરકારની બદીઓ સામે વિદ્રોહ છે. વિદ્રોહ તો બીજા ઘણાં કવિઓની રચનામાં હોય છે, પણ એ કવિઓનો સામાજિક, રાજકીય અને પરિસ્થિતિકીય અભ્યાસ ઓછો હોય છે. ઘણાં કવિઓ ફેશનેબલી રીતે વિદ્રોહી કવિતાઓ લખે છે, જે દુષ્યંતકુમારની ગઝલોની જેમ લાંબું જીવી શકતી નથી.
દુષ્યંતના સંગ્રહ 'સાયે મેં ધૂપ'ના અનેક શેર ૧૯૭૫-૧૯૭૭ની ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીને બયાન કરે છે. દુષ્યંતકુમાર ૩૦ ડિસેમ્બર, ૧૯૭૫ના રોજ અવસાન પામ્યા હતા. કટોકટી તો તેમના અવસાન પછી ૧૪ મહિના સુધી ચાલુ રહી હતી. જો તેઓ હયાત હોત તો વધુ રચનાઓ એને કેન્દ્રમાં રાખીને લખી હોત.
કટોકટી વખતે જયપ્રકાશ નારાયણ પર લાઠીચાર્જ થયો હતો. સરકારે એવો ખુલાસો કર્યો કે એ લાઠી તેમણે નથી ચલાવી. ત્યારે દુષ્યંતકુમારે જયપ્રકાશ નારાયણ માટે ગઝલ લખી હતી.
વો આદમી નહીં હૈ મુકમ્મલ બયાન હૈ,
માથે પે ઉસકે ચોટ કા ગહરા નિશાન હૈ.
ઇક સરફિરે કો યૂં નહીં બહેલા શકેંગે આપ,
યે આદમી નયા હૈ મગર સાવધાન હૈ.
સામાન કુછ નહીં, ફટે હાલ હૈ મગર,
ઝોલે મેં ઉસકે પાસ કોઈ સંવિધાન હૈ.
ઇન્દિરા ગાંધી પર વ્યંગ કરતી દુષ્યંતકુમારની આ રચનાનો અંડરટોન જુઓ.
મત કહો આકાશ મેં કોહરા ઘના હૈ,
યહ કિસી કી વ્યક્તિગત આલોચના હૈ.
દુષ્યંતકુમારની એ વિશેષતા રહી કે તેમણે ગઝલોને દેશની વર્તમાન પરસ્થિતિ સાથે જોડી. અગાઉ એવું કામ રામપ્રસાદ બિસ્મિલે કર્યું હતું. 'બિસ્મિલ'ને આજે પણ તેમની ગઝલથી જ યાદ કરવામાં આવે છે.
'સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ,
દેખના હૈ ઝોર કિતના બાજુએ કાતિલ મેં હૈ'
દેશપ્રેમની ગઝલો અને ગીતો આજે પણ લખાય છે, પણ સાંપ્રત અવ્યવસ્થા સામે વિદ્રોહ કરતી ગઝલો લખાતી નથી. ગુજરાતીમાં તો સાવ જ ઓછી લખાય છે. સામાજિક સરોકાર ધરાવતા બે-ચાર ગુજરાતી કવિઓને બાદ કરતાં કોઈ કવિની રચનામાં એ કૌવત નજરે પડતું નથી. આપણા મોટાભાગના ગઝલકારો સંવેદના અને સૌંદર્યમાંથી જ બહાર નથી આવ્યા. સામાજિક પરિસ્થિતિનો તેમનો અભ્યાસ પણ નથી.
દેશમાં હાંસિયામાં જીવતા લોકોની લાચારીના દુષ્યંતકુમાર પ્રવક્તા હતા. તેમના દબાયેલા સ્વરની અંદરનો ચિત્કાર દુષ્યંતકુમારે વફાદારીપૂર્વક વ્યક્ત કર્યો છે. જેને ગઝલમાં રુચિ હોય એણે દુષ્યંતકુમારને ન વાંચ્યા હોય એવું ભાગ્યે જ બની શકે. સાથે એ પણ ઉમેરવું રહ્યું કે જેણે દુષ્યંતકુમારને વાંચ્યા હોય એ તેનાથી પ્રભાવિત ન થયા હોય એવું પણ ન બની શકે.
આઝાદી મળતાં જ નવી સવાર ઊઘડશે એવું સોનેરી સપનું દેશે આંખમાં આંજ્યું હતું, પણ એવું ન થયું. આઝાદી પછી સર્જાયેલી રાજકીય અને સામાજિક આપાધાપી અને દેશની વિશીર્ણ સ્થિતિ ઉપર દુષ્યંતે લખ્યું,
ખડે હુએ થે અલાવો કી આંચ લેને કો,
સબ અપની અપની હથેલી જલા કે બૈઠ ગયે.
આ જ પરિસ્થિતિનો અન્ય એક શેર જુઓ,
ઇસ શહેર મેં અબ કોઈ બારાત હો યા વારદાત
અબ કિસી ભી બાત પર ખૂલતી નહીં હૈ ખિડકિયાં
અને પછી સગવડિયા લોકો માટે તેમણે લખ્યું,
લહુલુહાન નઝારોં કા ઝિક્ર આયા તો,
શરીફ લોગ ઉઠે દૂર જા કે બૈઠ ગયે.
 
