Thursday, July 16, 2015

છપ્પનવખારી : મલ્હારના દેશમાં જળના નામે ઝાંઝવા


Sandesh - Ardh Saptahik Purti - 3 June 2015


છપ્પનવખારી : તેજસ વૈદ્ય


પાણી આવે ત્યારે જાનૈયાઓ લગ્નની જાન છોડીને ઘેર દોડયા હોય એવા તો અનેક પ્રસંગો સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. મહારાષ્ટ્રના ગામડાંમાં તો ટેન્કર આવે ત્યારે ડાઘુઓ જનાજો છોડીને ગયા હોય એવા દાખલા છે. પાણીની સમસ્યા પર થયેલા અભ્યાસ એવું દર્શાવે છે કે ભારત જળદેવાળીયો દેશ થવાના આરે છે. જો આજે આપણે પાણીના વપરાશમાં વિવેક નહીં કેળવીએ તો આવતી કાલે પાણીના નામનું ન્હાઇ નાખવું પડશે


આજથી દશ - પંદર વર્ષ પછી બની શકે કે તમારી આખી સોસાયટી વાઇ-ફાઇ ધરાવતી હશે. તમારા મોબાઇલમાં ફોર - જીનું નેટવર્ક આવી ગયું હશે. ઘરમાં દરેક વ્યક્તિના સેલફોનમાં ઇન્ટરનેટનું હાઇસ્પીડ કનેક્શન હશે. કેટલાંક શહેરો ચકચકિત સ્માર્ટ સિટી બની ગયા હશે. ટૂંકમાં બધું એકદમ હાઇટેક બની ગયું હશે અને લાઇફ થ્રીજી-ફોરજીની સ્પીડે દોડતી હશે. આવું કદાચ હોઇ શકે. આવા સુવિધાસંપન્ન દિવસો દૂર નથી એવું કોઇ માને તો એ બિલકુલ ખોટું નથી. એવું હોઇ શકે, પણ આ બધી હાઇટેક સુવિધાની વચ્ચે ઘરમાં પાણીનાં સાંસાં હશે. રેશનિંગમાંથી ખરીદેલું ઘાસલેટ ઘરના લોકો માપી માપીને વાપરે એમ કદાચ પાણી પણ રેશનિંગથી વાપરવું પડશે. પીવાના પાણીના તો વાંધા પડવા માંડયા છે જ,પછી ન્હાવાનું પાણી પણ ખરીદવું પડશે. આ દિવસો પણ દૂર નથી અને એવું માનવા માટે તો પૂરતા કારણો આપણી સામે છે જ. આપણે પાણીની જરૂરિયાત તો સમજીએ છીએ પણ એને આદર આપતા નથી આવડતું. એનું મૂલ્ય સમજતાં આપણને નથી આવડયું. તેથી પાણી આપણને અને આપણી આગામી પેઢીને રાતા પાણીએ રડાવવાનું છે એટલં નક્કી.
આ તો થઇ ભવિષ્યના ઓવર ઓલ દૃશ્યની ઝાંખી પણ અત્યારેય છૂટક છૂટાક રાજ્યો અને વિસ્તારોમાં આવું ચિત્ર જોવા તો મળી જ રહ્યું છે. દેશમાં કેટલાંક રાજ્યોમાં વર્ષોથી પાણીનું ચિત્ર આંખે પાણી લાવી દે એવું જ છે. ગુજરાતમાં કચ્છ - કાઠિયાવાડ જુઓ કે મહારાષ્ટ્રમાં વિદર્ભ જુઓ, ત્યાં ઉનાળા તો આકરા પાણીએ જ હોય છે. સારો વરસાદ થયો હોય એ વર્ષોમાં પણ ત્યાં ઉનાળામાં તો લોકોને ત્રણ - ચાર દિવસે એક વખત જ પાણી મળે છે. કાઠિયાવાડ અને વિદર્ભમાં તો પાણીએ લોકોને રાતા પાણીએ જ નથી રડાવ્યા પણ મોત મીઠા કરાવ્યા છે.
"ભારત ખેતીપ્રધાન દેશ છે અને ખેડૂત જગતનો તાત છે." આ વાક્ય હવે ગૌરવપ્રદ નહીં પણ હાસ્યાસ્પદ લાગે છે. જળસંગ્રહ,જળસંરક્ષણ, જળ વ્યવસ્થાપન જેવા મુદ્દે અત્યાર સુધીની તમામ સરકારો નિષ્ફળ ગઇ છે તેથી એની લાંબી ચર્ચા કરવાનો કોઇ અર્થ નથી. ગુજરાતમાં કેટલીય નોન ગવર્નમેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ (એનજીઓ)એ પાણીના નામે પોતાની આર્િથક પાળ બાંધી લીધી અને કામના નામે માત્ર કાગળિયા કર્યા. કેટલીક એનજીઓએ સારી કામગીરી કરી હશે એની ના નહીં, પણ પ્રોજેક્ટના સુંવાળા ચિત્ર ઊભા કરીને પૈસા બનાવનારી એનજીઓની સંખ્યા નાનીસૂની નથી.
માણસનું મૂલ્યાંકન એ રીતે પણ થવું જોઇએ કે તે કેટલું પાણી વાપરે છે?
હવે આવે છે પ્રજાનો વારો, એટલે કે મારો અને તમારો વારો. પાણીના ઉપયોગના મામલે આપણે કેટલા વિવેકપૂર્ણ અને સંવેદનશીલ રહ્યા છીએ? આનો જવાબ આપણને ખબર છે અને શરમથી માથું ઝૂકી જાય છે. માણસના મૂલ્યાંકનનો એક માપદંડ એ પણ હોવો જોઇએ કે તે પાણીનો વપરાશ કેવી રીતે કરે છે અને રોજનું કેટલું પાણી વાપરે છે? એક માણસની જરૂરિયાત કરતાં વધુ પાણી તે વાપરતો એટલે કે વેડફતો હોય તો એ વ્યક્તિ અવિવેકી છે.
કોઇ વ્યક્તિ શાવર એટલે કે ફુવારામાં નહાતી હોય કે ટબમાં નહાતી હોય તો એ પાણીનો ક્રિમિનલ વેસ્ટેજ કરે છે. નાહાવામાં એક ડોલ કરતાં વધારે પાણીનો વપરાશ કરનારી વ્યક્તિ પણ એ જ કેટેગરીમાં આવે છે. ઘરમાં નળ કે પાઇપ લીકેજ હોય ને પાણી ટપક ટપક થતું હોય છતાં દિવસો સુધી એનું સમારકામ નહીં કરાવનારી વ્યક્તિ અભણ જ કહેવાય. શેવિંગ કરતી વખતે જે માણસ નળ સતત વહેવા દેતો હોય એ મૂર્ખાઓનો સૂત્રધાર છે. અલ્યા તું એક પાત્રમાં પાણી લઇને દાઢી કર ને! વાસણ નળ નીચે છૂટથી પાણી વહાવીને ધોવાની કેટલીક ગૃહિણીને ટેવ હોય છે. એને બદલે કોઇ મોટા પાત્રમાં પાણી ભરીને ધોવા જોઇએ. પાણીનો કઇ રીતે વપરાશ કરવો એ બાળકોને વાલીઓએ ઘરમાં દાખલા બેસાડીને શીખવવું જોઇએ તેમજ સ્કૂલની એજ્યુકેશન સિસ્ટમમાં પણ એ શીખવવું જોઇએ. મુંબઇ સુધરાઇએ પાંચેક વર્ષ અગાઉ પાણી માટેની એક ઝુંબેશ શરૂ કરી હતી. જેમાં સચિન તેંડુલકરે ભાગ લીધો હતો. સચિનની એક એડ એવી હતી કે જેમાં તે લોકોને આહ્વાન આપતો હતો કે હું રોજ માત્ર એક બાલદી પાણીથી જ ન્હાઉં છું. નાહવા માટે એક બાલદી પર્યાપ્ત છે. તમે પણ એટલું જ પાણી વાપરો.
વિચિત્રતા એ છે કે પાણીના અછતના દિવસોમાં આપણે દુખી થઇ જઇએ છીએ અને પૂરતું પાણી હોય એ દિવસોમાં એનો બેફામ ઉપયોગ કરીએ છીએ. એવી આપણી પ્રકૃતિ છે. આપણા પૂર્વજો હોંશિયાર અને વિવેકી હતા. જૂનવાણી મકાનોમાં આજે પણ તમને ક્યાંક ક્યાંક વરસાદી પાણીના સંગ્રહ માટેના ટાંકા જોવા મળશે. જેમાં ચોમાસાનું સંગ્રહાયેલું પાણી ઉનાળાના કાળઝાળ દિવસોમાં કામ લાગતું હતું. આજે મકાનો તો ભપકાદાર અને સુવિધાસંપન્ન બને છે પણ પેલા પાણીના સંગ્રહના ટાંકા નથી બનતા. છ - સાત માળની બિલ્ડિંગોના ભોંયતળીયે પણ એવા ટાંકા બનાવી શકાય છે. સોસાયટીમાં ક્લબહાઉસ કરતાં જળસંગ્રહના ટાંકા બનાવવાની તાતી જરૂર છે. રહેણાંક સોસાયટીમાં એવી પણ એક શરૂઆત કરવા જેવી છે કે દર મહિને કે દોઢ મહિને એક પ્લમ્બરને બોલાવવામાં આવે અને તે સોસાયટીના જેટલા પણ ઘરમાં પાણી લીકેજ થતું હોય એનું સમારકામ કરી આપે. આવું કરવાથી પ્લમ્બર સસ્તો પણ પડશે અને વહી જતું પાણી બચશે. સોસાયટીની ર્વાિષક બેઠકમાં આવા ઠરાવ કરવા જોઇએ અને એના માટે અલગ ભંડોળ રાખવું જોઇએ કાં મેઇનટનન્સ ખર્ચમાં એનો સમાવેશ કરવો જોઇએ. આને લીધે સરવાળે ફાયદામાં સોસાયટી જ રહેશે.
પાણીના મામલે ભારતનું ભાવી ધૂંધળું નહીંકાળુંબલ્લક છે

