Thursday, July 19, 2012

બહુત આસાન હૈ પહેચાન ઇસકી, અગર દુઃખતા નહીં તો દિલ નહીં હૈ – જાવેદ અખ્તર





લાવા લોકાર્પણ (ડાબેથી) વિશ્વનાથ સચદેવ, સૂર્યભાનુ ગુપ્ત, જાવેદ અખ્તર, પુષ્પા ભારતી, અનિલ જોશી, નિરંજન મહેતા, કમલેશ મોતા



સરગોશીયાં : સૂર્યભાનુ ગુપ્ત અને જાવેદ અખ્તર 
  
ભારતીય વિદ્યાભવન(મુંબઇ)માં યોજાતા કાર્યક્રમોની મજા એ હોય છે કે એ  ગુણવત્તાવાળા હોય છે. સામાન્ય કાર્યક્રમોમાં હોય છે એવી અકારણ ઔપચારિકતાઓ એમાં નથી હોતી. મોટા મોટા કલાકારો ત્યાં માત્ર ભારતીય વિદ્યાભવનને નામે આવે છે. કલાકારોનો રંગ એકદમ નૈસર્ગિક હોય છે, કમર્શીયલ નહીં. થોડા દિવસો પહેલા જાવેદ અખ્તરના કાવ્યસંગ્રહ લાવાનું ત્યાં લોકાર્પણ થયું હતું. કવિ સૂર્યભાનુ ગુપ્ત, કવિ અનિલ જોશી, નાટ્યકર્મી કમલેશ મોતા, નાટ્ય અભ્યાસુ નિરંજન મહેતા, હિન્દી નવનીતના સંપાદક વિશ્વનાથ સચદેવ તેમજ ધર્મવીર ભારતીના પત્ની પુષ્પા ભારતીએ તેમના સંગ્રહનું મુંબઇમાં લોકાર્પણ કર્યું હતું. પ્રથમ સંગ્રહ તરકશ બાદ જાવેદ અખ્તરનો બીજો સંગ્રહ લાવા છે. તરકશમાં જાવેદ અખ્તરનો શાયરાના રંગ હતો, હિન્દી ફિલ્મના ગીતકારનો નહીં. લાવામાં પણ તેમણે એ ક્રમ જાળવી રાખ્યો છે. સૂર્યભાનુ ગુપ્ત, અનિલ જોશી, પુષ્પા ભારતીએ જાવેદ અખ્તરના સંગ્રહ વિષે ઉમળકો વ્યક્ત કર્યો અને કવિ – શાયર જાવેદને બિરદાવ્યા હતા. જાવેદ અખ્તરે જે કહ્યું એ તેમના જ શબ્દોમાં સાંભળીએ...

જાવેદ અખ્તર

મારા સંગ્રહ લાવાના લોકાર્પણ નિમિત્તે મારા વિષે જે મચ પરથી જે કંઇ ગુણગાન ગવાયા એને લાયક તો હું નથી, પરંતુ હવે જેટલી જીંદગી બચી છે એમાં કોશીશ કરીશ કે એ લાયક બનું. હું જે પરિવારમાં જન્મ્યો હતો એમાં મારા દાદા – પરદાદા વગેરે કવિતા, નઝમ, ગઝલ વગેરે કહેતા હતા. એનો મને કેટલોક ફાયદો પણ થયો અને નુકસાન પણ. ફાયદો એ રીતે કે છોકરો જો બીઝનેસવાળાના ખાનદાનમાં પેદા થયો હોય તો પંદર – વીસ વર્ષનો થાય તો ધંધાની કેટલીક ચીજો પોતાની મેળે એ શીખી જાય છે,  જે શીખવા બીજાએ કદાચ કોમર્સ કોલેજ જવું પડે. કારણકે, બીઝનેસવાળાના ખાનદાનમાં જન્મેલા એ છોકરાને કેટલીક ચીજો આપોઆપ ખબર પડી જાય છે. મારી સાથે પણ એવું જ થયું. સાહિત્ય, કવિતા જેવી કેટલીક ચીજો મારી આસપાસના માહોલમાં જ હતી. હું નાનો હતો એ વખતે ઉર્દૂ – હિન્દીના ભાગ્યેજ કોઇ એવા સાહિત્યકાર હશે જેમને જોયા નહીં હોય. તેથી વગર પ્રયાસે કેટલાક વાતો ખબર પડી ગઇ, સમજમાં આવી ગઇ એ ફાયદો થયો.
નુકસાન એ થયું કે ખૂબ નાની ઉંમરે ખબર પડી ગઇ કે સારી શાયરી કોને કહેવાય અને ખરાબ કોને કહેવાય. કેટલાક કામ ખબર ન હોય તો જ એ કરવાની વધારે  હિમ્મત આવે છે. જો એના વિષે ખબર પડી જાય તો એમ લાગે કે એ તો મારે કરવું જ નથી. એની જરૂર શું છે. મેં મોડે મોડે શાયરી શરૂ કરી અને વર્ષો સુધી શાયરીથી દૂર રહ્યો એનું કારણ આમાં સમાયેલું છે. 
મુંબઇ આવ્યા બાદ છ-સાત દિવસમાં મેં બાપનું ઘર છોડી દીધું હતું. દુકાનદારનો દીકરો બગડે તો એ દુકાને બેઠવાની ના પાડી દે. એવી જ રીતે શાયરનો દીકરો બગડે તો શું કરે ? શાયરી નહીં કરે. મેં એમ જ કર્યું. એ મારો વિદ્રોહ હતો. સારું પણ થયું. કારણકે, જે સામાન્ય ઉંમરે લોકો શાયરી કરવા માંડે છે એ ઉંમરે મેં શાયરીઓ નહોતી લખી. તેથી કૉલેજના દિવસોની કવિતાઓ લખવામાંથી હું બચી ગયો. કેટલાક લોકો (મારા સંગ્રહોના સંદર્ભે)મને પૂછે પણ છે કે તમે રોમૅન્ટિક કવિતાઓ કેમ નથી લખતા ? હું તેમને કહું છું કે ભાઇસાબ, રોમેન્ટિક ગીતો હું મફતમાં નથી લખતો, પૈસા લઇને લખું છું.(ઇશારો પોતાના ફિલ્મી ગીતો તરફ છે)

મારી કવિતા સૌ પ્રથમ ધર્મયુગમાં છપાઇ હતી. પુષ્પા(ભારતી)જી મારી પાસેથી છીનવીને લઇ ગયા હતા અને છપાવી હતી. હું એ નથી જાણતો કે મેં બેહતરીન શાયરી લખી છે કે નહીં. પોપ્યુલરીટીથી એ વાત સાબીત નથી થતી કે શાયરી કેટલી નક્કર છે. આજકાલ લોકો પોપ્યુલર પણ ખૂબ જલ્દી થઇ જાય છે. ચાર વખત ટીવી પર ચમકી જાય એટલે પોપ્યુલર થઇ જાય છે. છ મહિના સુધી ટીવી પર ન દેખાય તો નોનપોપ્યુલર થઇ જાય છે. તેથી કહેવા એ માગું છું કે મેં જે શાયરી લખી છે એ કેટલી સારી છે એ આજે નહીં માલૂમ પડે. એ તો ત્રીસ ચાલીસ વર્ષો પછી ખબર પડશે. (હસતાં હસતાં)વળી, પોપ્યુલરીટી પણ કંઇ ખરાબ ચીજ નથી. એ કામ લાગે છે. પાંચ માણસ ઓળખવા માંડે છે. આવો, આવો..સાહેબ....એવો આવકારો આપવા માંડે છે. કોઇ આવકારે તો એનો આભાર માનવો. દિલથી આભાર માનવો. પરંતુ જે દિવસથી તમે એમ માની લીધું કે મેં કંઇક મોટું કામ કરી નાખ્યું છે એનાથી મોટી કોઇ ભૂલ નથી. પોપ્યુલરીટી ત્યાં સુધી જ સારી છે જ્યાં સુધી તમે એને સીરીયસલી નથી લેતા. જે દિવસે તમે એને ગંભીરતાથી લેવા માંડો એ દિવસથી તમારા પતનના મંડાણ થાય છે.