હિન્દીમાં તો દુષ્યંતે ગઝલ પર એવી મૌલિક મુદ્રા કંડારી છે કે દુષ્યંત પહેલાંની ગઝલો અને દુષ્યંત પછીની ગઝલો એવા અભ્યાસ થાય છે. કેટલાંક એવું માને છે કે હિન્દીમાં ગઝલનો વિકાસ થયો એ દુષ્યંતકુમારના આવ્યા પછી થયો છે. વળી, દુષ્યંતકુમારની ગઝલોમાં પણ ઉર્દૂ, ફારસી શબ્દોનો બહોળો ઉપયોગ છે. તેમણે ગઝલને હિન્દીનો લિબાસ પહેરાવ્યો છે એવું નક્કી કરીને ગઝલો નથી લખી. તેઓ એક વાતે સ્પષ્ટ હતા કે ગઝલ આમ આદમીને કેન્દ્રમાં રાખીને લખાવી જોઈએ અને તેમને સમજાય એ શૈલીમાં લખાવી જોઈએ. ગાંધીજી કહેતા કે ભાષા કોસિયાને પણ સમજાઈ જાય એવી હોવી જોઈએ એ વાતને દુષ્યંતકુમારે બખૂબી ગઝલની બાનીમાં ઉતારી છે. દુષ્યંતકુમારે કહ્યું હતું કે, "હિન્દી અને ઉર્દૂ પોતાના સિંહાસનમાંથી ઊતરીને આમ આદમી પાસે આવે છે ત્યારે એમાં કોઈ ફર્ક કરવો મુશ્કેલ બની જાય છે."
 સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, મેરી કોશિશ હૈ કી યે સૂરત બદલની ચાહિયે. આ પંક્તિઓ એટલી મશહૂર થઈ ચૂકી છે કે મોટાભાગનાં આંદોલનોમાં લોકો એને લલકારતા હોય છે અને આ પંક્તિઓના પોસ્ટર લઈને ફરતા હોય છે. કેટલીક વખત તો એવું પણ જોવા મળે કે ચૂંટણીપ્રચારમાં બે વિરોધી પાર્ટીઓ આ એક સ્લોગન લઈને પ્રચાર કરતી હોય છે.
દુષ્યંતકુમારે ગઝલ ઉપરાંત નાટકો, વાર્તા, નવલકથા, સંસ્મરણો, રેડિયો રૂપક વગેરે ઘણું લખ્યું, પણ એ લોકોમાં વધુ પ્રચલિત થયા ગઝલકાર તરીકે. તેમણે ટોલ્સ્ટોયની એન્ના કેરેનીના જેવી મહાન નવલકથાનો હિન્દી અનુવાદ પણ કર્યો છે.
વિદ્રોહ અને સિસ્ટમની અવ્યવસ્થા વચ્ચેય દુષ્યંતકુમારે ક્યારેય આશાવાદ મૂક્યો ન હતો અને ગાયું હતું કે,
હો ગઈ હૈ પીર પર્બત સી પીઘલની ચાહિયે.
ઇસ હિમાલય સે કોઈ ગંગા નિકલની ચાહિયે.
મેરે સીને મેં ના સહી તો તેરે સિને મેં સહી,
હો કહીં ભી આગ, આગ જલની ચાહિયે.
 
દુષ્યંતકુમારની જે ગઝલની પ્રથમ બે પંક્તિઓ પરથી વરૂણ ગ્રોવરે ફિલ્મ 'મસાન'માં ગીત લખ્યું હતું એનાથી લેખની શરૂઆત થઇ હતી. હવે લેખના અંતમાં દુષ્યંત કુમારની એ મૂળ ગઝલ વાંચો...
 