આપણો દેશ જળ દેવાળીયો થઇ જવાનો છે એવો રિપોર્ટ વર્લ્ડ બેન્કે નવ વર્ષ અગાઉ આપ્યો હતો. જેમાં કહેવાયું હતું કે પાણીના મામલે ભારતનું ભાવી ધૂંધળું નહીં પણ આંધળું એટલે કે કાળુંબલ્લક છે. આગામી પંદર વર્ષમાં જ ભારતની પાણીની જરૂરિયાત તેના જળસ્ત્રોતોમાં રહેલા પાણીની ઉપલબ્ધતા કરતાં વધી જશે. જો ભારતના લોકો પાણીનો વિવેકપૂર્વકનો ઉપયોગ કરતાં નહીં શીખે તો દેશ બે દાયકામાં દુકાળીયો થઇ જશે. અત્યારે ખેતીમાં સિંચાઇ તેમજ લોકોની રોજિંદી જરૂરિયાતનો મુખ્ય સ્ત્રોત ગ્રાઉન્ડવોટર એટલે કે ભૂગર્ભ જળ છે. બોર, ડંકી, ટયુબવેલ વગેરે દ્વારા જમીનમાંથી પાણી ખેંચી લેવામાં આવે છે જેને લીધે ભૂગર્ભનો જળજથ્થો ભયજનક રીતે ઓછો થઇ ગયો છે. લોકો ભૂગર્ભમાં એ સ્તરેથી પાણી ઉલેચી રહ્યા છે જેમાં ફ્લોરાઇડ અને અન્ય દૂષિત ક્ષારનું ભરપૂર પ્રમાણ છે. જે પાણી પીવાલાયક નથી. ભૂગર્ભ જળ એ નિર્ભર રહી શકાય એવો મૂળભૂત સ્ત્રોત નથી. સંખ્યાબંધ વિસ્તારોમાં તો ભૂગર્ભ જળ ઓલરેડી ડૂકી ગયું છે. જ્યાં જળ ડૂકી ગયું છે એમાં દેશના સૌથી વધુ જનસંખ્યા ધરાવતા વિસ્તારો તેમજ દેશનાં આર્િથક કેન્દ્ર એવા કેટલાંક શહેરો સામેલ છે. ખેદજનક વાત એ છે કે પર્યાવરણના ભોગે આર્િથક રીતે સમૃદ્ધ શહેરોને મહત્વ આપવામાં આવી રહ્યું છે. શહેરોમાં જંગી પાયે ઉત્પાદીત થતો કચરો નદીઓમાં ઠાલવવામાં આવે છે. જેને લીધે દેશની ૯૦ ટકા નદીઓ પ્રદૂષિત થઇ ગઇ છે. ભારતની હાલત બદથી ય બદતર થઇ રહી છે. બહુ ઝડપથી પગલાં લેવાની જરૂર છે. ભારતના વિવિધ ડેમ વ્યક્તિદીઠ ૨૦૦ ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ કરી શકે છે જ્યારે કે ચીન, દક્ષિણ આફ્રિકા અને મેકસિકો જેવા દેશ ૧૦૦૦ ક્યુબિક મીટર પાણી સંગ્રહી શકે છે. તેથી પાણીના સંગ્રહના ક્ષેત્રમાં પણ ભારતે ઝટ માળખાકીય વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે. - આ વર્લ્ડ બેંકે કાઢેલું સરવૈયું છે.
નવ વર્ષ પહેલાનો આ રિપોર્ટ આજે અરિસો બનીને આપણને મોં દેખાડી રહ્યો છે. આમાંના ઘણા અનુમાનો સાચા પડી રહ્યા છે. આજે મોટા ભાગની સોસાયટીઓ સુધરાઇના પાણી પર નહીં પણ બોરથી ખેંચેલા ભૂગર્ભ જળ પર નભે છે. ક્ષારવાળું એ જળ પીવાલાયક તો હોતું નથી. તેથી પીવા માટે પેકેજ્ડ વોટરના બાટલા મંગાવવા પડે છે. જેને લીધે પીવાના પાણીનો મસમોટો કારોબાર ઊભો થયો છે. ઉપરાંત ટેન્કર દ્વારા ઘરવપરાશ માટે પાણી મંગાવવાની પ્રથા તો વર્ષોથી ચલણમાં છે. જેને લીધે ટેન્કર વોટરનો પણ એક ઉદ્યોગ વિકસ્યો છે.
પાણીનું ટેન્કર આવે ત્યારે ડાઘુઓય જનાજામાંથી હળવેકથી સરકી જાય!

વધી રહેલી વસતી અને એના કરતાંય બમણી ઝડપે થઇ રહેલા શહેરીકરણ અને ઉદ્યોગીકરણને લીધે પાણીની ખપત વધી છે. સામે પક્ષે પાણીના સ્ત્રોત મર્યાદીત છે અને એ એટલી જ ઝડપે ખાલી થઇ રહ્યા છે. એક સાદો સવાલ મનમાં એ ઊઠે કે જો પાણીના જ ફાંફાં હોય તો માત્ર માળખાકીય સુવિધા અને ડિજિટલ ડેવલપમેન્ટને કઇ રીતે પ્રગતિ કહી શકાય?
ખ્યાતનામ ફિલ્મમેકર શેખર કપૂર વર્ષોથી 'પાની' નામની ફિલ્મ બનાવી રહ્યા છે જે હજી પૂરી જ નથી થઇ. પાણીની સમસ્યાના ઉકેલ માટેની યોજનાઓ પણ શેખર કપૂરની એ ફિલ્મ જેવી જ છે. જે અમલમાં તો આવી છે પણ એના કોઇ સાર્થક આઉટપુટ આપણને હજી મળ્યા નથી.
વડોદરા જિલ્લાના દેવાળીયા, જેતપુર તેમજ કાઠિયાવાડના દેઢાણ સહિત કેટલાંય એવા ગામો ગુજરાતમાં છે કે જ્યાં કોઇ દીકરી પરણાવતું નથી. કેટલાંય ગામોમાં પાણીને વાંકે પરણી ન શકતા યુવકો છે. તેમના ગામમાં પાણી નથી એટલે તેમની કુંડળીમાં લગ્નયોગ નથી. દેશના અનેક રાજ્યોમાં આવી પરિસ્થિતિ છે.
હાલની સ્થિતિ એવી છે કે દેશના પચાસ ટકા ગામોમાં પીવાનું પાણી મળતું નથી. ગાંધીજી કહી ગયા હતા કે "ખરૃં ભારત ગામડામાં વસે છે." ખરૃં ભારત એ જ છે કે જ્યાં પીવાનું પાણીય મળતું નથી.
કાઠિયાવાડની મહેમાનગતિ માટે તો દુહો પ્રચલિત છે કે 'અમારા કાઠિયાવાડમાં કોક'દિ તું ભૂલો પડય મારા ભગવાન...તને સ્વર્ગ રે ભુલાવી દઉં મારા શામળા...' કાઠિયાવાડીઓ મહેમાનને ખરેખર જીવની જેમ સાચવે છે, પણ એપ્રિલ - મે મહિનામાં જો શામળિયો ભૂલો પડી જાય તો તેણે પણ પાણીની તો હાલાકી ભોગવવી જ પડે. દિલ્લીના વસંતવિહાર જેવા ભવ્ય ઇલાકામાં કરોડોનું મકાન ધરાવતા લોકો હવે એ વિસ્તાર ખાલી એટલા માટે કરવા માગે છે કે ત્યાં પાણીના ભયંકર ધાંધીયા છે. મહારાષ્ટ્રનું નાંદેડ હોય કે કચ્છનો અંતરિયાળ ઇલાકો જ્યાં પાણી માત્ર ટેન્કર દ્વારા પહોંચે છે એવા વિસ્તારોમાં જ્યારે ટેન્કર આવે છે ત્યારે લોકો એવી રીતે તૂટી પડે છે જાણે જંગલી પ્રાણીઓનું ટોળું કોઇ શિકાર પર તૂટી પડતું હોય. આ વાક્ય થોડું અતિશયોક્તિ ભરેલું લાગતું હોય તેમણે ક્યારેક એ દ્રશ્યો જોઇ લેવા.
મહારાષ્ટ્ર જેવા વિકસિત રાજ્યમાં પાંચ હજાર કરતાં વધુ ગામો એવા છે જ્યાં ટેન્કરથી પાણી પહોંચે છે. પાણી આવ્યું હોય અને જાનૈયાઓ જાન છોડીને ચાલ્યા ગયા હોય એવું તો આપણે સાંભળ્યું છે અને કેટલાંકે જોયું હશે. મહારાષ્ટ્રના ગામડામાં એવા પણ દૃશ્યો સર્જાયા છે કે ગામમાં ટેન્કર આવ્યું હોય અને ડાઘુઓ જનાજામાંથી સરકીને પાણી ભરવા ચાલ્યા ગયા હોય. આમાં તેમનો વાંક નથી. દિવસો સુધી પાણીના દર્શન જ ન થતા હોય ત્યાં આવા દૃશ્યો સર્જાય એ સ્વાભાવિક વાત છે.
એકતરફ પાણી નથી તો બીજી તરફ આપણી પાસે જે પાણી હતું એનો નખોદ વાળી દીધો છે. આપણી દરેક નદીને આપણે વંદન કરીએ છીએ. નદીને આપણે માતા કહીએ છીએ. હકીકત એ છે કે એ ધર્મભાવનાથી ઉપર ઊઠીને વાસ્તવિક રીતે જોઇએ તો નદીને આપણે ગટર જ બનાવી દીધી છે. ગામ અને શહેરનો કચરો નાળામાં ઠલવાય છે અને નાળું નદીમાં ઠલવાય છે. જે નદી પીવાલાયક પાણી પૂરંુ પાડતી હતી એ હવે ઝેર બની ગઇ છે. દેશની મોટા ભાગની નદીઓના આ હાલ છે. યમુના નદીના શુદ્ધિકરણની ઝુંબેશ ચલાવતાં મનોજ મિશ્ર કહે છે કે "૧૪૦૦ કિલોમીટરમાં ફેલાયેલી યમુના નદી ૮૦૦ કિ.મી.માં તો મરી પરવારી છે. પાણીપતથી ઇટાવાનો ૬૦૦ કિ.મી.નો પટ્ટો તો અધિકૃત રીતે ડેડ જાહેર થઇ ચૂક્યો છે. જેમાં દિલ્હી, આગ્રા, મથુરા, વૃંદાવન એટલે કે આખેઆખી વ્રજભૂમિ સામેલ છે. કૃષ્ણની એ ભૂમિના દર્શન કરવા દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુ ત્યાં આવે છે. નદીમાં સ્નાન અને આચમન કરે છે. લોકો જે આચમન કરે છે એ દિલ્લીનો સડેલો કચરો છે."
 શહેરમાં ડામર રોડ તો છે જ એ સિવાય હવે નાની નાની ગલીઓમાં અને શેરીઓમાં પણ આરસીસી અને પેવરબ્લોક ભરીને જમીનને પેક કરી દેવામાં આવી છે. એટલે સુધી કે કોઇ વડલાનું ઘટાદાર વૃક્ષ હોય તો એના થડનેય એનાથી પેક કરી દેવામાં આવે છે. પરીણામે પામી ઝમીને જમીનમાં ઉતરતું હતું એ ઉતરવાનું શહેરમાં અત્યંત ઓછું થઇ ગયું છે. એને લીધે પણ ભૂગર્ભ જળ ખૂટવા માંડયું છે. આપણું અર્બન પ્લાનિંગ એટલે કે શહેરરચના એવી છે કે પાણીને જીવનથી દૂર કરી રહ્યા છીએ. આપણે જમીનની જ કિમત કરીએ છીએ પણ પાણીનું મૂલ્ય સમજતા નથી. પાણી આપણને સારી રીતે યાદ દેવડાવી રહ્યું છે અને પાઠ ભણાવી રહ્યું છે કે તેનું મૂલ્ય શું છે. આપણે જમીનની કિમત ભલે કરીએ પણ પાણીનું મૂલ્ય સમજીએ એ જરૂરી છે. કાલે પાણી ખતમ થઇ જવાનું છે એમ સમજીને વાપરો. મહાવીર સ્વામી કહી ગયા છે કે "પાણીને ઘીની જેમ વાપરો." જો આજે આપણે ઘીની જેમ નહીં વાપરીએ તો આવતી કાલે ઘીના ભાવે જ ખરીદવું પડશે.
"રહેણાંક સોસાયટીમાં એવી પણ એક શરૂઆત કરવા જેવી છે કે દર મહિને કે દોઢ મહિને એક પ્લમ્બરને બોલાવવામાં આવે અને તે સોસાયટીના જેટલા પણ ઘરમાં પાણી લીકેજ થતું હોય એનું સમારકામ કરી આપે. આવું કરવાથી પ્લમ્બર સસ્તો પણ પડશે અને વહી જતું પાણી બચશે. સોસાયટીની ર્વાિષક બેઠકમાં આવા ઠરાવ કરવા જોઇએ અને એના માટે અલગ ભંડોળ રાખવું જોઇએ કાં મેઇનટનન્સ ખર્ચમાં એનો સમાવેશ કરવો જોઇએ. આને લીધે સરવાળે ફાયદામાં સોસાયટી જ રહેશે."
એક હતું તળાવ...