કળીમાંથી ફૂલ કેવી રીતે બને છે એ પ્રક્રિયા તમે ટીવી પર કે ડૉક્યુમેન્ટ્રીમાં જોઇ હશે. કળીમાંથી ફૂલ સડસડાટ બની જાય છે. તમારા બગીચામાં પણ ફૂલ એવી જ રીતે ખીલે છે, પણ ટીવી પર કે ડૉક્યુમેન્ટ્રીમાં એ જેવી રીતે ખીલતું દેખાડવામાં આવે છે એવી રીતે ખીલતા નથી દેખાતું. પ્રક્રિયા ક્યારેક એટલી ધીમી હોય છે કે એ દેખાતી નથી. જેમકે, વાળ ક્યારે સફેદ થઇ જાય છે કે બાળક ક્યારે મોટું થઇ ગયું એ ખબર પડતી નથી. હું જે ઇન્ડસ્ટ્રીમાં છું એમાં બધું બહુ ઝડપથી થાય છે. ઝડપથી માણસ પોપ્યુલર થાય છે અને ઝડપથી આઉટ પણ થઇ જાય છે.  

મેં જે લખ્યું છે એ સારું છે કે નબળું એ હું નથી જાણતો, પણ એટલું જરૂર જાણું છું કે એ મારું છે.
કૈફીયત : જાવેદ અખ્તર, (ડાબે) સૂર્યભાનુ ગુપ્ત,(જમણે) પુષ્પા ભારતી


















લાવાના કેટલાક શેર....

જીધર જાતે હૈં સબ, જાના ઉધર અચ્છા નહીં લગતા
મુજે પામાલ(પાયમાલ)રાસ્તોં કા સફર અચ્છા નહી લગતા
ગલત બાતોં કો ખામોશી સે સુનના, હામી ભર લેના
બહોત હૈ ફાયદે ઇસમેં મગર અચ્છા નહીં લગતા.

---

બહોત આસાન હૈ પહેચાન ઇસકી,
અગર દુઃખતા નહીં તો દિલ નહીં હૈ

---

વો શક્લ પીઘલી તો હર શૈ મેં ઢલ ગઇ જૈસે,
અજીબ બાત હુઇ હૈ ઉસે ભૂલાને મેં

---

કુછ બિગડને કે ભી તરીકે હોતે હૈ
ખૈર, જાને દો જો ગયા જૈસે

---

મુજે દુશ્મન સે ભી ખુદ્દારી કી ઉમ્મીદ રહેતી હૈ
કીસી કા ભી હો સર, કદમોં મેં સર અચ્છા નહીં લગતા


તેજસ વૈદ્ય, મુંબઇ



મનનો મેળો :  શ્રોતાઓએ ખરીદેલા સંગ્રહ લાવા પર  હસ્તાક્ષર કરી રહેલા જાવેદ અખ્તર



































Wednesday, June 27, 2012

જોધપુર ટપાલ




જોધપુર એટલે મીરચી વડા અને પ્યાજની કચોરીનું શહેર. જોધપુર એટલે ચૂનામાં ગળી ઝબોળી મકાનોને વાદળીયા રંગના વાઘા પહેરાવતું શહેર. કોમન મીનીમમ પ્રોગ્રામ એટલે કે લઘુતમ સાધારણ અવયવ તરીકે કિલ્લાઓને બાજુ પર મૂકો તો રાજસ્થાનના દરેક શહેર પાસે પોતાની આગવી તાસીર છે. જયપુરવાળી બ્લૉગપોસ્ટમાં કહ્યું હતું એણ આ વાત જૂના શહેરોને જ લાગુ પડે છે. નવા શહેરો રીમીક્સ સોન્ગ જેવા સ્ટીરીયો ટાઇપ હોય છે.
જોધપુરને સૂર્યનગરી પણ કહે છે. કારણકે, જોધપુરનો ઉનાળો અમદાવાદ સાથે રેસમાં ઉતર્યો હોય એવો ગરમાગરમ હોય છે. ગરમીથી બે – પાંચ ટકા રાહત મળે એ માટે મકાનોને બહારથી વાદળી રંગે રંગવામાં આવે છે.
જોધપુર વર્ટીકલ નહીં, પણ હોરિઝોન્ટલ વિકસેલું શહેર છે. તેથી જ કિલ્લાના કાંગરેથી નીચે ફેલાયેલું શહેર નિહાળીએ એટલે આંખોને ઓચ્છવ જેવું લાગે છે. સારી વાત એ છે કે એપાર્ટમેન્ટનો ડિપાર્ટમેન્ટ હજી ત્યાં વિકસ્યો નથી. બંગલા અને ટેનામેન્ટનું પ્રચલન છે.
જોધપુરના સૌથી મોટા બે આકર્ષણ છે. મેહરાનગઢ કિલ્લો અને ઉમેદ ભવન. મારે મન જોધપુરનું સૌથી મોટું આકર્ષણ જૂનું જોધપુર ગામ એટલે કે વૉલ્ડ સીટી છે. ઝીણી ઝીણી ગલીઓમાં ગૂંથાયેલું જોધપુર ગામ કોઇ કલાત્મક ભૂલભૂલામણી જેવું લાગે છે. જોધપુરની એ ગલીઓમાં જૂનાગઢની ઝાંખી થાય. જે જગ્યાએ પહોંચીને મારી ઉમેદો પર પાણી ફરી વળ્યું એનું નામ ઉમેદ ભવન. ઘણી હિન્દી ફિલ્મોમાં દર્શાવાયેલું તેમજ અરૂણ નાયર અને લીઝ હર્લી જ્યાં ફેરા ફર્યા હતા એ ઉમેદ ભવન બહારથી ખૂબ ભવ્ય છે. અંદરથી પણ ભવ્ય છે. આંચકો એ વાતનો લાગે છે કે ઉમેદ ભવન હોટેલમાં બદલાઇ ગયું છે. પર્યટન માટે ઉમેદ ભવનની બે – ત્રણ ગૅલેરીઓ ખુલ્લી રાખવામાં આવી છે. જેમાં ભાલા – તલવારો, જૂની ઘડીયાળો અને રાજા મહારાજાઓના ફોટા છે. રાજસ્થાનના મોટા ભાગના કિલ્લાઓ અને મ્યુઝિયમોમાં આ બધી વસ્તુઓ જોવા મળે જ છે. તેથી માત્ર ભાલા અને ઘડીયાળો જોવા માટે ઉમેદ ભવન સુધી લાંબુ થવું મને ગેરવાજબી લાગ્યું.
જોધપુરનો કિલ્લો અદભૂત છે. વિગતમાં ઉતર્યા વગર માત્ર ઉપરછલ્લી નજરે જોઇએ તો પણ કિલ્લો કલાકો લઇ લે એવો છે. કિલ્લાઓની કેવી રીતે માવજત કરવી અને પર્યટકોને કઇ રીતે ખેંચવા એ ગુજરાત અને મહારાષ્ટ્રની સરકારોએ રાજસ્થાન પાસેથી શીખવા જેવું છે.   
યુ ટર્ન લઇને મીરચી વડા અને પ્યાજની કચોરી પર પાછો આવું છું.  કાઠિયાવાડ ગાઠિયા માટે, અમદાવાદ દાળવડા માટે, સુરત લોચા માટે અને ડાકોર ગોટા માટે વખણાય છે એમ જોધપુરની સિગ્નેચર નાસ્તા આઇટેમ્સ મીરચી વડા અને પ્યાજની કચોરી છે. મીરચી વડા એટલે મરચાના ભજીયાની વેલ્યુ એડેડ આવૃત્તિ. બાફેલા મોટા મરચાની અંદર  મસાલો ભરીને એને તળવામાં આવે છે. મીરચી વડાની વિશેષતા એનો મસાલો છે. એવી જ રીતે પ્યાજ ઉર્ફે ડુંગળી ઉર્ફે કાંદાની કચોરી પણ જોધપુરની ચાખવાલાયક વરાયટી છે. જોધપુર જાવ તો આ બે વસ્તુ જરૂર ખાજો. વર્ષો પછી જોધપુર યાદ કરશો તો એનો સ્વાદ પણ સાંભરશે.