તુ કિસી રેલ સી ગુઝરતી હૈ,
મૈં કીસી પુલ સા થરથરાતા હું
એક જંગલ હૈ તેરી આંખો મેં,
મૈં જહાં રાહ ભૂલ જાતા હું
હર તરફ ઐતરાઝ હોતા હૈ,
મૈં અગર રોશની મેં આતા હું
મૈં તુજે ભૂલને કી કોશીશ મેં,
અપને કિતને કરીબ પાતા હું - દુષ્યંત કુમાર




દુષ્યંત કુમારની કેટલીક ગઝલ

એક ગુડિયા કી કઈ કઠપૂતલિયોં મેં જાન હૈ,
આજ શાયર યે તમાશા દેખકર હૈરાન હૈ.
 
કલ નુમાઇશ મેં મિલા વો ચીથડે પહને હુએ,
મૈંને પૂછા નામ તો બોલા કિ હિન્દુસ્તાન હૈ.
 
મુજમેં રહતે હૈં કરોડોં લોગ, ચૂપ કૈસે રહું,
હર ગઝલ અબ સલ્તનત કે નામ એક બયાન હૈ.

- - - - 
 
 ઇસ નદી કી ધાર મેં ઠંડી હવા આતી તો હૈ,
નાવ જર્જર હી સહી, લહરોં સે ટકરાતી તો હૈ.
 
એક ચિનગારી કહીં સે ઢૂંઢ લાઓ દોસ્તોં,
ઇસ દીયે મેં તેલ સે ભીગી હુઈ બાતી તો હૈ.
 
એક ખંડહર કે હૃદય સી, એક જંગલી ફૂલ સી,
આદમી કી પીર ગૂંગી હી સહી, ગાતી તો હૈ.
- - - - -
 
તુમ્હારે પાંવોં નીચે કોઈ ઝમીં નહીં,
કમાલ યે હૈ કિ ફિર ભી તુમ્હેં યકીં નહીં.
 
મૈં બેપનાહ અંધેરોં કો સુબહ કૈસે કહું,
મૈં ઇન નઝારોં કા અંધા તમાશબીન નહીં.
 
તેરી ઝુબાં હૈ જૂઠી જમ્હુરિયત(લોકશાહી) કી તરહ,
તૂ એક ઝલીલ-સી ગાલી સે બહતરીન નહીં.

Article link
http://www.sandesh.com/article.aspx?newsid=3104697

છપ્પનવખારી - વરસાદ પાણી નથી લાવતો, લોકોના જીવમાં જીવ લાવે છે

Sandesh - Ardh Saptahik Purti - 5 Aug 2015

છપ્પનવખારી : તેજસ વૈદ્ય

"વરસાદ એ દેશના ખરા નાણાપ્રધાન છે." આ વિધાન જવાહરલાલ નહેરુનું છેકારણ કે દેશનું સૌથી પ્રબળ ચાલકબળ વરસાદ જ છે. ભારત ખેતીપ્રધાન દેશ છે એમ કહેવા કરતાં ભારત એ વરસાદપ્રધાન દેશ છે એવું કહેવું વધારે સાર્થક છે. સિંચાઈ જ નહીંપણ દેશનું પીવાનું પાણી પણ વરસાદ આધારિત જ હોય છે. ઉત્સવો હોય કે મેળા એ બધું જ વરસાદના ચકડોળે ગોઠવાયેલું છે. વરસાદ પર સટ્ટોય રમાય છે. સંતો ચાતુર્માસ ગાળે છે. વરસાદ તો જગતમાં બધે પડે છેપણ ભારત કદાચ એકમાત્ર એવો દેશ હશે જ્યાં વરસાદ એવું પરિબળ છે જે ખેડૂતોઅર્થશાસ્ત્રીઓ,હવામાનશાસ્ત્રીઓસટ્ટેબાજોશ્રદ્ધાળુઓસંતો વગેરેને એકસાથે અલગ અલગ રીતે સક્રિય કરતો હોય!