પાણીની જાળવણી માટે ભેખ લઇને કામ કરતાં જળસંરક્ષણના પુરસ્કર્તા એવા જાણીતા પર્યાવરણ કર્મશીલ અનુપમ મિશ્રએ સરસ વાત કહી હતી. ધ્યાનથી વાંચજો. તેઓ કહે છે કે " પૃથ્વી પર પાણી આવ્યું એ પછી જ જીવન શરૂ થયું તેથી એ વાત સમજવામાં સાવ સાદી છે કે જો પાણી જ નહીં હોય તો જીવન આપોઆપ ચાલ્યું જશે અને પૃથ્વી જીવ વગરનો ગ્રહ બની રહેશે. દિલ્લીમાં એક સમયે ૮૦૦ તળાવ હતા. આજે ગણીને પાંચ પણ નથી. લોકો માને છે કે પાણીની કોઇ કિમત નથી, જમીનની કિમત છે. તેથી આપણે એ તળાવો બૂરીને દુકાનો અને મકાનો ઊભા કરી દીધા. દિલ્હીમાં વરસાદ તો આજે પણ એટલો જ પડે છે જેટલો અગાઉ પડતો હતો, પણ હવે એ પાણી સંગ્રહાતું નથી, વહ્યું જાય છે. એને પરીણામે પૂર આવે છે. અગાઉ જળસંગ્રહના અનેક સ્ત્રોત હતા. તળાવ, વાવ, તલાવડી, કૂવા વગેરે. હવે એના પર એન્ક્રોચમેન્ટ થઇ ગયું છે. તેથી પૂર આવે છે."
અનુપમ મિશ્ર હવે જે વાત કહે છે એ વધારે ધ્યાનપૂર્વક વાંચજો. પાણીનું વિષચક્ર કઇ રીતે સર્જાયું એ સમજાવતાં તેઓ કહે છે કે "અંગ્રેજો દેશમાં આવ્યા એ અગાઉ રાજાશાહી હતી ત્યારે દેશમાં પાણીની પરિસ્થિતિ સારી હતી. એક સાદું દૃષ્ટાંત આપું. અંગ્રેજો આવ્યા એ અગાઉ માત્ર મૈસૂર રાજ્યમાં ચાલીસ હજાર તળાવ હતા. રાજ્ય પ્રશાસન અને સમાજ બંને મળીને એ જળસ્ત્રોતોની જાળવણી કરતા હતા. એમાં રાજા પોતાના તરફથી પૈસા આપતા હતા. જ્યારે અંગ્રેજોનું શાસન આવ્યું ત્યારે તેમણે પ્રજાને કહ્યું કે અમે શા માટે પૈસા આપીએ? આ તળાવ તો તમારા છે. અમે એના રખરખાવ માટે પૈસા નથી આપવાના. અધૂરામાં પુરંુ અંગ્રેજોએ એના પર વેરો નાખ્યો. અંગ્રેજોએ ઠેરવ્યું કે લોકો એમાંથી સિંચાઇ લે છે તો લોકોએ એનો ટેક્સ ચૂકવવો પડશે. આમ,અંગ્રેજોએ રખરખાવ માટે પૈસા તો ન આપ્યા પણ સામેથી ટેક્સરૂપે પૈસા લોકો પાસે માગ્યા અને ટેક્સ વસૂલવા માંડયા એટલે આપોઆપ એ તળાવ, વાવ વગેરેની માલીકી અંગ્રેજોની થઇ ગઇ. પછી લોકોનું પણ એ જગ્યાઓ પરથી મમત્વ ઘટવા માંડયું. લોકોએ તળાવ, વાવ, કૂવા વગેરેની રખેવાળી બંધ કરી દીધી. એ અવાવરૂ થઇ ગયા. અગાઉ લોકો પોતે પાણીનો સંગ્રહ કરતા હતા અને એની વ્યવસ્થામાં નિમિત્ત બનતા હતા એ ધીમે ધીમે સરકાર પર નિર્ભર થવા માંડયા. અંગ્રેજોએ તમામ રાજ્યોમાં આવી સ્થિતિ નિર્માણ કરી હતી. જેના નબળા પરિરણામો આજે આપણે સમગ્ર દેશમાં અત્યારે જોઇ રહ્યા છીએ. અત્યારે વસતી ભયંકર વધી ગઇ છે અને પાણીના અગાઉના સ્ત્રોત નામશેષ થઇ ગયા છે. તેથી ઉપાય શું કાઢવો એ આપણને સૂઝતું નથી."

Article Web link
http://www.sandesh.com/article.aspx?newsid=3082239

છપ્પનવખારી : શબ્દોની દુનિયા અને દુનિયાના શબ્દો


Sandesh - Ardh Saptahik Purti - 10 June 2015

છપ્પનવખારી : તેજસ વૈદ્ય

બીરિયાની અને સેલ્ફી શબ્દો હવે ફ્રેન્ચ ડિક્શનરીમાં સ્થાન પામ્યા છે. એવી જ રીતે પાપડ શબ્દને ઓક્સફર્ડની ઇંગ્લિશ ડિક્શનરીમાં સ્થાન મળ્યું છે. આપણો ગુજરાતી શબ્દ ખીચડી ઓલરેડી ઓક્સફર્ડ ડિક્શનરીમાં છે. દરેક ભાષામાં જ્યારે નવા શબ્દો ઉમેરાય છે ત્યારે એ ભાષા વધુ ખીલે છે. એવી જ રીતે લુપ્ત થયેલા શબ્દો પણ જો ફરી વાત-વપરાશમાં આવે તો ભાષા લાઇવ બને છે. શબ્દોની નવી-જૂની દુનિયામાં ચાલો ત્યારે...


નદીને કાંઠે સેલ્ફી. વર્ષો પછી મળેલા જૂના પાડોશી રાકેશઅંકલ સાથે સેલ્ફી. ઊભી બજારે સેલ્ફી. લાંબી શેરીમાં સેલ્ફી. લોકલ ટ્રેનમાં દોસ્તો સાથે સેલ્ફી. સીટી બસમાં ગર્લફ્રેન્ડ સાથે સેલ્ફી. કોલેજના ર્વાિષક ફંક્શનમાં ગ્રૂપ સેલ્ફી. ટૂંકમાં, સેલ્ફી... સેલ્ફી... સેલ્ફી. હજી ગઈ કાલે આવેલો સેલ્ફી શબ્દ આજે એટલો પ્રચલિત થઈ ગયો છે કે જાણે બાપદાદાના વખતથી એ આપણી વચ્ચે હતો. સેલ્ફી સાવ નવો શબ્દો છે અને જો સર્વે કરવામાં આવે તો હાલમાં સૌથી વધુ બોલાતો શબ્દ પણ કદાચ એ જ હશે. વડાપ્રધાનથી લઈને વડાપાંવ વેચનારાને જોડતું કોમન ફેક્ટર આ શબ્દ છે.
 દરેક શબ્દ એક નવું વિશ્વ લઈને આવે છે. લોકોની વચ્ચે હળીભળી જતો શબ્દ ક્યાંથી આવે છે એ મોટા ભાગના લોકોને ખબર નથી હોતી. એ જ બોલીની મજા છે. એ જ ભાષાની મજા છે. વાત થઈ રહી છે નવા શબ્દોની. ડૂબું ડૂબું થવાને આરે હોય ને ફરી ઉપયોગમાં આવીને હિટ થઈ ગયા હોય એવા શબ્દોની તેમજ બોલચાલમાં વપરાતા-ઉમેરાતા શબ્દોની.
ઇસ આદમીને મેરી ઝિંદગી 'ઝંડકર રખી હૈ
"અરે યાર, વાટ લાગી ગઈ છે", "ઝિંદગી હો ગઈ ઝંડ ફિર ભી નહીં ગયા ઘમંડ". જો તમે યુવાન હશો તો આ વાક્યો ક્યાંક ને ક્યાંક સાંભળ્યાં હશે. આ વાક્યોમાં ધ્યાન ખેંચે એવા બે શબ્દો છે, 'વાટ' અને 'ઝંડ'. ફિલ્મોમાં આ શબ્દોનો છુટ્ટેહાથે પ્રયોગ થાય છે. 'ઝંડ' શબ્દ બિહાર તરફનો છે. ભોજપુરી બોલીમાં તો 'ઝિંદગી ઝણ્ડવા ફિર ભી ઘમંડવા' નામની ફિલ્મ બની રહી છે, જેમાં નસીરુદ્દીન શાહ કામ કરે છે. ઉપરાંત, તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ'માં કંગના રનૌત તેના પતિ માધવન માટે કહે છે કે, "ઇસ આદમીને મેરી ઝિંદગી ઝંડ કર રખી હૈ." ઝિંદગી ઝંડ હો ગઈ મતલબ ઝિંદગી ખેદાનમેદાન થઈ ગઈ છે. વાટ લાગી જવી એટલે મુસીબતના પહાડ તૂટી પડવા.
આવો જ એક અન્ય શબ્દ છે, 'દબંગ'. દબંગ શબ્દ ઉત્તર ભારતનો છે. એ લોકબોલીમાંથી લગભગ અદૃશ્ય થઈ ગયો હતો. સલમાન ખાનની એ ટાઇટલવાળી ફિલ્મ આવી એ સાથે જ એ શબ્દને નવજીવન મળ્યું. આજે દબંગ શબ્દ માત્ર ઉત્તર ભારતમાં જ નહીં પણ દેશભરમાં બોલાય છે. દબંગનો અર્થ થાય છે, લડાકુ, બહાદુર, બેફિકરો, કોઈનાથી ન ડરે એવો.
આવી જ રીતે ફિલ્મો દ્વારા જ પોપ્યુલર બનેલો નવો દેશી શબ્દ છે 'ટશન'. ટશનનો મતલબ એટીટયૂડ. ફિલ્મ 'અગ્નિપથ'માં અમિતાભ શું ટશનવાળો લાગે છે!
સેકન્ડ નહીં 'દ્વિતીય'