તેજસ વૈદ્ય, મુંબઇ 

કિલ્લાની રાંગ પરથી દેખાતો જોધપુરનો કોટવિસ્તાર






આસમાની સુલતાની



મેહરાનગઢ કિલ્લો - રાત્રિશ્રૃંગાર



વાંચો,વાંચો...

















સોનેરી છત પર કોઇની નજર ન લાગે એ માટે કાળાં ફૂમતા લગાડવામાં આવ્યા છે








































Saturday, June 23, 2012

ગૅન્ગ્સ ઓફ વસેપુર – ગાળો અને ગોળીની રમઝટ વચ્ચે મગજના જ્ઞાનતંતુઓને નિશાન બનાવતી ફિલ્મ




ગામમાં ચાની ટપરી પર બેઠા બેઠા કેટલાક લોકો ટીવી જુએ છે. ક્યોંકિ સાસ ભી કભી બહુ થી સીરીયલ ટીવી પર આવે છે. ટીવી પર ઓપનીંગ ક્રેડીડ્સ સાથે કેમેરો આખા ઘરમાં ફેરવીને સ્મૃતિ ઇરાની પરિવારના બધા કિરદારોની ઓળખ કરાવતી હોય છે. ત્યાં જ ધણ ધણ કરતી ગોળીઓ છૂટે છે. ટીવી બંધ થઇ જાય છે અને ચાની ટપરીમાં દોડા દોડ થઇ જાય છે. થોડી વારમાં સોપો પડી જાય છે.

આ પહેલા જ સીનથી અનુરાગ નામનો કશ્યપ પોતાની ફિલ્મની મહોર મારી દે છે. ગાળો અને ગોળી ફિલ્મમાં પહેલા સીનથી લઇને છેલ્લા સીન સુધી ધાણીની જેમ ફૂટતા રહે છે. હિન્દી ફિલ્મોમાં બાયોપિક સિવાય રીસર્ચને ઝાઝું મહત્વ નથી અપાતું. ગૅન્ગ્સ ઓફ વસેપુરનું સૌથી મજબૂત પાસું તેનો રીસર્ચ છે. ફિલ્મમાં કેટલીક બાબતોનું ડિટેલીંગ સીદી સૈયદની જાળીની જેમ એવું બારીક કરવામાં આવ્યું છે કે ફિલ્મ સૂક્ષ્મદર્શક યંત્રમાં ડુંગળીના કોષ જોતા હોઇએ એમ નિહાળવી પડે. એ જ ફિલ્મની મજા છે, નહીંતર રેફરન્સ છટકી જાય. મોબાઇલ પર મેસેજ વાંચતા રહો કે મોબાઇલ પર વાત કરવા થોડી ક્ષણ થીએટરની બહાર જાવ એટલે ગોથું ખાઇ જવાય. 

ફિલ્મમાં ડ્રામાના ધોધ વચ્ચે ડૉક્યુમેન્ટ્રીનો ડોઝ એટલો ફાઇનટ્યુન કરવામાં આવ્યો છે કે બંને એકબીજાના પૂરક લાગે છે અને ફિલ્મનો પ્રવાહ આગળ ધપાવે છે. ધનબાદની કોલસાની ખાણો, ખાણો પર રાજ કરતા લાલાઓ, દેહાતના લોકો પર તડક ભડક હિન્દી ફિલ્મોનો પ્રભાવ વગેરે બાબતો સરસ રીતે ઝીલવામાં આવી છે. જેમ અલગ અલગ ઘાટ પરથી પસાર થતી નદી પણ એક ચોક્કસ પ્રવાહમાં આગળ વહેતી  હોય છે એમ ફિલ્મ દસ્તાવેજીકરણ વચ્ચે પણ ડ્રામાના એક ચોક્કસ પ્રવાહમાં આગળ વહે છે.  
ગૅન્ગ્સ ઓફ વસેપુરનો હજી પહેલો જ ભાગ રજૂ થયો છે. બીજો ભાગ હવે રજૂ થશે. પહેલા ભાગમાં ફિલ્મના કિરદારો પર ડિરેક્ટરની જબરી પકડ છે. કોઇ કિરદાર લેખક કે ડિરેક્ટરની કાબૂ બહાર નથી. અનુરાગ કશ્યપે જ્યારે આ ફિલ્મની કથા વિઝ્યુલાઇઝ કરી હશે ત્યારે તે સ્ફટિકવત્ત સ્પષ્ટ અને કૉન્ફીડન્ડ હશે. નહીંતર આ પ્રકારની ફિલ્મોમાં કિરદાર અને કથા ક્યારે ડિરેક્ટરના હાથમાંથી સરકી જાય છે એની ડિરેક્ટરને ખબર નથી પડતી.

દરેક ફિલ્મનો એક કલર હોય છે જે તેની થીમનું પ્રતિબીંબ પાડતો હોય છે. જેમ કે, ફિલ્મ સાવરીયામાં બ્લ્યુ – ગ્રીન ફિલ્ટર વપરાયું હતું. ગૅન્ગ્સ ઓફ વસેપુરની વિશેષતા એ છે કે એમાં કોઇ એક ફિલ્ટરનો ઉપયોગ નથી થયો પરંતુ મલ્ટીપલ કલરટોન વપરાયા છે. વીઝ્યુઅલ્સને ફોટોશોપ ટ્રીટમેન્ટ આપી હોય એ રીતે બોલકા લાગે છે.    
ફિલ્મમાં દરેક કલાકારોનું પથ્થરતોડ પરફોર્મન્સ છે. કોલસાની ખાણમાંથી નીકળેલા હીરા જેવા કીરદારો છે. મનોજ વાજપેયી, પિયૂષ મિશ્રા, જયદીપ અહલાવત, વિપીન શર્મા, નવાઝુદ્દીન સીદ્દીકી, રીચા ચઢ્ઢા, રીમ્મી સેન વગેરેએ પાત્રો પચાવ્યા છે. ફિલ્મનું સરપ્રાઇઝ એલીમેન્ટ તિગ્માંશુ ધુલીયા છે. રામાધીર સિંહના પાત્રમાં તિગ્માંશુ એકદમ ઓતપ્રોત લાગે છે. મુશાયરાની અંદર કોઇ શાયર પોતાની રચના અને રજૂઆતની શૈલીથી આખો મુશાયરો લૂંટી લે એમ મનોજ વાજપેયી ફિલ્મ લૂંટી લે છે.