ભારતમાં ચોમાસું કેરળથી બેસે છે. લેખનું જે ટાઇટલ છે એ કેરળસ્થિત ઇન્ડિયન મીટિયરોલોજિકલ ડિપાર્ટમેન્ટના નિવૃત્ત ડિરેક્ટર જનરલ રંજન કેળકરે કહ્યું હતું. 'મોન્સૂન' નામની વરસાદી ડોક્યુમેન્ટરીને મુલાકાત આપતાં તેમણે કહ્યું હતું કે, "ભારતમાં વરસાદ એ પાણી નથી લાવતો, લોકોના જીવમાં જીવ લાવે છે, તેથી વરસાદ એ દેશનો આત્મા છે."
ટોરન્ટોના ફિલ્મમેકર સ્ટર્લા ગનેર્સને ભારતના વરસાદી રંગોને ઝીલીને એ રંગ નીતરતી ડોક્યુમેન્ટરી ફિલ્મ 'મોન્સૂન' બનાવી હતી. જે ગયા વર્ષે જગતના અનેક ફિલ્મ ફેસ્ટિવલ્સમાં રજૂ થઈ હતી. તાળીઓ સાથે એવોર્ડ્સ પણ એણે ખૂબ મેળવ્યા છે. હજી સુધી એ ફિલ્મ ભારતમાં થિયેટરનો પડદો જોઈ શકી નથી. ભારતીય સિનેમાઘરોમાં ડોક્યુમેન્ટરી રિલીઝ કરવાનું ખાસ ચલણ નથી. છતાંય આપણે વરુણદેવને પ્રાર્થના કરીએ કે ઝટ ભારતમાં એ ઉપલબ્ધ બને. કમ સે કમ એની ડીવીડી મળે. એ ફિલ્મનું ટ્રેલર યુ ટયૂબ પર છે. વર્ષા આ દેશનો કેટલો મોટો ઉત્સવ છે એની તમારે ઝલક માણવી હોય તો એ ટ્રેલર નિહાળશો એટલે માલૂમ પડી જશે. એ ડોક્યુમેન્ટરી બનાવતાં અગાઉ સ્ટર્લાએ ભારતમાં ૧૮ મહિના રિસર્ચ કર્યું હતું. સ્ટર્લા ગનેર્સને કહ્યું હતું કે, "ભારતનું અર્થશાસ્ત્ર વરસાદ કેન્દ્રિત છે. એક અબજ કરતાં વધારે લોકોનું જીવન વરસાદ પર નિર્ભર હોય અને એ લોકો મીટ માંડીને બેઠા હોય એ વાત જ મને સ્પર્શી ગઈ. પીવાના પાણીથી માંડીને સિંચાઈ સહિતની તમામ જરૂરિયાત વરસાદ જ પૂરી પાડે છે, તેથી ભારતમાં જ્યારે વરસાદ પડે છે ત્યારે જનજીવનને રાહત થાય છે. વરસાદ લોકોના આત્મવિશ્વાસ વધારે છે. ખરીદશક્તિ વધારે છે. ભારતમાં વરસાદ ન પડે તો માત્ર માણસના ઘરનું જ નહીં, દેશનું બજેટ ડામાડોળ થઈ જાય છે. વરસાદ ઓછો પડશે એવો વરતારો થાય ત્યારે લોકો પોતાનું બજેટ સંકેલી લે છે. ઘરમાં અનાજ વહેલું ભરી લે છે. હું પોતે ધર્મ અને ઈશ્વરમાં માનતો નથી, પણ મેં જોયું કે ભારતમાં વરસાદી સીઝન દરમ્યાન લોકોની શ્રદ્ધામાં ઘોડાપૂર આવે છે. વરસાદ તેમના માટે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાનો ડ્રાઇવિંગ ફોર્સ છે. આ બધું મેં ફિલ્મમાં ઝીલ્યું છે. 'મોન્સૂન' મેં ભારતને લખેલો પ્રેમપત્ર છે. મેં ફિલ્મમાં વરસાદથી ભીંજાતા ભારતના ખૂણેખૂણા ખૂંદ્યા. પહાડો, ટ્રાન્સપોર્ટેશન, શહેરો, રણ, જંગલ, દરિયા અને લોકજીવન આ બધું વરસાદ નીતરતું મેં કેમેરામાં ઝીલ્યું. પૂરને લીધે થતી તહસનહસ પણ મેં કેમેરામાં ઝીલી. હવે હું માનું છું કે ભારત સૌથી અજાયબીભર્યો અને આનંદ-વિસ્મયભર્યો દેશ છે."
મેળાઉત્સવો અને વરસાદ
આપણામાંના ઘણાં લોકોએ પ્રાથમિક શાળામાં નિબંધલેખનની શરૂઆત વર્ષાઋતુથી જ કરી હશે. ભારતના લોકજીવનમાં વરસાદ એટલું મહત્ત્વપૂર્ણ અંગ છે કે બાળક હજી પ્રાથમિક વર્ગમાં ભણતો હોય ત્યારે જ શિક્ષણમાં પણ વણાઈ જાય છે. ખાજલી ગુજરાતભરમાં મળે છે પણ 'પોરબંદરની ખાજલી'ની વાત ન્યારી. દાબેલી મુંબઈમાં મળે છે, પણ ત્યાંયે 'કચ્છી દાબેલી' નામ જ પોપ્યુલર છે. એવી જ રીતે વરસાદ તો જગતભરમાં પડે છે, છતાં 'ઇન્ડિયન મોન્સૂન' એવો શબ્દ જગતમાં પોપ્યુલર છે. ઇંગ્લિશનો 'મોન્સૂન' શબ્દ પણ સૌ પ્રથમ ભારતમાં જ બ્રિટિશરાજ વખતે કોઇન થયો હતો.