કોઈ પણ લોકપ્રિય નેતા, મેનેજર, એક્ટર, હાસ્ય કલાકાર હોવાની પહેલી શરત એ છે કે એ સારો કોમ્યુનિકેટર હોવો જોઈએ. એવું ત્યારે જ શક્ય બને જો એની પાસે વિશાળ શબ્દભંડોળ હોય. જેની પાસે સારું શબ્દભંડોળ હોય એ પોતાની વાણીથી પચાસમાં નોખો તરી આવે છે. અમિતાભ બચ્ચનની વિશેષતા એ છે કે તેમની શબ્દોની સૂઝ-સમજ અન્ય કલાકારો કરતાં અનેકગણી સારી છે. તેઓ નવા નવા શબ્દપ્રયોગ કરતાં રહે છે. કૌન બનેગા કરોડપતિની સેકન્ડ સીઝન માટે 'દ્વિતીય' શબ્દ તેમણે આપ્યો હતો.'કૌન બનેગા કરોડપતિ - દ્વિતીય' શબ્દ પછી તો એટલો પોપ્યુલર થવા માંડયો હતો કે કોઈ મેરેજ બ્યૂરોવાળા બીજી વખત સમૂહલગ્નનું આયોજન કરે તો 'દુલ્હા-દુલ્હન સમારોહ : દ્વિતીય' એવાં ટાઇટલ આપવા માંડયા હતા.
અમિતાભ બચ્ચન શબ્દોનું મહત્ત્વ સારી રીતે સમજે છે, કારણ કે તેઓ સાહિત્યને સારી પેઠે જાણે છે. સાહિત્ય પ્રત્યેનો આદર તેમને પિતા કવિ હરિવંશરાય દ્વારા વારસામાં મળ્યો છે.
  
યેડાશાણા કૌઆદેઢ શાણા...
કેટલાક શબ્દો જે તે ગામ કે શહેરની પોતાની સ્પેશિયાલિટી દર્શાવતા હોય છે. જેમ કે, મુંબઈમાં વાતચીતમાં તમને શાણપટ્ટી કે શાણા કૌઆ શબ્દ વારંવાર સંભળાશે. "યે રાજાબાબુ અપને આપકો બહુત શાણા કૌઆ સમજતા હૈ, ઉસકી શાણપટ્ટી અબ ઝ્યાદા દિન નહીં ચલેગી." શાણપટ્ટી એટલે હોશિયારી અને શાણા કૌઆ એટલે ચતુર કાગડો. ડોઢડાહ્યા માટે 'દેઢ શાણા' ત્યાં બોલાય છે. એવી જ રીતે કોઈ બબૂચક માટે મુંબઈમાં ઝંડુ શબ્દ પોપ્યુલર છે. 'અરે! રમેશ તો એકદમ ઝંડુ હૈ.' એ સિવાય 'ખજૂર' અને 'ઢક્કન'શબ્દો પણ જાણીતા છે. મગજથી થોડો ફરેલો હોય એના માટે યેડા શબ્દ વપરાય છે.'ચલ અબ તેરી યેડાગીરી બંધ કર'. કોઈ બડાશ હાંકતો હોય તો એને બંધ કરવા માટે મુમ્બૈયા ભાષામાં એને કહે છે કે 'ચલ અબ ઝ્યાદા રાગ મત દે.' રાગ એટલે બડાશ. ઉપરાંત, ખાલીપીલી, અપૂન-તપૂન, આયેલા-ગયેલા, ચલ કલ્ટી માર લે, પતલી ગલી સે નીકલ લે વગેરે શબ્દો પણ ટિપિકલી બમ્બૈયા છે, જે ફિલ્મોમાં અવારનવાર સાંભળવા મળે છે.
આપણી ભાષાઓમાં નવા શબ્દો ઝટ પ્રચલનમાં નથી આવતા. વિદેશમાં નવા નવા શબ્દો શોધવાનું અને એને ઉપયોગમાં લેવાનું પ્રમાણ વધારે છે. એની ડિક્શનરીઓ તૈયાર થાય છે. કેટલાક નમૂના જોઈએ.
 'ડ્રિંકસ્પિરેશન' આ શબ્દ ડ્રિંક અને ઇન્સ્પિરેશનના સરવાળાથી બન્યો છે. ડ્રિંક એટલે ચા, કોફી ન હોય એ તો તમે સમજતાં જ હશો. ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા. આપણે ત્યાં જેમ ચા પીધા વિના કામે ચઢતો ન હોય એવો વર્ગ મોટો છે એમ વિદેશમાં કેટલાંક એવાય લોકો હોય છે કે જેઓ બે-ચાર પેગ ઠપકારે પછી જ તેમને કામનો કાંટો ચઢતો હોય છે. પછી જ તેમને કંઈક કરવાની પ્રેરણા મળતી હોય છે. એના માટે આ શબ્દ વપરાય છે. જેમ કે, એઝ અ રાઇટર આઇ કુડ નોટ રાઇટ એની વર્ડ ઓન પેપર અનટિલ આઇ હેડ ડ્રિંકસ્પિરેશન.
'બોયફ્રેન્ડ મની'. નવા નવા પ્રેમમાં પડેલા છોકરાઓને પોતાની પ્રેમિકા જેટલો જ ગમે એવો આ શબ્દ છે. જ્યારે બોયફ્રેન્ડ પાસે કામધંધો ન હોય એટલે કે પૈસા ન હોય ત્યારે તેની ગર્લફ્રેન્ડ તેના માટે જે પૈસા બચાવીને રાખે તેને બોયફ્રેન્ડ મની કહે છે. ટૂંકમાં,લવરના પૈસે લીલાલ્હેર!
'સાયબરલોફિંગ'. આ શબ્દ વિદેશી છે, પણ ભારતીયોને તંતોતંત લાગુ પડે છે. ઓફિસમાં કર્મચારી ઇન્ટરનેટનો ઉપયોગ ઓફિસવર્કને બદલે પોતાના અંગત વપરાશ માટે કરે એટલે કે ઓનલાઇન શોપિંગ, ઓનલાઇન સ્ટોક ટ્રેડિંગ વગેરે કરે તો એને સાયબરલોફિંગ કહે છે.
'સાઇડવોક સાલ્સા'. આ શબ્દો બડા રોચક છે. સાઇડવોક એટલે ફૂટપાથ અને સાલ્સા એટલે ડાન્સનો એક પ્રકાર. ફૂટપાથ પર ચાલતાં જતાં લોકોની ખૂબ ભીડ હોય અને બે જણા એકબીજાથી આગળ નીકળી જવા માટે હુંસાતુંસી કરે એને સાઇડવોક સાલ્સા કહે છે. આપણે ત્યાં રસ્તા પર બે વાહનો એકબીજાથી આગળ નીકળી જવા માટે સાઇડવોક સાલ્સા કરતાં હોય છે. બે એક્ટરની એકબીજા સાથેની હરીફાઈ સાઇડવોક સાલ્સા જેવી હોય છે. દીપિકા પાદુકોણ અને કંગના રનૌત વચ્ચે કોણ આગળ નીકળી જાય એ માટેની સાઇડવોક સાલ્સા ચાલી રહી છે.
'પ્લેટોનિક જેલસી'. પ્લેટોનિક લવ શબ્દ તો આપણે સાંભળ્યો છે. જેનો અર્થ થાય છે વાસના રહિત નિર્મળ પ્રેમ. જેલસી એટલે કે ઈર્ષ્યા. ઈર્ષ્યા ક્યારેય નિર્મળ કેવી રીતે હોઈ શકે! પ્લેટોનિક જેલસી એટલે માનસીને રોહન ગમતો હોય અને રોહન પ્રિયંકા સાથે વારંવાર જોવા મળે તેથી માનસીને જે ઈર્ષ્યા થાય એને પ્લેટોનિક જેલસી કહે છે. પ્લેટોનિક અને જેલસી બે અત્યંત વિરોધી શબ્દો છે, પણ બે વિરોધી શબ્દો મળીને એક નવો શબ્દ બને છે જેનો અર્થ એ બંને શબ્દો કરતાં અલગ છે. ભાષાની આ જ તો મજા છે. આપણી ભાષામાં આ પ્રકારનો જ એક શબ્દ છે, 'મીઠી ઈર્ષ્યા'. જેનો મતલબ પ્લેટોનિક જેલસીથી અલગ છે અને તમને ખબર જ હશે.
આવી જ રીતે આપણે ત્યાં જેમ 'આરંભે સૂરા' એવો શબ્દપ્રયોગ છે એવો જ શબ્દ ચીનમાં પણ બોલચાલમાં વપરાય છેે, 'થ્રી મિનિટ પેશન'. કોઈને તબલાં શીખવાની ઇચ્છા થાય ને પૈસા ખર્ચીને તાબડતોબ તબલાંની જોડ લઈ આવે. પછી બે-ચાર દિવસ પ્રેક્ટિસ કરે ને એ પછી તબલાં બિચારા ધૂળ ખાતાં હોય. આ પ્રકારનું પેશન એટલે કે સૂરાતન ધરાવતી વ્યક્તિ માટે થ્રી મિનિટ પેશન કે આરંભે સૂરા એવું કહેવાય છે.
'વાઇટલાઇન ફીવર'. ના, આ ટાઢિયા તાવનું અંગ્રેજી નથી. વાઇટલાઇન ફીવર એટલે કોકેઇનનું વ્યસન. કોકેઇન વાઇટ રંગની હોય છે. માઇકલ હેઝ વાઇટલાઇન ફીવર. માઇકલને કોકેઇન વગર નથી ચાલતું. આપણે ત્યાં દેશી શરાબ માટે કન્ટ્રી લિકર એવો શબ્દ બોલાય છે.
સ્વામી આનંદની જૂની મૂડી એટલે શબ્દોની મોંઘેરી મૂડી