અનુરાગ કશ્યપની ફિલ્મ દેવ ડીમાં દમદાર સંગીત દ્વારા અમીત ત્રિવેદી નામના ગુજરાતી સંગીતકારે પોતાની નોંધ લેવડાવી હતી. એ રીતે જ ગૅન્ગ્સ ઓફ વસેપુર દ્વારા સ્નેહા ખાનવલકર નામની મહિલા સંગીતકારે પોતાની નોંધ લેવડાવી છે. સ્નેહા ખાનવલકરે પોતાની નોંધ તો એમ ટીવી પર રજૂ થયેલા સાઉન્ડ ટ્રીપીન નામના શો દ્વારા જ લેવડાવી હતી. (જે લોકોને સંગીતમાં અને તેમાં થઇ શકતા પ્રયોગોમાં રસ હોય તેમણે સાઉન્ડટ્રીપીનના એપીસોડ્સ યુટ્યુબ પર જોઇ લેવા. ગમશે.)સ્નેહાએ અગાઉ લકી લકી ઓયે, લવ – સેક્સ ઔર ધોખા જેવી ફિલ્મમાં છુટૂંછવાયું કામ કર્યું હતું. ગૅન્ગ્સ ઓફ વસેપુરના ગીતોમાં લોકસંગીતની મીઠાશ પર ફ્યુઝનની મહેક છાંટવામાં આવી છે. જે લોકોએ સાઉન્ડટ્રીપીનના એપીસોડ્,સ જોયા હશે તેમને એની છાંટ ફિલ્મના ગીતોમાં વર્તાશે. અનુરાગ કશ્યપની ફિલ્મોમાં ગીતો તો ખૂબ સારા હોય છે પરંતુ એ મોટે ભાગે બૅકગ્રાઉન્ડ સ્કોર તરીકે જ વેડફાઇ જતા હોય છે. ગૅન્ગ્સ ઓફ વસેપુરમાં પણ એવું જ થયું છે, પરંતુ એ ફિલ્મમાં સુંદર રીતે વણાઇ ગયેલા છે. ઓ વૂમનીયા ગીતનું પિક્ચરાઇઝેશન ખૂબ સુંદર છે. એ ગીતની હલક સુંદર છે અને એમાં મનોજ વાજપેયી અને રીમા સેનની રોમેન્ટિક છાલક ગીતને નવો કલાપ આપે છે. પિયૂષ મીશ્રા એવો કલાકાર છે કે એ દરેક ફિલ્મમાં પોતાની આગવી છાપ છોડે છે. ફિલ્મમાં ફરહાનના રોલમાં તો તે ધ્યાન ખેંચે જ છે, પરંતુ તેણે લખેલા અને ગાયેલા એક બગલ મેં ચાંદ હોગા ગીતમાં પણ પિયૂષ મિશ્રા પોતાનું પ્રમાણ આપે છે.  ફિલ્મમાં બૅકગ્રાઉન્ડ વોઇસઓવરમાં પણ તેના અવાજનો જ ઉપયોગ થયો છે.

અનુરાગ કશ્યપની વિષેષતા એ છે કે એમાં સાહિત્ય હોય છે. તેણે જોખમો ખેડીને ફિલ્મમાં પ્રયોગો કર્યા છે અને એક નવો દર્શકવર્ગ ઊભો કર્યો છે. વસેપુર જેવા ગામના માહોલ પર 45 કરોડના ખર્ચે ફિલ્મ બનાવવી અને એ પણ બબ્બે ભાગમાં બનાવવી એ કોલસાની ખાણમાં કામ કરતા મજૂરોના જીવ પર તોળાતા જોખમ જેવું જોખમ છે. ગૅન્ગ્સ ઓફ વસેપુર દરેક લોકોને પચે એવી ફિલ્મ નથી. ગેન્ગ્સ ઓફ વસેપુર સુંદર – સુશીલ – સંસ્કારી કે રોમેન્ટિક ફિલ્મ નથી. એમાં માણસની ખરાબીઓના ઉદ્રેકનો ચિતાર છે. પહેલા ભાગમાં તો અનુરાગે ધાર્યું તીર તાક્યું છે હવે બીજા ભાગમાં કેવું તીર મારે છે એ જોવું રહ્યું.

તેજસ વૈદ્ય, મુંબઇ

Monday, June 11, 2012

જયપુર ટપાલ


જયપુર એટલે જોયપુર. જયપુરની ગલીઓમાં કેડે થેલા અને ગળે કૅમેરા બાંધીને રખડતા અંગ્રેજો તમને અચૂક જોવા મળશે. અંગ્રેજો ભારત છોડીને ચાલ્યા ગયા પણ કેટલાક જયપુરમાં જ રહી ગયા હોય એવું લાગે. ગેરૂઆ રંગે રંગાયેલી ગુલાબી નગરી જયપુર પગે ચાલીને ને આંખો પહોળી કરીને જોવા જેવી નગરી છે. (આ વાત માત્ર જૂના જયપુરને જ લાગુ પડે છે. નવું જયપુર અમદાવાદના સેટેલાઇટ જેવું કે મુંબઇના અંધેરી કે મલાડ જેવું છે. જેની પોતાની કોઇ સાંસ્કૃતિક ઓળખ નથી. જૂના અમદાવાદ અને તળ મુંબઇની પોતાની આગવી સાંસ્કૃતિક ઓળખ છે) જયપુર જોવું હોય તો રીક્ષા કે કારમાં નહીં ફરવાનું ચ્યવનપ્રાશ ખાઇને વિનોબા ભાવેની જેમ ચાલતા નીકળી પડવાનું. ગુલાબી નગરીની ગલીએ ગલીએ અવનવા આશ્ચર્ય તમને કેમ છો કહેશે. પ્રસ્તુત છે ગુલાબી નગરીના જાનીવાલીપીનારા રંગો

અજમેરી દરવાજો

મહારાજા જયસિંહે બાંધેલા જયપુર એટલે કે ગુલાબી નગરીને સાત દરવાજા છે. જેમાંનો આ અજમેરી દરવાજો છે. સાતેય દરવાજા રંગ અને રૂપરેખામાં મળતાવડા છે. દરેક દરવાજા પર સાંગાનેરી ડિઝાઇન ચીતરવામાં આવી છે. સાંગાનેર રાજસ્થાનનું એક ગામ છે જેની ટૅક્સટાઇલ પ્રિન્ટ ખૂબ જાણીતી છે. સાંગાનેરી હેન્ડ બ્લૉક પ્રિન્ટનું ડ્રેસ મટીરીયલ પણ જયપુરમાં ખૂબ વેચાય છે. જે આપણા કચ્છી બ્લૉકપ્રિન્ટની ડીઝાઇનને મળતું આવે છે. 