આપણા વરસાદની વાત જ ન્યારી છે. અહીં બારેય મેઘ ખાંગા થઈ શકે છે. સાંબેલાધાર, મુસળધાર, અનરાધાર અને ધોધમાર એમ ભગવાન જાણે કેટલીય ધારે વરસાદ પડી શકે છે. દિવસોથી જેના ચહેરા પર હાસ્ય ન પ્રગટયું હોય એવા અત્યંત દુઃખી માણસના ચહેરે પણ પહેલો વરસાદ તો ચહેરે સહેજ હળવાશ લાવી જ દે છે.
હિન્દુઓના ઘણાં ઉત્સવ વરસાદ દરમ્યાન તેમજ એના પછી આવે છે. જન્માષ્ટમી, રક્ષાબંધન, બહેનોના ગૌરીવ્રત તેમજ આદિવાસીઓના અનેક તહેવારો ચોમાસામાં જ ઊજવાય છે. શ્રાવણ મહિનો પોતે જ એક ઉત્સવ છે. જગન્નાથજીની રથયાત્રા ચોમાસામાં નીકળે છે અને ગણેશોત્સવ પણ ચોમાસામાં જ હોય છે. એવું કહેવાય છે કે ગણેશ વિસર્જન અને રથયાત્રા વખતે વર્ષાની હેલી થાય તો એને સવાયા શુકન ગણવામાં આવે છે. વરસાદનું હેડક્વાર્ટર ગણાતા કેરળ જેવા રાજ્યનો મહત્ત્વપૂર્ણ ઉત્સવ ઓનમ પણ ચોમાસામાં જ યોજાય છે. નવરાત્રિ અને દિવાળી વરસાદ પછી આવે છે. ચોમાસામાં વાવણી થઈ ગઈ હોય પછી ખેડૂતને થોડી નવરાશ હોય. ગુજરાતના તમામ મેળાઓનું કેન્દ્રસ્થાન વરસાદ છે. મેળાના ફજેતફાળકા ઉર્ફે ચકડોળ ચોમાસાની ફરતે જ ફરે છે. અગાઉ મેળાનો ઉદ્દેશ જ ધાનની લે-વેચ મંડી તરીકેનો હતો, તેથી પણ મેળા ચોમાસાના એન્ડમાં કે એના પછી યોજાતા હતા.
 ચોમાસામાં વહાણો દરિયામાં નથી જતાં. ઢગલાબંધ વહાણો બંદર પર લાંગરેલાં હોય છે. રંગબેરંગી સેંકડો વહાણો બંદરના બારે હારબંધ પડયાં હોય એ દૃશ્ય એટલું કલરફુલ લાગે છે કે આસમાનમાં ઊગેલા ઇન્દ્રધનુષને પણ ઈર્ષ્યા થવા માંડે. વરસાદનું અનુપમ રૂપ માણવું હોય તો દરિયે જવું. મસમોટાં મોજાઓ તેમના તમામ આવેગ સાથે મણિયારો રાસ રમતા હોય એવું ભાસે. ચિક્કાર વરસાદ વરસતો હોય ત્યારે દરિયો નિહાળો તો દેખાય જ નહીં. તમને એમ જ લાગે જાણે ક્ષિતિજ દૂરથી સાવ ઢૂકડી આવી ગઈ હોય એવું લાગે. વરસાદમાં મન મૂકીને પલળીએ ત્યારે જે કેટલાંક યાદગાર અનુભવો થાય એ યાદોને ડાબલીમાં પૂરીને આજીવન સાચવી રાખવાનું મન થાય. આ ક્રિકેટનું મેદાન નથી પણ નદી છે એવું ગુજરાતમાં ત્યારે જ ખબર પડે છે જ્યારે ધોધમાર વરસાદ પડે છે. ભારત નદીઓનો દેશ છે એવું માનવાનું મન પણ ત્યારે જ થાય છે. વરસાદની અંદર સૌથી રસપ્રદ તો રસ્તાની વચ્ચોવચ મૂકેલાં પૂતળાં લાગે છે. ચિક્કાર વરસાદ વરસતો હોય અને ઉછળતા ઘોડા પર બેઠેલા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું પૂતળું એવું લાગે જાણે વાદળ સામે મોરચો માંડીને બેઠું હોય. અમરનાથ હોનારત વખતે હાહાકાર કરતાં પૂરની વચ્ચે શંકર ભગવાનની મૂર્તિ જગતભરના અખબારોમાં ચમકી હતી. વરસાદનો આપણે ત્યાં સ્પેશ્યલ રાગ છે. મેઘ મલ્હાર. રાગમાં કેવી તાકાત હોય છે એના દૃષ્ટાંતો આપણને બૈજુએ મેઘ મલ્હાર ગાઈને વરસાદ વરસાવ્યો એનીય દંતકથા છે.