ગુજરાતી ભાષા પાસે લખલૂટ શબ્દભંડોળ છે. કેટલાંક જૂના શબ્દોનું ચાતુર્ય અને ચોટડૂકપણું એવું છે કે એને ફરી ચલણમાં લાવવાની જરૂર છે. આપણી ભાષામાં નવા શબ્દો ન આવે તો કંઈ વાંધો નહીં, પણ કેટલાંક જૂના જીવંત શબ્દો વાત-વપરાશમાં આવવા જોઈએ.
ગાંધીજીને જેમણે આત્મકથા લખવા માટે પ્રેર્યા હતા અને નવજીવન પ્રેસ જેમના થકી ઊજળિયાત હતો એવા સ્વામી આનંદે આપણને કેટલાંક અદ્ભુત શબ્દોનો પરિચય કરાવ્યો છે. તમે સ્વામી આનંદનું પુસ્તક 'ધરતીની આરતી' વાંચશો એટલે તેમની લેખનશૈલી પર ઓવારી જશો. 'જૂની મૂડી' નામના પુસ્તકમાં તો તેમણે ગુજરાતીની કહેવતો, રૂઢિપ્રયોગો અને નોખાનોખા શબ્દોનો સંગ્રહ રજૂ કર્યો હતો. એમાંના કેટલાંક શબ્દો માણવા જેવા છે. 'અઘળપઘળ' એટલે અવ્યવસ્થિત. કેશવલાલનું કામ હંમેશાં અઘળપઘળ જ હોય છે. અવ્યવસ્થિત માટે બીજો શબ્દ 'છગરછુંદ' છે. સરલાનું ઘર જુઓ તો છગરછુંદ બધું પડયું હોય. ડાયરી કે વાસરિકા કે રોજનીશી માટેનો અન્ય શબ્દ છે, 'રોજનામચો'.
ગીચ અને ઘનઘોર માટે 'અડાઝૂડ' જેવો શબ્દ પણ છે. અડાઝૂડ વનની વચ્ચે વનવાસનાં વર્ષો વિતાવીને રામ, સીતા અને લક્ષ્મણ અયોધ્યા પાછાં ફર્યાં હતાં. કપલ એટલે કે વર-વહુ માટે 'અલોઅલી' નામનો શબ્દ પણ છે. કશુંક અધૂરું રહી ગયું હોય તો એના માટે 'અવપૂર્યા' એવો શબ્દ છે. કેટલાંક સપનાં અવપૂર્યાં રહેવા માટે જ સર્જાયાં હોય છે. અવનવું માટે 'અવલનવલ' એવો શબ્દ છે. ચિંતન માટે 'અંતર રમણા' જેવો મજાનો શબ્દ છે. દાર્શનિક લોકો હંમેશાં અંતર રમણામાં જ મગ્ન હોય છે. કોઈ પણ વ્યક્તિ માટે સૌથી વધુ કઠિન તેનો અહમ્ ઓગાળવો હોય છે. અહમ્ છૂટવો એના માટેનો શબ્દ છે, 'આપાત્યાગ'. વાલિયા લૂંટારાનો આપાત્યાગ થયો અને વાલ્મીકિ કહેવાયો. નદીના કાંઠાને 'આરોઓવારો' પણ કહે છે. પરણવાલાયક થઈ હોય એવી કન્યા માટે 'ઉપવર કન્યા' એવો શબ્દ પણ પ્રયોજાતો હતો. જે જમીન પર કશું ઊગી શકે એમ ન હોય એવી જમીનને 'કજાડી' કહેવાય છે. માંદગી ધીમે પગે આવે તો એના માટે 'કસરપસર' એવો શબ્દ છે. રમેશભાઈને બે દિવસથી નબળાઈ છે. તાવ કસરપસર હોય એવું લાગે છે. તકવાદી ત્યાગ કરનાર કે ત્યાગવૈરાગનો દંભ કરનારા માટે 'ગધેડિયો સંન્યાસ' એવો શબ્દ છે. અત્યંત ઉતાવળ કરનારા માટે 'ઘસડઘાઈ' એવો શબ્દ છે. માલતી સાથે બહાર નથી જવું, એ ભારે ઘસડઘાઈવાળી છે. સો વાતની એક વાત એ કે સ્વામી આનંદનો શબ્દસંગ્રહ જૂની મૂડી ખરેખર મોંઘેેરી મૂડી છે. વટ પાડવો હોય તો એમાંથી કેટલાંક અજાણતલ શબ્દો વીણીને વાત વાતમાં બે માણસ વચ્ચે કહેવા જેવા છે.
'કુલડીમાં રાંધ્યું ને કોડિયામાં ખાધું'. ચપટીક રાંધવું ને ચપટીક ખાવું એના માટે આ કહેવત છે. એ સમજાવતાં સ્વામી આનંદ કહે છે કે, "આજકાલના માણસોનાં ચકલાંચકલી જેવાં પોપલાં ખાનપાન, જેમાં એક પણ અતિથિ - આગંતુક ન સમાય."
આપણી ભાષામાં મજાની વાત જ એ છે કે બાર ગાઉએ બોલી બદલાય છે, તેથી શબ્દોની છપ્પનવખારી આપણા પ્રદેશમાં છે. ક્યાંક ખાંડને સાકર કહેવામાં આવે છે તો ક્યાંક મોરસ. કેટલાંક ગામડાંમાં તો કાવડિયાને એટલે કે રૂપિયાને બાજરો કહેવામાં આવે છે. મહિનો પૂરો થઈ ગ્યો ને બાજરો હાથમાં નથી આવ્યો.
ટૂંકમાં, તમેય આવા જૂના શબ્દોને શોધો, નવા શબ્દોને પોંખો અને એનો વાતચીતમાં ઉપયોગ કરશો તો રોલો પડી જશે. બાય ધ વે, રોલો એટલે વટ!
ભાષા અને બાયોડાઇર્વિસટી વચ્ચે શું સંબંધ છે?

બાયોડાઇર્વિસટી(જીવવૈવિધ્ય) જેટલા પ્રમાણમાં ઓછી થાય છે એટલા જ પ્રમાણમાં ભાષા ઓછી થાય છે. દરેક ભાષામાં બાયોડાઇર્વિસટીનું જ્ઞાાન હોય છે. હિમાલયની જેટલી બોલીઓ કે ભાષાઓ છે એ બધીમાં બરફ માટે આશરે ૧૬૦ શબ્દો છે. એસ્કિમો પાસે ૩૦ શબ્દો છે. બરફ ઉપરથી પડે અને કાદવવાળા પાણીમાં પડતો હોય તો એના માટે અલગ શબ્દ છે. બરફ પડતાં સમયે આકાશનો રંગ જો બ્લૂ હોય તો કિન્નોર ભાષામાં એનો અલગ શબ્દ છે. ઇકોલોજીનું વધુમાં વધુ જ્ઞાાન જો કોઈ પાસે હોય તો બોલીઓ પાસે છે, ન કે શાસ્ત્રજ્ઞાો પાસે. અને એ જ્ઞાાન જ્યારે ભૂંસાતું જાય છે ત્યારે ઇકોલોજીનો પણ વિનાશ થાય છે. જે પ્રમાણે વૃક્ષો અને બાયોડાઇર્વિસટી ઓછી થાય એ જ પ્રમાણે ભાષા ઓછી થાય છે. અથવા ભાષા ઓછી થાય એ જ પ્રમાણે બાયોલોજિકલ ડાઇર્વિસટી - વૈવિધ્ય જતું રહેશે એ પછી દુનિયામાં માત્ર એક ભાષા, એક પહેરવેશ, એક પ્રકારે જમવાની રીત હશે. તમે રણમાં રહો કે હિમાલયમાં રહો.

- ગણેશ દેવી (ભૂંસાતી જતી ભાષાઓનાં જતન અંગેના તેમના કામ માટે જેમને યુનેસ્કોનો પ્રતિષ્ઠિત લિંગ્વાપેક્ષ એવોર્ડ મળ્યો છે. તેમને પદ્મશ્રીથી સન્માનિત કરાયાં છે.)