સાંગાનેરી પેઇન્ટિંગ્સથી શોભતો અજમેરી દરવાજો



હવા મહેલ

એક જમાનામાં આ મહેલના શાંત ઝરૂખે વાટ નિરખતી રૂપની રાણીઓ બેસતી હતી


ઇનસાઇડ :  હવામહેલનો નકશીદાર ઝરૂખો
હવામહેલની ટોચની બારીએથી નીચે નિહાળતો ટાબરીયો


ડોકિયા કરવાની મજા...... ......હવામહેલમાંથી આવે એટલી કદાચ ભારતભરમાં કોઇ ઠેકાણેથી નહીં આવતી હોય. કારણકે એમાં 953 ઝરોખા છે. હવા મહેલ નામનો એક કાર્યક્રમ રેડિયામાં આવતો હતો. જયપુરના હવામહેલ પર પહેલી નજર પડી એટલે મનમાં રેડીયોનું રૅગ્યુલૅટર ઘુમી ગયું. જેના વિષે ખૂબ સાંભળ્યું હોય અને ફોટામાં જ નિહાળ્યા હોય એવી વ્યકતિ કે વસ્તુને રૂબરૂ જોઇએ એટલે શરીરમાં શેરડો પડી જાય. હવામહેલને જોતાં આવું જ થયું હતું. 1799માં 
રાજા સવાઇ પ્રતાપસિંહે બનાવેલા હવામહેલનું ડિઝાઇનીંગ લાલચન્દ ઉસ્તાદે કર્યું હતું. રાજાની રાણીઓ લોકો વચ્ચે ન જઇ શકે તેથી તેમના માટે ઝરોખાવાળો હવામહેલ બાંધલામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ  ઝરૂખે બેઠીને ઝીણકી બારીઓ ઉઘાડીને રાણીઓ શહેરની સરગમ નિહાળતી રહેતી હતી. હવે દસ રૂપિયાની ટિકિટ લઇને મારા – તમારા જેવા પ્રવાસીઓ રાણીની બારીમાંથી ડોકીયા કરવાનું 
રજવાડું ભોગવે છે. 
બૅકસાઇડ :  હવામહેલ

















જલમહેલ

જયપુરના તળાવમાં 1799માં તરતો મૂકાયેલા આ મહેલની રખેવાળી હવે તાજ હોટેલ્સ(તાતા ગૃપ) કરશે. આવતા વર્ષે આ મહેલ બાર કમ રૅસ્ટોરાંનું સ્વરૂપ ધારણ કરવાનો છે

જલકમલવત્ જલમહેલ





























આમેરનો કિલ્લો

આ છે જયપુરનું મહત્વપૂર્ણ પર્યટનચુંબક. હજારો માણસો રોજ આ કિલ્લાની મુલાકાત લે છે. આ કિલ્લો એટલો ભાતીગળ અને ભવ્ય છે કે એ જોવા માટે એક દિવસ ટૂંકો પડે. આમેરના કિલ્લામાં તળાવ છે. શીશ મહેલ છે. મંદિર છે. બીજું ઘણું બધું છે. મારી સાથે ગાઇડ હતો એ કહેતો હતો કે પરંપરા છે કે રોજ બકરાની બલી ચઢે એ પછી જ કિલ્લો ખુલે છે. ખરાઇ કરવા કિલ્લામાં કામ કરતા સુરક્ષાકર્મીને મેં પૂછ્યું તો તેણે પણ આ વાત કબૂલી !      




અજર અમર આમેર

કિલ્લાની લીલા અપરંપાર


 પ્યાઉ
પાણી દા અસલી રંગ !
અમદાવાદમાં એવી ઘણી નાસ્તાલારી છે કે જ્યાં નાસ્તો કર્યા બાદ પાણી માગવામાં આવે તો લારીવાળો કહી દે છે કે પાણી નહીં ભઇ, પાણીનું પાઉચ લઇ લ્યો.(એટલે કે ખરીદી લ્યો). મુંબઇમાં રસ્તે ચાલતા ચાલતા થાકો ત્યારે પાણીનું પરબ શોધ્યું ન જડે. જયપુરમાં મને ગમેલા દ્રશ્યોમાંનું એક દ્રશ્ય આવી પરબડીનું છે. સૂકા પાનની ઝૂંપડીમાં અંદર માટલાં ભરીને ભાઇ કે બહેન બેઠા હોય. કાળે તડકે કોઇ આવે તો ત્રાંબાના કળશ્યો ઠલવીને આ રીતે તરસ ઠારે. ગ્લાસ ન હોય. આ રીતે હથેળી વાળીને જ પાણી પીવાનું. ઠેર ઠેર આવી પરબ ત્યાં જોવા મળે. 



સ્કુલ – કૉલેજ અને કચેરીઓ

જૂના જયપુરની દરેક ઇમારત એની સાંસ્કૃતિક એમ્બેસેડર છે. સ્કુલો – કૉલેજો પણ એવી રીતે કંડારાયા છે કે બહારથી એવું લાગે કે જાણે એ સ્કુલ કે કૉલેજ છે જ નહીં. પોલીસ કમીશનરની કચેરી પણ બહારથી કોઇ મ્યુઝિયમ જેવી લાગે. 


આ ખાખીવાળો ફોટામાં ન હોત તો તમે ફોટામાં જે ઇમારત દેખાય છે એને પોલીસ કમીશનરની કચેરી માનત ખરા ? :)


જોઇને જ પ્રેમમાં પડી જવાય એવું આ છે કન્યા વિદ્યાલય 




........અને આ છે કૉલેજ



પૅડલ રીક્ષા

પૅડલરીક્ષા :  હાથના નહીં પગના બાવડે પેટીયું રળતા લોકો

સાયકલની શોધ એ માણસે કરેલી ઉત્તમ શોધોમાંની છે અને સાઇકલરીક્ષાની શોધ એ માણસે કરેલી કનીષ્ઠ(એટલે કે બકવાસ) શોધોમાંની એક છે. કોઇ એક માણસ હાંફતો હાંફતો પૅડલ મારતો હોય અને પાછળ બે જણા મસ્તીથી બેઠા હોય એ દ્રશ્ય જ કરૂણ છે. મ્યુઝિયમો અને વહી ગયેલા રાજાઓના રહી ગયેલા મહેલોમાં ભવ્ય દેખાતા જયપુરમાં ગરીબી ખૂબ છે. સ્ટેશનની બહાર નીકળો એટલે સાયકલરીક્ષાવાળા વિંટળાઇ વળે. સાઇકલરીક્ષામાં બેસવું એ પાપ છે એમ વ્યક્તિગતપણે હું માનું છું. પરંતુ જે રીતે વીંટળાઇ વળેલા પેડલ રીક્ષાવાળા સાબ, બૈઠ જાઇએ બૈઠ જાઇએ. દશ રૂપિયે કમ દે દેના એવી આજીજી કરતા તમારી પાછળ અડધે સુધી આવે ત્યારે તેને ના પાડતાય જીવ ન ચાલે. ના અને હા વચ્ચે કોઇ મોટા ધર્મસંકટમાં મૂકાયા હોય એવું લાગે.
પેડલ મારી મારીને પૅડલરીક્ષા ચલાવનારાના પેટ અંદર ઉતરી ગયા હોય છે. ફાંદવાળો સાઇકલરીક્ષા ચલાવનારો તમે ક્યારેય નહીં જોયો હોય. જયપુરમાં મેં એવા પણ કેટલાક મોટી ઉંમરના પૅડલ રીક્ષાવાળાઓને જોયા જેમણે બંને પગે ગોઠણ અને પીંડીની વચ્ચે કસીને કપડું બાંધ્યું હતું. પગને ઉંમરનો થાક ન લાગે અને ઢળતી  ઉંમરે પણ પગ પૅડલ મારતા રહે એ માટે કદાચ તેમણે આમ કર્યું હશે.
મીઠાના અગરમાં કામ કરતો અગરીયો મરે છે અને તેને અગ્નિદાહ અપાય છે ત્યારે આખું શરીર તો બળી જાય છે પણ તેના પગ ઝટ બળતા નથી. મીઠાના અગરમાં કામ કરી કરીને તેના પગ એવા થઇ જાય છે કે આગ પણ તેને ઝટ અસર કરતી નથી. પૅડલ મારીને જીવતરની સાઇકલ ગબડાવતા આ પૅડલરીક્ષાવાળાના પગ પણ કદાચ અગરીયાઓની જેમ જ કદાચ ઝટ બળતા નહીં હોય !