સટ્ટોશ્રદ્ધા અને સાયન્સ
વરસાદ પર બૂકીઓ સટ્ટો રમે છે. વરસાદનું અનુમાન પંચાગ જોઈને પણ થાય છે અને વરસાદ વિશે અનુમાન હવામાનખાતું પણ કરે છે. આ ત્રણેય અલગ અલગ ક્ષેત્ર છે. ત્રણેયમાં કોમન ફેક્ટર વરસાદનું અનુમાન છે અને ત્રણેયની ભૂમિકા અલગ છે. સટ્ટો, શ્રદ્ધા અને સાયન્સ ત્રણેય નોખનોખા છેડાની ચીજોની એક જ ભૂમિકા કદાચ વરસાદમાં જ શક્ય બને છે. હિન્દી ફિલ્મોમાં વરસાદનાં ગીતો એ એવો વિષય છે કે એના માટે લેખ નહીં પણ પુસ્તકો લખાયાં છે. મુંબઈ જેવાં શહેરોમાં ચાલી જેવાં ઘરોમાં દર વર્ષે વરસાદ અગાઉ ડામર રંગાય છે, જેથી વરસાદ ન પડે. ચોમાસું બેસે એના એક-બે મહિના અગાઉ ડામર રંગવાવાળાની મોસમ બેસે છે.
ગુજરાતમાં કેટલાંક સ્થળો નિહાળવાની મજા ચોમાસામાં જ છે. જેમ કે, સાપુતારા તેમજ આસપાસના આદિવાસી વિસ્તારો. સાપુતારા દૂર પડતું હોય તો બાઇક કે કાર લઈને તમારા શહેર કે ગામની બહાર નીકળીને આસપાસનાં ગામડાં જોશો તોપણ મજા આવશે. વરસાદ જમીનના ખૂણેખૂણા લીલોતરીથી કૂણા કરી દે છે. વરસાદ ધરતી પર કેવી કીમિયાગરી કરે છે એની મજા ડામરના રોડ વટાવ્યા પછી વધારે સારી રીતે ખબર પડે છે.
કેરળ એવું રાજ્ય છે જેણે સમૂળગા વરસાદનું ટૂરીઝમ વિકસાવ્યું છે. વરસાદને પ્રવાસનનું માધ્યમ બનાવીને આવકનો એક નવો સ્ત્રોત ઊભું કરનારું કેરળ દૃષ્ટાંતરૂપ રાજ્ય છે. આ સિવાય મેઘાલય, આસામના ચાના બગીચાઓ વરસાદી મોસમમાં નિહાળીએ તો એમ જ થાય કે ઈશ્વર એની અવેજીમાં સ્વર્ગનો વિકલ્પ આપે તો સ્વર્ગમાં પણ ન જવાય.