Article Web link

http://www.sandesh.com/article.aspx?newsid=3084762

છપ્પનવખારી : વિદ્રોહ અને ગુમનામી


Sandesh - Ardh Saptahik Purti - 17 June 2015

છપ્પનવખારી : તેજસ વૈદ્ય

હાલમાં જ પશ્ચિમ બંગાળમાં કાઝી નઝરૂલ ઇસ્લામ એરપોર્ટનું ઉદ્ઘાટન થયું. જેના પ્રથમ મુસાફર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા હતા. એરપોર્ટને કાઝી નઝરૂલ ઇસ્લામ એવું નામ અપાયું છે. જે બંગાળના કવિસ્વાતંત્ર્યવીરસંગીતકાર હતા. તેઓ પાકિસ્તાન બનવું જોઈએ એવા આંદોલનના પ્રખર વિરોધી હતા. બંગાળમાં રવીન્દ્રનાથ ઠાકુર પછી કોઈનું નામ એટલા જ પ્રેમાદરપૂર્વક લેવાતું હોય તો એ કાઝી નઝરૂલ ઇસ્લામ છે. પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને નઝરૂલનાં કાવ્યો કંઠસ્થ છે. બાંગ્લાદેશે તો તેમને રાષ્ટ્રીય કવિ ઘોષિત કર્યા છે. ભારતે તેમને પદ્મભૂષણથી નવાજ્યા છે. નઝરૂલ જનતાના કવિ હતા. રવીન્દ્રનાથ ઠાકુરે તેમની નૃત્યનાટિકાનું પુસ્તક 'વસંતતેમને સર્મિપત કર્યું હતું. તેમના જીવનનાં છેલ્લાં પચીસેક વર્ષ ભયંકર હતાં. તેમને એવી બીમારી લાગુ પડી હતી જેને લીધે તેઓ સ્મરણશક્તિ અને અવાજ ગુમાવી બેઠા હતા. જે માણસ વિદ્રોહનો પર્યાય હતો એનાં છેલ્લાં વર્ષો ગુમનામ હતાં. કાઝી નઝરૂલ ઇસ્લામ વિશે જાણવાનો પ્રયાસ કરીએ


કેટલાંક પાત્રો એવાં હોય છે કે જેમને ઇતિહાસ દિલથી યાદ રાખે છે. તેમનાં નામ પાઠયપુસ્તકોમાં હોંશભેર લેવાય છે. રાષ્ટ્ર તેમનાં ગીતો ગાય છે. તે આમ જનતાના રુદિયે રાજ કરે છે. જોકે, ઇતિહાસમાં અંકિત આવાં વ્યક્તિત્વોને સમય એટલે કે ખુદ ઇતિહાસ ક્યારેક અન્યાય પણ જબરો કરે છે. વાત થોડી અટપટી છે. સરળ કરી દઈએ. બંગાળી ભાષામાં રવીન્દ્રનાથ ઠાકુર ઉપરાંત કાઝી નઝરૂલ ઇસ્લામ પણ ઊંચા ગજાના કવિ હતા. બંગાળમાં તો કાઝી નઝરૂલ ઇસ્લામના નામનાં એરપોર્ટ બંધાયાં છે. બાંગ્લાદેશના રાષ્ટ્રકવિ એવા નઝરૂલના નામની અનેક સ્કૂલો, કોલેજો અને જાહેર માર્ગો ત્યાં છે, પરંતુ આવુ દિગ્ગજ નામ બંગાળી સિવાય ખાસ કોઈ જાણતું નથી. 
            કલકત્તાના ચુરૂલિયામાં જન્મેલા કાઝી નઝરૂલ ઇસ્લામ કવિ, સ્વાતંત્ર્યવીર અને સંગીતકાર હતા. રવીન્દ્રનાથ ઠાકુરે જેમ રવીન્દ્ર સંગીત નામની સંગીતની આગવી શાખા વિકસાવી હતી એવી જ રીતે કાઝી નઝરૂલ ઇસ્લામે પણ પોતાનાં ગીતોની આગવી સંગીતશૈલી વિકસાવી હતી જે 'નઝરૂલ ગીતી' તરીકે જાણીતી છે. બંગાળનાં પ્રસિદ્ધ ગાયિકા જ્યુથિકા રોય નઝરૂલ ગીતી ખૂબ ગાતાં હતાં. સંગીતકાર સચીનદેવ બર્મને ગાયક તરીકે પહેલું જે ગીત રેકોર્ડ કર્યું એ કાઝી નઝરૂલ ઇસ્લામનું હતું. નઝરૂલ પોતે અદ્ભુત વાંસળીવાદક હતા. બંગાળી ભાષાના કેટલાક વિવેચકો તેમને રવીન્દ્રનાથ ઠાકુર પછીના બીજા મહાન કવિ ગણે છે. કેટલાંક તેમને કવિ કરતાંય મહાન સંગીતકાર ગણે છે.
બંગાળ તેમજ બાંગ્લાદેશના હૈયે તેમજ હોઠે રહેલા આ મહાન કવિના જીવનની વિટંબણા એ હતી કે તેમણે જીવનનાં પચીસેક વર્ષ ગુમનામીમાં વિતાવ્યાં હતાં. અલબત્ત, બંગાળ અને બાંગ્લાદેશ તો તેમના નામનાં ઓવારણાં લેતા હતા, પરંતુ એ વર્ષો તેમનાં એવાં હતાં કે તેમને પોતાને જ ખબર નહોતી કે પોતે કોણ છે? વિચારો કે જેને રાષ્ટ્રનાં મહાન ખિતાબો અને અકરામો એનાયત થતાં હોય, જેને રાષ્ટ્રકવિ ઘોષિત કરવામાં આવતા હોય અને એ માણસને પોતાને જ કશું ખબર ન પડતી હોય એવી દશામાં એ હોય તો એ વિધિની કેવી વિચિત્રતા કહેવાય? સમયે તેેને કરેલો એ કેવો અન્યાય કહેવાય? જીવનની કેટલીક ગતિ અકળ જ નહીં અકળાવનારી હોય છે.
કાઝી નઝરૂલ ઇસ્લામ એટલે કોણ? આવો સવાલ જો બંગાળમાં પૂછવામાં આવે તો દશમાંથી આઠ કે નવ લોકો તેમના વિશેની વિગતો જણાવી શકે. આ જ સવાલ જો બાંગ્લાદેશમાં પૂછવામાં આવે તો દશમાંથી દશ લોકો તેમનું સમગ્ર જીવન કહી સંભળાવે. મુદ્દાની વાત એ પણ છે કે બંગાળ અને બાંગ્લાદેશમાં જો આવો સવાલ પૂછવામાં આવે તો લોકો સવાલ પૂછનારની કિંમત કરી લે. હાંસી ઉડાવે.
ઉર્દૂ પછી સૌથી વધુ ગઝલો ગુજરાતમાં લખાય છે. ગુજરાતમાં કાવ્યોના સામયિકો પણ માતબર ચાલે છે. ગુજરાતમાં નવા યુવા કવિઓનો પણ મોટો ફાલ આવ્યો છે. જેમાંના કેટલાંક ખરેખર ગુણિયલ કાવ્યો લખે છે. છતાં ગુજરાતના કેટલા યુવા કવિઓને કાઝી નઝરૂલ ઇસ્લામ વિશે ખબર હશે એ સવાલ છે અને શોધનો વિષય પણ છે! રવીન્દ્રનાથ ઠાકુર વિશે લોકોને ખબર છે, પણ નઝરૂલ વિશે ગુજરાતના કવિઓને જો ન ખબર હોય તો એ વાંક ગુજરાતના સાક્ષરોનો છે.
કાઝી નઝરૂલ ઇસ્લામ ૮ વર્ષના હતા ત્યારે તેમના પિતા ગુજરી ગયા હતા. ઘરમાં ગરીબી હટાવી ન શકાય એવા દુશ્મનની જેમ ઘેરો ઘાલીને બેઠી હતી. ચુરૂલિયા ગામમાં જ આવેલી એકમાત્ર મક્તબ-મદ્રેસામાં તેમણે ફારસી અને અરબીની પ્રાથમિક તાલીમ મેળવી હતી. એ જ શાળામાં પછી તેમણે ભણાવ્યું પણ હતું. કટ્ટર મુસ્લિમ પરિવારમાંથી આવતા હોવા છતાં નઝરૂલે નાની ઉંમરે જ કુર્રાન ઉપરાંત બંગાળી ભાષામાં અનુદિત 'રામાયણ', 'મહાભારત' વગેરે ધર્મગ્રંથો વાંચી લીધા હતા. એ ઉપરાંત પણ અન્ય ધર્મોના ગ્રંથ તેમણે વાંચી લીધા હતા. બધું વાંચ્યા પછી તેમને એ સમજાતાં વાર ન લાગી કે સાંપ્રદાયિક સદ્ભાવના પાયાની બાબત છે. ધર્મથી ઉપર ઊઠીને માણસે માનવતાનો જય જયકાર કરવો રહ્યો. સૌથી મોટો ધર્મ માણસ એ માણસ થઈને રહે એ છે, નહીં કે એ કોઈ ધર્મનો અનુયાયી. વાંચો નઝરૂલનું આ કાવ્ય
એ કોણ લોકો છે જેઓ માણસ સાથે ઘૃણા કરીને
કુર્રાન, વેદ, બાઇબલને ચૂમે છે!
તેમની પાસેથી ગ્રંથો છીનવી લો.
મનુષ્યને મારીને ગ્રંથ પૂજે છે, ઢોંગીઓનાં ટોળાં.
સાંભળો હે મૂર્ખાઓ!
મનુષ્ય જ ગ્રંથ લાવ્યા છે
ગ્રંથ નથી લાવ્યા કોઈ મનુષ્યને.

લશ્કરી છાવણીમાં રૂમી અને ઉમર ખય્યામ!