તેજસ વૈદ્ય, મુંબઇ







Thursday, May 10, 2012

ઐની આપા, મન્ટો અને પૃથ્વી થીએટરની મહેફિલ



સઆદત હસન મન્ટો વિષે યોજાયેલી મહેફિલમાં નસીરૂદ્દીન શાહ શ્રોતા તરીકે આવ્યા હતા.

સાહિત્યસભાઓ, મંડળો, એકૅડેમી અને પરિષદો જે કામ નથી કરી શકી એ કામ મુંબઇમાં પૃથ્વી થીએટરે કર્યું છે. પૃથ્વી થીએટરનો માહોલ જ એટલો મનરંગી છે કે નાટક જોવા ન જવું હોય તો પણ સમય કાઢીને ત્યાં જઇને બેસવાની ઇચ્છા થાય. પૃથ્વી થીએટરમાં ભજવાતા નાટકો ઉપરાંત ત્યાંના કૅફેટેરિયા અને યારદોસ્તોની જે મંડળી જામે છે એ માહોલનું પણ એક ગ્લૅમર છે. જે ત્યાં જવા લલચાવે છે. સાહિત્ય, નાટક વગેરે પ્રવૃત્તિ જ્યાં ચાલતી હોય ત્યાં થોડું ગ્લૅમર જરૂરી છે(અલબત્ત, પ્રવૃત્તિ પ્રતિબદ્ધતા તો ખરી જ). નહીંતર, એ પ્રવૃત્તિ માત્ર સરકારી કે એકૅડેમિક બનીને રહી જાય છે. જેમકે, ગુજરાતી સાહિત્ય પરિષદ. સાહિત્યની પ્રવૃત્તિ જ્યાં માત્ર ખાનાપૂર્તિ તરીકે રહી જતી હોય ત્યાં પછી ધોળા માથાના માનવી જ વધુ જોવા મળે છે. પૃથ્વીમાં ઇસ્મત આપા કે નામથી લઇને મરીઝ સુધીના નાટકો ભજવાય છે. દર્શકોમાં યુવાઓની સંખ્યા માતબર હોય છે. યુવાઓને સાહિત્યમાં રસ નથી એવું કોઇ માનતું હોય તો એક વખત પૃથ્વી થીએટર તરફ જઇ આવવું. ભ્રમ નિરસન થઇ જશે. પૃથ્વી થીએટર પર ઘણું લખાયું છે અને હજીય ઘણું લખી શકાય એમ છે. વાત હું પૃથ્વી થીએટર વિષે નહીં પણ ત્યાં દર મહિને યોજાતી ઉર્દૂ મહેફિલ વિષે કરવા માગું છું.
પૃથ્વીમાં દર મહિનાના બીજા મંગળવારે સાંજે 7 વાગ્યે પૃથ્વી થીએટરની સામે આવેલા પૃથ્વી હાઉસના ફળીયામાં મહેફિલ મંડાય છે. જાવેદ સિદ્દીકી, શમા ઝૈદી, લુબ્ના સલીમ, સલીમ આરિફ તેમજ અર્વા મામાજી અને પ્રીયા નિઝારા નામની બે યુવતીઓ એનું આયોજન કરે છે. દોઢ – બે કલાક ચાલતા આ કાર્યક્રમમાં ઉર્દૂ લેખકો તેમજ શાયરો વિષે કૈફીયત રજૂ થાય છે. શેર – શાયરી તેમજ વાર્તાના કેટલાક અંશ રજૂ થાય છે. કાર્યક્રમમાં વચ્ચે વચ્ચે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વ્યક્તિવિશેષને લગતી વીડીયો ક્લિપ રજૂ થાય છે. જાવેદ સીદ્દીકી કે શમા ઝૈદી જે બોલે એમાં કોઇ ઉર્દૂ શબ્દ ન સમજાય ત્યારે એનો અર્થ સીધે સીધો પૂછી શકાય છે. આખા કાર્યક્રમનું ફૉર્મેટ એવું છે કે કાર્યક્રમ યોજાઇ રહ્યો હોય એવો કોઇ ભાર એમાં વર્તાતો નથી. ઓટલે બધા વાતચિત કરવા ભેગા થયા હોય એ રીતે મહેફિલ જામે છે. જે લેખકો કે શાયરો વિષે વાત થાય છે એના પુસ્તકો પણ ત્યાં ઉપલબ્ધ કરવામાં આવે છે. જેને મન પડે તે ખરીદી શકે છે.
મેં બે સેશનમાં ભાગ લીધો હતો. જેમાં જાવેદ સીદ્દીકીએ કુર્તુલ ઐન હૈદર અને સઆદત હસન મન્ટો વિષે વાતો કરી હતી. જાવેદ સીદ્દીકીની ઝબાનમાં જ એ વક્તવ્યના ચુનંદા અંશ મૂકું છે...
જેને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય છે. મહેફિલની મજા એ છે કે ત્યાં કોઇ ઔપચારિકતા નથી.
(ફોટો કર્ટસી - http://urduwallahs.wordpress.com)



સઆદત હસન મન્ટો  
મન્ટો સીંગલ લૅયર રાઇટર નહતો. એ પરત દર પરત ઉઘડતો લેખક હતો. એક લેખક તરીકે મન્ટોએ પોતાના ઝમાનામાં લખાતી રૂઢીગત સામાજિક વાર્તાઓ કરતાં નોખી દીશા પકડી હતી. મન્ટોએ એ એવી વ્યક્તિઓને કેન્દ્રમાં રાખીને કહાણીઓ લખી જેના વિષે કોઇ લખવા તો નહોતું માગતું, પણ વાંચવા પણ કોઇ તૈયાર નહોતું. જેમકે, દેહવ્યવસાય કરતી મહિલાઓ, તેમના પરિવારજનો વગેરે વગેરે. આ ઉપરાંત મન્ટોએ જે વિષય પર નોંધપાત્ર રીતે લખ્યું છે એ છે ભારત – પાકિસ્તાનના ભાગલા. મન્ટોએ ભાગલા વિષે જે લખ્યું છે એનો કોઇ મુકાબલો નથી. તેની વાર્તા કે લેખ કે લૅટર ઉઠાવીને વાંચશો તો તમને માલૂમ પડશે કે તેણે બટવારા શબ્દ વાપર્યો છે. પાકિસ્તાનનું નિર્માણ થયું એવો શબ્દ તેણે ક્યારેય નથી વાપર્યો. મન્ટોએ ક્યારેય એવું માન્યું નહોતું કે હિન્દુસ્તાન બની ગયું કે પાકિસ્તાન બની ગયું. બે મુલ્ક બની ગયા એવું તેણે ક્યારેય માન્યું નહોતું. તેણે માત્ર એટલું જ માન્યું કે એક મુલ્કના બે ટુકડા થઇ ગયા.
ઉર્દૂના મહાન લેખક મન્ટોની વિશેષતા એ પણ છે કે તે એસએસસીમાં ત્રણ વખત ફેઇલ થયો હતો. જે વિષયમાં તે ફેઇલ થયો હતો એ વિષય હતો ઉર્દૂ!