ચાતુર્માસ
ભારતમાં ૩૦ જેટલી ભાષા અને સો કરતાં વધુ બોલીઓ બોલાય છે. આ દરેક ભાષા અને બોલીમાં વરસાદને લગતી અલગ અલગ કથાઓ અને પરંપરા છે. વરસાદ એક જ છે, પણ એનું વૈવિધ્ય વિશાળ છે અને એ જ ભારતનું કેરેક્ટર ઊભું કરે છે. વરસાદ ઝટ વરસે એ માટે ક્યાંક દેડકા-દેડકીનાં લગ્ન થાય છે. ક્યાંક બ્રાહ્મણો પાણીથી ભરેલા મસમોટા વાસણમાં બેસીને પર્જન્ય યજ્ઞા કરે છે. વરસાદ ન પડે તો બાળકો સૂંડલામાં 'ઢૂંઢિયા દેવ'ને લઈને પૂજાવા નીકળે છે. ગામેગામ રામધૂન થાય છે. આવી તો દેશભરમાં કેટકેટલી પરંપરા છે.
'સાધુ તો ચલતા ભલા' એવું કહેવાય છે, પણ ચોમાસાના ચાર માસ એટલે કે ચાતુર્માસમાં સંતો વિહાર નથી કરતા. ચાતુર્માસ સંતો એક જ સ્થળ પર વિતાવે છે. એ દરમ્યાન સત્સંગ - પ્રવચનો કરે છે. ચાતુર્માસનો ભારતીય ધર્મપરંપરામાં મોટો મહિમા છે, જે પણ વરસાદને જ આનુષંગિક છે.
નદીઓનું નવયૌવન
વરસાદ બાદ જમીનનું ઉદાવરણ બદલાઈ જાય છે. વાતાવરણ શબ્દ તો જાણીતો છે, પણ ઉદાવરણ? પૃથ્વી પરની જમીનને ઘેરીને રહેતા પાણીના આવરણને ઉદાવરણ કહે છે. ઉદ્ એટલે પાણી. વરસાદના દિવસોમાં આકાશના તારા તેમજ તમારા ને મારા પડછાયા ગાયબ થઈ જાય છે. વરસાદમાં સૂરજ કુકડાને પણ ભુલભુલામણી આપી દે છે અને શિયાળાના મુલકની જેમ મૂડ આવે ત્યારે નીકળે છે. કેટલાંક દિવસોમાં તો વાદળ સૂરજની નીચે ઓઝલ જ રહે છે. વરસાદમાં કવિઓ અને મોર કળા કરવા માંડે છે. વરસાદમાં પલળવા જઈ શકાય તો એના જેવું રૂડું બીજું કંઈ છે જ નહીં. પલળવા ન જઈ શકાય તો બારી પાસે બેસીને વરસતા વરસાદને સ્વાનંદ મગ્ન બનીને મૂક રસિક તરીકે એન્જોય કરવાનીય મજા છે.
વરસાદ એટલે નદીઓની મોસમ. દુકાળ ન હોય તો વર્ષાનુવર્ષ વરસાદ નદીઓને સોળ વર્ષની સુંદરી જેવો નવયૌવન કરી દે છે. કાકાસાહેબ કાલેલકર એક ઠેકાણે લખે છે કે, "મને હંમેશાં લાગ્યું છે કે હિન્દુસ્તાનનો ઇતિહાસ પ્રાંતવાર કે રાજ્યવાર લખવાને બદલે નદીવાર લખાયો હોત તો એમાં પ્રજાજીવન કુદરત સાથે વણાયું હોત. ઉપરાંત એક ઠેકાણે લખે છે, "આપણા દેશમાં સૌંદર્યસ્થાન એટલાં બધાં વેરાયાં છે કે કોઈ એનો હિસાબ રાખતું જ નથી. જાણે કુદરતે ઉડાઉપણું કર્યું એની માણસ એને સજા કરે છે. "
કાકા કાલેલકર પાસે વર્ષા વર્ણનની આગવી શૈલી છે તો સુરેશ જોષી પાસે પણ અલગ જ મજા છે. સુરેશ જોશીનું સાહિત્ય ગુજરાતી ભાષાનો રવરવતો લય છે. જેમણે સુરેશ જોશીને નથી વાંચ્યા તેમણે ગુજરાતી સાહિત્ય વાંચ્યું ન કહેવાય. વર્ણનની જે કશીદાકારી એટલે કે એમ્બ્રોઇડરી સુરેશ જોશી પાસે છે એ બેનમૂન છે. જલબિંદુ કોઈ પર્ણ પર સરકે એ રીતે તેમની વર્ણનશૈલી સરકતી જાય. સુરેશ જોશીએ વરસાદના કરેલાં વર્ણનોની થોડી છાલક માણો.