એ વખતે અંગ્રેજોનું રાજ હતું તેથી રાષ્ટ્રીય એકતા કેટલી જરૂરી છે એની સ્પષ્ટતા તેમના મનમાં હતી. ગામમાં શિક્ષણપ્રાપ્તિની અન્ય કોઈ વ્યવસ્થા નહોતી, તેથી તે 'લીટો દળ' નામની નાટયમંડળી સાથે જોડાયા હતા. એ મંડળી વિભિન્ન સામાજિક અને રાજકીય સમસ્યાઓ પર વ્યંગ નાટકો ભજવતી હતી. તેમણે નાનપણમાં બેકરીમાં પાંઉ શેકવાની નોકરી પણ કરી હતી. લીટો દળ સાથે જોડાયા બાદ તેમનામાં વિદ્રોહનાં બીજને હવા, પાણી અને ખાતર મળ્યાં. એક દિવસ તેઓ એ નાટયમંડળીના પ્રમુખ પણ બન્યા. ચંચળ જીવના નઝરૂલ ત્યાં ઝાઝું ન ટક્યા અને રાનીગંજ - બર્દવાન જઈને સ્કૂલમાં આઠમા ધોરણમાં ભર્તી થઈ ગયા. હોસ્ટેલમાં રહેવા લાગ્યા. ૧૯૧૭માં સ્કૂલનાં અંતિમ વર્ષોમાં ફીનાં ફાંફાં પડયાં એટલે ભણવાનું પડતું મૂકી દીધું. એ વખતે તેમની ઉંમર ૧૮ વર્ષ હતી. પછી તેઓ બ્રિટિશ આર્મીમાં જોડાયા. એ વખતે પ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું હતું. સિપાહી તરીકે ૪૯મી બંગાળ રેજિમેન્ટના સભ્ય તરીકે તેમને નૌશેરા મોકલવામાં આવ્યા અને ત્યાંથી કરાંચીની છાવણીમાં મોકલવામાં આવ્યા. તેઓ છાવણીમાં ક્વોર્ટર માસ્ટર હતા. જેનું કામ સિપાઈઓને મદદરૂપ થવાનું અને સગવડ સાચવવાનું હતું. લશ્કરી છાવણીના આ દિવસો દરમ્યાન નઝરૂલે એક પંજાબી મૌલવી પાસેથી ફારસી ભાષાનું વધુ જ્ઞાાન મેળવ્યું અને મહાકવિ રૂમી, હાફિઝ, ઉમર ખય્યામની રચનાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. લશ્કરી છાવણીમાં કોઈ સિપાઈ સાહિત્યનો અભ્યાસ કરે એ વાત જ કેટલી ઇન્ટરેસ્ટિંગ છે નહીં!
૧૯૨૦માં નઝરૂલ રેજિમેન્ટમાંથી નીકળીને કલકત્તા આવી ગયા. ત્યાં બંગાળી મુસ્લિમ લિટરરી સોસાયટી સાથે જોડાયા. એ પછી પોતાનો પહેલો કાવ્યસંગ્રહ 'બોધન' રજૂ કર્યો. એ પછી તો કવિ તરીકે નામના મેળવવા લાગ્યા. નઝરૂલ રવીન્દ્રનાથ ઠાકુરને પોતાના ગુરુ માનતા હતા. ૧૯૨૨માં તેમનું વિદ્રોહી નામનું કાવ્ય બિજલી નામના સામયિકમાં છપાયું અને દેશભરમાં તેમનું નામ જાણીતું થઈ ગયું. એ પછી 'વિદ્રોહી કવિ' તરીકે તેમનું નામ જાણીતું થઈ ગયું અને અંગ્રેજોની તેમના પર વિશેષ નજર પણ રહેવા માંડી. ઓગસ્ટ ૧૯૨૨માં તેમણે 'ધૂમકેતુ' નામનું સામયિક શરૂ કર્યું. સપ્ટેમ્બરમાં ત્યાં દરોડો પડયો અને નઝરૂલની ધરપકડ કરવામા આવી.
૧૪ એપ્રિલ, ૧૯૨૩ના રોજ તેમને અલિપોરની જેલમાંથી હુગલીની જેલમાં લઈ જવાયા. જ્યાં તેમણે અંગ્રેજો સામે ૪૦ દિવસના ઉપવાસ આદર્યા. એક મહિના કરતાં લાંબા તેમના ઉપવાસ ચાલ્યા અને પછી ડિસેમ્બર મહિનામાં તેમને જેલમાંથી છોડી મુકાયા. જેલવાસ દરમ્યાન તેમણે ઘણાં કાવ્યો લખ્યાં અને સંગીતબદ્ધ કર્યાં. એ દાયકામાં તેમની ઘણી રચનાઓ પર અંગ્રેજોએ પ્રતિબંધ મૂક્યો હતો. ધર્મ અને રાજનીતિના નામે લોકોને જે રીતે ઉશ્કેરવામાં આવતા હતા એનો નઝરૂલે પોતાનાં કાવ્યોમાં પર્દાફાશ કર્યો હતો. લોકો ધર્મ નહીં પણ માનવતાના ધોરણે એક થઈને બ્રિટિશરો સામે લડત માંડે એ માટે તેઓ સતત કાર્યરત હતા. ધર્મ અને જાતિના ધોરણે પાકિસ્તાન નામનો અલગ દેશ બનવો જોઈએ એના તેઓ સખત વિરોધી હતા.
પુત્રનું નામ કૃષ્ણમોહમ્મદ

તેમણે પ્રમિલાદેવી નામની હિન્દુ મહિલા સાથે પ્રેમવિવાહ કર્યા હતા. પ્રમિલાદેવી બ્રહ્મસમાજ સાથે જોડાયેલાં હતાં. નઝરૂલનાં લગ્નનો કેટલાંક રૂઢિચુસ્ત મુસ્લિમોએ વિરોધ કર્યો હતો. નઝરૂલને તેની પરવાહ જ નહોતી, કારણ કે તેઓ ધર્મના દંભ અને રૂઢિચુસ્તતાના જૂના બંડખોર હતા. નઝરૂલને ચાર સંતાન થયાં હતાં. જેનાં નામ જાણવા જેવાં છે. એક પુત્રનું નામ કૃષ્ણ મોહમ્મદ હતું. બીજાનું નામ અરિન્દમ, ત્રીજાનું નામ સવ્યસાચી અને ચોથો અનિરુદ્ધ.
ગાંધીજીના અસહકાર આંદોલનથી પ્રભાવિત થઈને નઝરૂલે કાવ્ય લખ્યું હતું. જેનો એક અંશ જુઓ, "પરાધીન માતાના આંગણામાં આ કૌન પાગલ પથિક દોડી રહ્યો છે. એની પાછળ એનાં ત્રીસ કરોડ ભાઈ-બહેનો મોતને હાકલ નાખતાં નાખતાં ગીત ગાતાં જઈ રહ્યાં છે." ગાંધીજી સાથે તેઓ કેટલીક બાબતે અસહમત પણ હતા. એ અસહમતી આદરપૂર્વકની હતી.
ગુમનામ વર્ષો

બિનસાંપ્રદાયિકતાને પોંખનારા અને પોષનારા જે નીવડેલા કવિઓ દેશમાં થયા છે એની પ્રથમ પંક્તિમાં કાઝી નઝરૂલ ઇસ્લામ બિરાજે છે. તેમનાં કાવ્યોમાં ફાસિઝમ અને દમન સામે વિદ્રોહ હતો. દરેક ધર્મના દંભ સામે તેમનાં કાવ્યો પરબારો પડકાર હતા. નઝરૂલે વાર્તા, નવલકથા, નિબંધો વગેરે પણ લખ્યાં હતાં, પરંતુ તે ઓળખાયા કાવ્યોથી. તેમણે ચાર હજાર કાવ્યો બંગાળીમાં લખ્યાં. એમાંથી ઘણાં ખરાં કાવ્યોને સ્વરબદ્ધ પણ તેમણે જ કર્યાં હતાં.
૧૯૪૨માં તેમની ઉંમર ૪૩ વર્ષની હતી. એ વખતે નહોતું પાકિસ્તાન રચાયું કે નહોતું પૂર્વ પાકિસ્તાન એટલે કે આજનું બાંગ્લાદેશ. ૪૩ વર્ષની ઉંમરે તેમને કોઈ અજીબ બીમારી લાગુ પડી હતી. એ બીમારીને લીધે તેમણે પોતાનો અવાજ અને મેમરી એટલે કે સ્મરણશક્તિ ગુમાવી હતી. ૧૯૫૫ પછી તો તેઓ સાવ જીવતુંજાગતું પૂતળું બની ગયા હતા. ૧૯૬૨માં તેમના પત્નીનું અવસાન થયા પછી તો લગભગ આઇસીયુમાં જ રહ્યા. ૧૯૭૬માં તેમનો દેહાંત થયો હતો. જીવનનાં પચીસેક વર્ષ તેમણે સાવ ગુમનામીમાં વિતાવ્યાં. એ વર્ષોમાં તેમને પોતાના અસ્તિત્વનીય ખબર નહોતી. ૧૯૭૧ના ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પાકિસ્તાનથી અલગ થઈને સ્વતંત્ર દેશ બન્યો. ત્યાર પછી નઝરૂલને બાંગ્લાદેશના રાષ્ટ્રીય કવિ ઘોષિત કરવામાં આવ્યા હતા. વિટંબણા જુઓ કે જેને પોતે શું છે એની ખબર નથી તેને રાષ્ટ્રીય કવિ જેવી શ્રેષ્ઠ ઉપાધિ આપવામાં આવી ત્યારે એના માન-અકરામની પણ ક્યાંથી ખબર હોય!
બંગાળના સાહિત્યની વાત થાય છે ત્યારે રવીન્દ્રનાથ ઠાકુર, તારાશંકર બંદોપાધ્યાય, સુનીલ ગંગોપાધ્યાય વગેરેનો જ વધુ ઉલ્લેખ થાય છે. કાઝીનો ઉલ્લેખ લોકો ચૂકી જાય છે અથવા જાણી જોઈને ચાતરી જાય છે. કાઝી બાંગ્લાદેશના રાષ્ટ્રીય કવિ હતા,પરંતુ સવાયા ભારતીય કવિ હતા.
દરેક ઉત્કૃષ્ટ કવિનાં નસીબ રવીન્દ્રનાથ ઠાકુર જેવાં નથી હોતાં કે દેશ સમગ્ર તેમની રચનાઓનો મુરિદ હોય અથવા તો સમગ્ર દેશના લોકો તેમનાં નામ અને કેટલીક રચનાથી વાકેફ હોય. કોઈ કવિ કે લેખક એવી પૂર્વધારણા કે ગણતરી સાથે લખતોય નથી હોતો કે તેની રચના તેની ભાષા પૂરતી મર્યાદિત ન રહેતાં જગત સમગ્રમાં પ્રસરે. એ તો સહજ રીતે પોતાનું કર્મ અદા કરતો હોય છે. આ વાતની સાખ પૂરીને એ લખવાનું કે એ જવાબદારી લોકોની છે. લોકોએ પોતાની ભાષાના ઉત્કૃષ્ટ સાહિત્ય સુધી પહોંચવું રહ્યું. પોતાની ભાષા સિવાયની અન્ય ભાષાના ઉમદા સાહિત્ય સુધી પહોંચવું રહ્યું. એ લોકોની જવાબદારીની વાત છે.
રવીન્દ્રનાથ ઠાકુર અને નઝરૂલ : એક દાખલારૂપ દોસ્તી