કુર્તુલ ઐન હૈદર
કુર્તુલ ઐન હૈદર અને મ ન્ટો વિષે
પોતાની કૈફિયત રજૂ કરતા જાવેદ સીદ્દીકી
(ફોટો કર્ટસી - http://urduwallahs.wordpress.com)
કુર્તુલ ઐન હૈદરને ઉર્દૂ સાહિત્ય જગત ઐની આપા તરીકે ઓળખે છે. તેમના વિષે જણાવતાં જાવેદ સિદ્દીકીએ કહ્યું હતું કે કુર્તુલ ઐન હૈદરનો કમાલ એ છે કે તે જો ફિલ્મો લખતી હોત તો સલીમ જાવેદ કરતાં અનેકગણી કામયાબ સ્ક્રિનપ્લે રાઇટર હોત. કારણકે, પોતાના લખાણો દ્વારા એ જે રીતે તસવીરો ખેંચતી હતી એમાં કોઇ ચીજની ડિટેલ બાકી નહોતી રહેતી. એ નિહાળતાં એટલે કે વાંચતા તમને એવું લાગે કે તમે ત્યાં પહોંચી ચૂક્યા છો અને એ માહોલને જીવી રહ્યા છો. તેમના સાહિત્યમાં છૂટતી પરંપરાનો નૉસ્ટાલ્જીયા સતત જોવા મળે છે. આપણી પરંપરાઓ જે મરી રહી હતી એનો માતમ હમેશા તે કરતી રહી હતી. જે તેની નૉવેલમાં જોઇ શકાય છે. તેની સૌથી લોકપ્રિય નૉવેલ આગ કા દરિયા છે. એની તારીફ તો ઘણા લોકો કરે છે, પરંતુ વાંચે છે બહુ ઓછા. એ નૉવેલ વાંચશો તો તમને સમજાશે કે એ નૉવેલ નથી પણ એક ઝમાનાની તારીખ(ઇતિહાસ) છે. નૉવેલને તેણે ત્રણ તબક્કામાં વહેંચી છે.  બુદ્ધનો કાળ એ પછી આઝાદી પહેલાનો અને આઝાદી પછીનો કાળ. આ ત્રણ કાળખંડના વર્ણનમાં કુર્તુલ ઐન હૈદર કહેવા એ માગે છે કે વક્ત બદલાય છે પણ લોકો નથી બદલાતા. તેમના સંબંધ નથી બદલાતા.  
જાવેદ સીદ્દીકી
મહેફિલમાં અન્ય એક ઉર્દૂમર્મી સુહૈલ વારસીએ સરસ વાત કહી હતી  કે ઐની આપાનું કૅન્વાસ એટલું મોટું છે કે એમાં કેટલાય ઝમાના શ્વાસ લેતા સંભળાય છે. તેમના સાહિત્યમાં કોઇ કેરેક્ટર ઝમાનો બની જાય કે કોઇ ઝમાનો કેરેક્ટર બની જાય એ ઐની આપાની વિશેષ શૈલી છે.




                               તેજસ વૈદ્ય, મુંબઇ

Saturday, April 28, 2012

મુંબઇ ટપાલ - 1 (રખડવાની રાજધાની મુંબઇ)


આ પોસ્ટ મુંબઇ બહારના ગુજરાતીઓને ધ્યાનમાં રાખીને લખું છું. મુંબઇ રખડવાની રાજધાની છે. જેને રખડવું ગમતું હોય એના માટે આ શહેર ક્યારેય જુનૂં થતું નથી. માણસ રખડતો રખડતો થાકી જાય પણ મુંબઇ પોતાના આશ્ચર્યો નથી અટકાવતું કે નથી થાકતું. એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જતી પેજ-થ્રી કન્યાઓ જેમ પોશાક બદલે અને બીયર બારથી લઇને ફૂટપાથ સુધી જેમ રાત અવનવા રંગ પકડે એમ મુંબઇ રોજ એના સંદર્ભ બદલતું રહે છે. ફેરીયાઓની જેમ મુંબઇ પણ રોજ પોતાના મિજાજનો ઠેલો પાથરીને ફેલાઇ પડે છે, પરંતુ મુંબઇનો આમ આદમી રોજબરોજની ઘેટા કમ ઘોડા દોડમાં આંખ સામે પથરાયેલી મુંબઇની જે વિશેષતા અને વિવશપણું છે એ જોવાનું ચૂકી જાય છે. મુંબઇ એ જોવા કરતાં નિરીક્ષણ કરવાનું શહેર છે. જેમ જેમ એનું નિરીક્ષણ કરતા રહો એમ એમ એનો નશો તમને વળગવા માંડે. પ્રસ્તુત છે તસવીરી જુબાનીમાં મુંબઇના મિજાજની મિજબાની.. 





ધમધમતું અને મઘમઘતું ફૂલ બજાર - દાદર(વેસ્ટ), સવારે પાંચ વાગ્યે

ફૂલ બજાર - મુંબઇ રાતનું શહેર કહેવાય છે, પરંતુ એના કેટલાક ઇલાકા વહેલી સવારે નિહાળવા લાયક છે. જેમ કે, દાદર(વેસ્ટ) સ્ટેશનની બહાર લાગતું ફૂલ બજાર. અહીં દર્શાવેલા ફોટા સવારે પાંચ વાગ્યે પાડેલા છે. મુંબઇના તમામ દેવાલયોમાં ભગવાનને જે ફૂલ ચઢે છે એ વાયા દાદરની ફૂલ બજાર થઇને જાય છે. સવારે પાંચ વાગ્યે એટલે કે સૂરજનું અજવાળું આવે એ પહેલા અહીં ફૂલોનું રજવાડું પથરાઇ ચૂક્યું હોય છે. વહેલી સવારે દાદરની આ માર્કેટમાં જઇએ તો દિલ ખરેખર બાગ બાગ થઇ જાય. આમ તો આખો દિવસ આ ફૂલ બજારમાં ફૂલોની અને માણસોની ભીડ રહે છે, પરંતુ વહેલી સવારે આ બજારની રંગત તાજા ફૂલની જેમ ખીલેલી હોય છે.








ધોબીઘાટ - મહાલક્ષ્મી(વેસ્ટ), સવારે છ વાગ્યે

ધોબીઘાટ - વહેલી સવારે જઇને જોવાની મજા આવે એવા સ્થળોમાં ધોબીઘાટ પણ સામેલ છે. મહાલક્ષ્મી સ્ટેશન(વેસ્ટ)ની બહાર નીકળો અને પુલની નીચે જુઓ તો મુંબઇના ઐતિહાસિક ધોબીઘાટના દર્શન થાય. દર્શાવેલી ધોબીઘાટની તસવીરો સવારે છ વાગ્યે લીધી છે. સવાર સવારમાં ઘાટ પર જ ઊભડક ન્હાઇને દાંતના ખૂણે તમ્બાકુ અને કમરની નીચે પ્લાસ્ટિક ભરાવીને ધોબીઓ મંડી પડે છે. મુંબઇ અને એની આસપાસના લાખો લુગડા બપોરે દોઢેક વાગ્યા સુધીમાં 
કમ્મરે પ્લાસ્ટિક ભરાવીને દે ધોબીપછાડ
કૉલાજ - ધોબીઘાટના એક કુંડમાં પલાળેલું કાપડ
ઉજળીયાત થઇ જાય છે. રામપ્રસાદ નામનો ધોબી મને ત્યાં મળ્યો હતો. તેણે કહ્યું હતું કે ચાર – પાંચ જણાનું એક ગૃપ હોય છે. આવા પંદરસો જેટલા ગૃપ છે. દરેક ગૃપ રોજના ત્રણથી ચાર હજાર કપડા ધોઇ નાખે છે. આભા બની જઇએ એવો આ આંકડો સાભળીને બે ઘડી તો મને એમ જ થયું કે હું ધોબીઘાટ પર નહીં પણ બોમ્બે સ્ટોક એક્સડેન્જના બિલેડીંગની નીચે ઊભો છું. સાચું ખોટું રામ અને રામપ્રકાશ જાણે પણ ધોબીઘાટ અદભૂત જગ્યા છે. કિરણ રાવની ફિલ્મ ધોબી ઘાટ તમને કદાચ ગમે કે ન ગમે પણ સાચુકલો ધોબી ઘાટ જોવો જરૂર 
ગમશે.    