"વરસતી ધારાના એક સરખા આવ્યા કરતા અવાજનું સંમોહન ધીમે ધીમે મને પરવશ કરી નાખે છે. સાચવીને થોકબંધ મૂકી રાખેલા વિચારો પણ જાણે ધીમે ધીમે ટીપે ટીપે દ્રવીને વહી જાય છે. મનનો રિક્ત અવકાશ વર્ષામાં જ અનુભવાય છે."
આગળ લખે છે, "વર્ષાને વનસ્પતિ પરિવાર વચ્ચે જ માણવાની ભારે મજા. વૃક્ષો વૃષ્ટિધારાને ઝીલતાં જાણે પોતે પોતાનામાં જ મગ્ન હોય એવી અદાથી ઊભાં હોય છે. પાંદડાંની અણીએથી ટીપાં લસર્યા કરે છે. વર્ષામાં તો હોવું એટલે જ લસરવું. લઘુકાળ અને ભંગુર બનવાનો કીમિયો વર્ષામાં જ સમજાય."
ગુજરાત પર વરસાદે પહેલાં રાઉન્ડમાં થોડી વધારે પડતી જ કૃપા વરસાવી દીધી છે. અમરેલી અને પછી બનાસકાંઠા પર એવી મહેર થઈ કે લોકોના જીવમાં જીવ લાવવાને બદલે વરસાદે જીવ તાળવે ચોંટાડી દીધા. વરસાદ બધુંય ધોઈ નાખે છે, પણ દેશની સંસદ એવી જગ્યા છે કે દિલ્હીમાં વરસાદ ન પડે તોય ચોમાસું સત્ર દર વર્ષે મોટે ભાગે ધાવાઈ જ જાય છે.     
જીવનના નાના-નાના આનંદોમાં કેવી અનહદ મજા સંતાયેલી છે એ જાણવું હોય તો કાકા કાલેલકરને વાંચવા. કાકા કાલેલકરને વાંચીએ ત્યારે સમજાય કે કુદરતને સમજવાની અને પામવાની જડીબુટ્ટી કુદરતે કાકા કાલેલકરને આપી છે. કાકા કાલેલકરનો એક વરસાદી નમૂનો વાંચો.
"વરસાદના દિવસો આવી ગયા છે. જ્યાં વરસાદ પડે છે ત્યાં ત્યાં મા-બાપોએ પોતાનાં બાળકોને લઈ જઈને જમીન ક્યાં કેટલી ઊંચી છે, પાણી ક્યાંથી કેવી રીતે વહે છે, પહાડ અને ટેકરા પરથી માટી કેવી વહી જાય છે અને પાણી ઊંચનીચનો ભેદ દૂર કરવાનો કેવો પ્રયત્ન કરે છે એ બધું એમને બતાવવું જોઈએ. આ ખેલમાં કેવળ બચપણનો જ આનંદ છે એવું નથી. જો છોકરાં બચપણમાં જ પાણીના વહેણનું અધ્યયન કરશે તો હિન્દુસ્તાનને માટે અત્યંત આવશ્યક એવી એક રાષ્ટ્રીય વિદ્યાનો એટલે કે ભગીરથ વિદ્યા(સાયન્સ ઓફ રિવર ટ્રેવનિંગ) - નદી નહેરોને કાબૂમાં લેવાની વિદ્યાનો તેઓ પ્રારંભ કરશે. હિન્દુસ્તાન દેશ જેટલો દેવમાતૃક છે એટલો જ નદીમાતૃક છે, તેથી જ પર્જન્યવિદ્યા(મીટિયરોલોજી) અને ભગીરથવિદ્યા બંને આપણી રાષ્ટ્રીય વિદ્યાઓ છે. જ્યારે સંપૂર્ણ અને સાચી રાષ્ટ્રીય વિદ્યાપીઠોની સ્થાપના થશે ત્યારે મોટા મોટા વરુણાચાર્યો અને ભગીરથાચાર્યો આપણા દેશમાં નિર્માણ થશે અને બીજા દેશોના લોકો હિન્દુસ્તાનમાં આવીને અહીંથી એ વિદ્યા શીખીને જશે.
વરસાદના દિવસો આવી ગયા! વનસ્પતિ અને કીટસૃષ્ટિની સમૃદ્ધિ આ વખતે જ જોવી જોઈએ. વનસ્પતિવિદ્યા અને કીટવિદ્યા(ની સમજ) જો વધારવી હોય તો દેશના નવયુવકોમાં બચપણથી જ આ વાતો પ્રત્યે પ્રેમ પેદા કરવો જોઈએ. લાલ મખમલ ઓઢેલા ઇન્દ્રગોપથી માંડીને 'જાદુઈ ટોર્ચ' સાથે રાખનારા આગિયા સુધીના બધા કીટોના રંગ, આકાર, એમનો સ્વભાવ, એમનો આહાર,એમનું કાર્ય એ બધાનું નિરીક્ષણ કરવું જોઈએ." 






Article link