પાક કલા પછીની પાન કલા, કોલાબા 


લખનવી કોલાબા - પાન એ માત્ર ખાવાની જ નહીં પણ સજાવવાનીય વસ્તુ છે એ કોલાબાની ઊભી બજારે આંટો મારીએ એટલે સમજાય. ફૂડ ડ્રેસીંગ ફોટોગ્રાફીના સીલેબસમાં સુધારો કરીને પાન ડ્રેસીંગનું ચેપ્ટર પણ ઉમેરવું જોઇએ. કોલાબાની આ ગલીઓમાં અંગ્રેજો અને આરબોની ખૂબ અવર જવર રહે છે. કંઇક નોખી કે નવી ચીજ તરીકે પાન ખાવા માટે તેમની જીભ લલચાય એ માટે આ પ્રકારે મસાલા પાન સજાવવામાં આવે છે. મુદ્દાની વાત એ છે કે આ સજાવેલા પાન સ્વાદમાં સાદા પાન કરતાંય નબળા હોય છે. એના સ્વાદની માત્ર શોપીસ વૅલ્યુ જ હોય છે. જો કે એની સજાવટ એવી લાજવાબ હોય છે કે એ જોઇને તમને કોલાબામાં લખનવની ઝાંખી થાય.
મોઢું મીઠું કરો, ખિસ્સું ઢીલું કરો  -  કોલાબાનો લખનવી અંદાજ














કાપડ માર્કેટप्रेम गली अति संकरी, तामें दाऊ न समाई | એવો કબીરનો દુહો છે. મુંબઇની મંગળદાસ અને સ્વદેશી માર્કેટમાં જાવ એટલે એવું લાગે કે કબીરને આ દુહાની પ્રેરણા મુંબઇની કાપડ બજારોમાંથી મળી હશે. મુંબઇની કાપડ માર્કેટની ગલીઓ એટલી સાંકડી છે કે બેથી ત્રણ જણા એક હારમાં માંડ માંડ ચાલી શકે. તો ય આ માર્કેટોમાં રોજ માણસોની એટલી ભીડ હોય કે જાણે કીડીયારા સામે હરિફાઇ માંડી હોય. વર્ષો જૂની આ માર્કેટો કરોડોનું ટર્નઓવર ધરાવે છે. તો ય ત્યાં હિસાબ ચોપડે જ મંડાય છે. કોમ્પ્યુટરની બાબતમાં વેપારીઓ કોમ્યુનિસ્ટો છે. ગાદી તકીયાની જ બેઠક છે. અંગ્રેજોએ માર્કેટની અંદર મૂકાવેલા પોસ્ટ ઓફીસના ડબ્બા આજના ઇ મેઇલના જમાનામાં ય માર્કેટની રોનક ગણાય છે. વર્ષો જૂના વજનકાંટા જેને વેપારીઓ ધરમ કાંટા કહે છે એ પણ ત્યાં છે. આ માર્કેટોની વિન્ટેજ ફ્લેવર જે છે એ  વાઇનને હરિફાઇ આપે એવી છે. આપણને ગમે એવી વાત એ છે કે આ માર્કેટોમાં ગુજરાતી વેપારીઓનું વર્ચસ્વ છે.  
સ્વદંશી માર્કેટ (ઇનસાઇડ)


મારો ય એક ઝમાનો હતો - અંગ્રેજોના વખતથી મુંબઇની
કાપડ માર્કેટોમાં પોસ્ટ ઓફીસના ડબ્બા મૂકાયા હતા.


મૂળજી જેઠા કાપડ માર્કેટની ગલીઓના નામ વાંચો !

ધરમ કાંટા 










સંજય લીલા ભણસાલી માટે એક સમયે ધરતીનો છેડો તળ મુંબઇનો આ રૂમ હતો
સંજય ભણસાલીનું 200 સ્ક્વેર ફૂટનું જુનૂં ઘર  - તળ મુંબઇમાં ભૂલેશ્વરના  સી પી ટેન્ક(કાવસજી પટેલ ટેન્ક) વિસ્તારમાં ગુલાલવાડીમાં આવેલી ત્રીજી પાંજરાપોળની સામે આવેલા ભાનુસાલી ભુવનમાં ત્રીજા માળે આવેલો રૂમ નંબર 12 એટલે સંજય લીલા ભણસાલીનું જુનૂં સરનામું. અત્યારે સંજય ભણસાલી અને લીલાબહેન જુહૂમાં આલીશાન ઘરમાં રહે છે. પરંતુ એક સમયે 200 સ્ક્વેર ફૂટનો આ એક રૂમ ભણસાલી પરિવારનું આખું ઘર હતો. એ એક રૂમ જ રસોડું, બેઠક રૂમ અને બેડ રૂમ એમ બધું જ હતો. એ રૂમમાં હવે અલાહાબાદનો ચૌરસીયા પરિવાર રહે છે. રોચક વાત એ છે કે સંજય લીલા ભણસાલીના ઘરથી દશ મિનિટના અંતરે જયહિન્દ એસ્ટેટ આવેલું છે, જ્યાં એક સમયે ધીરૂભાઇ અંબાણી રહેતા હતા. અભિયાન માટે રીપોર્ટીંગ વખતે કોલમ્બસગીરી કરીને એટલે કે ખાખાખોળા કરીને આ સરનામે પહોંચ્યો હતો અને કેટલીક રસપ્રદ માહિતી મેળવી હતી.
(આંખ ઝીણી કરીને વાંચો) ભાનુશાલી ભુવન 









બહારગામ કે અન્ય શહેરથી મુંબઇ જોવા આવનારાઓ ગેટવે ઓફ ઇન્ડિયા કે ચોપાટી કે એસ્સેલ વર્લ્ડની ફુદરડીઓમાં ફરીને ચાલ્યા જાય છે. એનીય મજા છે એની ના નહીં. સાથો સાથ ઉપર જે વર્ણવ્યા એ (સંજય ભણસાલીના ઘરને બાદ કરતાં) સ્થળોનીય મજા છે. બહારથી ફરવા આવતા મોટા ભાગના લોકો આ સ્થળો જોવાનું ચૂકી જાય છે. કદાચ તેમને મન આ સ્થળો જોવાલાયક કૅટેગરીમાં ન પણ આવતા હોય એવું હોઇ શકે. પરંતુ ફરવામાં અને ઝીણું ઝીણું જોવામાં રસ હોય તો ફૂલ બજાર, કાપડ માર્કેટો, ધોબી ઘાટ જેવા સ્થળો પણ ખરેખર રસ પડે એવા છે. મુંબઇની ભાતીગળ ભૂગોળમાં આવા તો કંઇ કેટલાય નમૂના પડ્યા છે જેના વિષે ફરી ક્યારેક

તેજસ વૈદ્ય, મુંબઇ