કાઝી નઝરૂલ ઇસ્લામનું કવિતાના ક્ષેત્રમાં ત્યારે આગમન થયું હતું જ્યારે સાહિત્યમાં રવીન્દ્રનાથ ઠાકુરનો ડંકો વાગી ચૂક્યો હતો. બંગાળના ઘણા કવિની રચનાઓ પર ઠાકુરનો પ્રભાવ દેખાતો હતો. કાઝી પણ ઠાકુરને પોતાના ગુરુ માનતા હતા. કાવ્યરચનામાં કાઝીએ પોતાની મૌલિક મુદ્રા વિકસાવી હતી. બંગાળીઓએ તેમને દિલથી બિરદાવ્યા હતા.
ઠાકુર અને કાઝીની કવિતાઓનો ટોન અલગ અલગ છે. મજાની વાત એ છે કે બંને સાહિત્ય ઉપરાંત સંગીતના પરખંદા હતા. બંનેએ પોતાની આગવી સંગીતશૈલી આપી હતી. રવીન્દ્ર સંગીત અને નઝરૂલ સંગીત. બંનેમાં સામ્ય એ પણ હતું કે બંનેનાં કાવ્યોમાં જે પુણ્યપ્રકોપ હતો એ માણસ માણસના પરસ્પર પ્રેમ માટે પ્રયાસબદ્ધ હતો. નઝરૂલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમના દોસ્તે રવીન્દ્રનાથ ઠાકુરની કોઈ રચનાની ટીકા કરી તો નઝરૂલે તેને ઈંટ મારીને ઘાયલ કર્યો હતો. પોલીસ કેસ થયો હતો અને નઝરૂલે કેટલાક કલાકો જેલમાં વિતાવવા પડયા હતા.
રવીન્દ્રનાથ ઠાકુરના નોબેલ પારિતોષિક કાવ્યસંગ્રહ 'ગીતાંજલિ'નાં અનેક કાવ્યો નઝરૂલને મોઢે હતા. તેઓ જ્યારે દોસ્ત મોહમ્મદ શહિદુલ્લાહ સાથે શાંતિનિકેતનમાં રવીન્દ્રનાથ ઠાકુરને મળવા ગયા ત્યારે ત્યાં પહોંચતા સુધીમાં ગીતાંજલિના કેટલાંય કાવ્યો શહિદુલ્લાહને સંભળાવ્યાં હતાં. ઠાકુર અને નઝરૂલનો ભેટો થયો ત્યારે શહિદુલ્લાહે કહ્યું કે ગીતાંજલિના ઘણાં કાવ્યો કાઝીને કંઠસ્થ છે. એ સાંભળીને રવીન્દ્રનાથે કહ્યું કે, "વાહ, તમારી મેમરીને દાદ દેવી પડે. મને પણ ગીતાંજલિનાં મારાં કાવ્યો કંઠસ્થ નથી." નઝરૂલે કહ્યું કે, "ગુરુદેવ, મારી એવી લાંબા સમયથી ઇચ્છા છે કે તમારું એકાદ કાવ્ય તમારા અવાજમાં સાંભળું." ગુરુદેવે કહ્યું કે, "મારી પણ એવી ઇચ્છા છે કે તમારાં કાવ્ય તમારા અવાજમાં સાંભળું." સહેજ પણ આગ્રહ કે ઔપચારિકતા વગર નઝરૂલે પોતાનું કાવ્ય લલકારવા માંડયું.
 રવીન્દ્રનાથ ઠાકુરહું તમારું ખૂન કરવા આવ્યો છું
૬ જાન્યુઆરી, ૧૯૨૨ના રોજ બંગાળી વીકલી 'બિજલી'માં કાઝીની પ્રખ્યાત રચના 'વિદ્રોહી' છપાઈ હતી. એના બીજા જ દિવસે એ મેગેઝિનના ચાર અંક લઈને નઝરૂલ રવીન્દ્રનાથ ઠાકુર પાસે મારતે ઘોડે પહોંચ્યા. દાદરો ચઢતાં ચઢતાં કાઝીએ ઉત્સાહભેર કહ્યું કે "ગુરુદેવ... ગુરુદેવ." ઠાકુરે તેમને જોઈને હસતાં હસતાં કહ્યું કે, "કાઝી શું થયું છે? કેમ આટલું જોશભેર બોલો છો?" કાઝીએ કહ્યું કે, "ગુરુજી હું તમારું ખૂન કરવા આવ્યો છું." ગુરુદેવે કહ્યું કે, "મારામાં વળી ખૂન કરવા જેવું શું છે?" તમે ઉપર આવો, બેસો અને માંડીને વાત કરો." કાઝી અને ગુરુદેવ બેઠા અને કાઝીએ પોતાની કવિતા વિદ્રોહીનું પઠન શરૂ કર્યું. કવિતાના વિવિધ આરોહ-અવરોહ સાથે કાઝીની ભાવભંગિમા પણ એને અનુરૂપ થઈ જાય. જાણે નાટકનો કલાકાર કાવ્યમંચન કરતો હોય એ રીતે તેમણે કવિતા વાંચી. કવિતા પૂરી થઈ એટલે રવીન્દ્રનાથ ઠાકુર ઊભા થયા. તેમને ગળે વળગાળ્યા અને કહ્યું કે, "નઝરૂલ, તમે ખરેખર મારું ખૂન કરી નાખ્યું."
૧૯૨૨ના ઓગસ્ટમાં નઝરૂલે 'ધૂમકેતુ' સામયિક શરૂ કર્યું ત્યારે ઠાકુરને જણાવ્યું કે તમેે આશીર્વાદરૂપે કંઈક લખી આપો. એ વખતે ઠાકુરે ધૂમકેતુ નામના તારાને કેન્દ્રમાં રાખીને એક કાવ્ય લખી આપ્યું હતું જે એ સામયિકના દરેક અંકમાં મુદ્રાલેખની જેમ છપાતું હતું. એ સામયિક માટે તેમની ધરપકડ થઈ ત્યારે ૧૯૨૩માં કાઝીએ હુગલીની જેલમાં પોતાની ભૂખ હડતાળ શરૂ કરી હતી. એ વખતે રવીન્દ્રનાથ શિલોંગમાં હતા. તેમને જાણ થઈ ત્યારે ખૂબ ચિંતા થઈ અને નઝરૂલને ટેલિગ્રામ કર્યો કે, "ગીવ અપ યોર હંગર સ્ટ્રાઇક, અવર લિટરેચર ક્લેઇમ્સ યુ - તમે ભૂખ હડતાળ છોડી દો. આપણું સાહિત્ય એવી માંગ કરે છે."
આ એક વાક્ય બે કવિઓની મહાનતા દર્શાવે છે. રવીન્દ્રનાથ ઠાકુર પોતે વ્યક્તિગત રીતે પણ એવો આગ્રહ કરી શકતા હતા કે તમે અનશન સમેટી દો. ઠાકુરનો નઝરૂલ પર એટલો હક અને પ્રેમ બનતો જ હતો, પણ ઠાકુર કહે છે કે આપણું સાહિત્ય એવું તમારી પાસે માગે છે કે તમે ભૂખ હડતાળ સમેટી લો. ઠાકુર સમગ્ર બંગાળી સાહિત્યને બાથમાં લઈને એનો હવાલો આપીને આજીજી કરે છે. અફસોસ કે એ ટેલિગ્રામ કાઝીને ન મળ્યો. કાઝી હુગલી જેલમાં હતા અને રવીન્દ્રનાથે પ્રેસિડેન્સી જેલના સરનામે એ ટેલિગ્રામ મોકલ્યો હતો. તેમને પ્રેસિડેન્સીમાંથી હુગલી જેલમાં તબદિલ કર્યા છે એ ઠાકુરને ખબર નહોતી.
રવીન્દ્રનાથ ઠાકુરે પછી પોતાના પુત્રને લખેલા એક પત્રમાં જણાવ્યું હતું કે, "કાઝી એ જેલમાં નથી એવો એક મેમો મને અંગ્રેજ સરકારે મોકલ્યો હતો. કાઝી એ જેલમાં નથી એ મને ખબર નહોતી પણ અંગ્રેજોને તો ખબર હતી જને! પરંતુ તેઓ કાઝીને આત્મહત્યા કરતાં અટકાવવા માગતા ન હતા." જોકે, મહિનાની ભૂખ હડતાળ પછી કાઝીને છોડી મૂકવામાં આવ્યા હતા. કાઝીને જેલ થઈ ત્યારે રવીન્દ્રનાથે તેમના પર પ્રેમ વરસાવતાં પોતાની નૃત્યનાટિકા 'વસંત'નું પુસ્તક તેમને સર્મિપત કર્યું હતું. રવીન્દ્રનાથ ઠાકુરે પરિવાર સિવાયની અન્ય કોઈ વ્યક્તિને પુસ્તક સર્મિપત કર્યું હોય એવી એ પહેલી ઘટના હતી. એ પુસ્તકના અર્પણવાક્યરૂપે ઠાકુરે લખ્યું, 'પ્રિય કવિ નઝરૂલ ઇસ્લામને...'
નઝરૂલને કવિ તરીકે ઉલ્લેખવાનું રવીન્દ્રનાથ ઠાકુરનું ચોક્કસ પ્રયોજન હતું. કેટલાંક હિન્દુ કવિ તેમજ સાહિત્યકાર નઝરૂલને કવિ ગણતા નહોતા, તેથી એ લોકોને ઠંડો સણસણતો જવાબ આપવા ઠાકુરે એમ લખ્યું હતું. પુસ્તક અર્પણ કર્યું એ વખતે કાઝી અલીપુર સેન્ટ્રલ જેલમાં હતા. રવીન્દ્રનાથ ઠાકુરે તેમના મિત્ર પવિત્ર ગંગોપાધ્યાયને 'વસંત' પુસ્તક આપીને કાઝીને પહોંચાડવાનું કહ્યું હતું. સાથે સાથે કહ્યું હતું કે, "નઝરૂલે દેશના જીવનમાં વસંત રેલાવી છે, તેથી આ પુસ્તક હું તેને સર્મિપત કરું છું. મારા આશીર્વાદ સદાય તેની સાથે છે અને કહેજે કે કવિતા લખવાનું ક્યારેય બંધ ન કરે. લડવા માટે અનેક સૈનિકો મળી રહેશે, પણ સૈનિકોને પાનો ચઢાવવા માટે કવિ તો જોઈશેને!"
૧૯૭૨માં રવીન્દ્રનાથ ઠાકુરનું ગીત આમાર સોનાર બાંગ્લા બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત ઘોષિત થયું અને એ પછી કાઝી નઝરૂલ ઇસ્લામનું ગીત ચલ ચલ ચલ બાંગ્લાદેશના યુદ્ધગીત તરીકે ઘોષિત થયું હતું.
કાઝી અને ઠાકુરની દોસ્તી સાહિત્યની અદ્ભુત મિસાલ હતી. જ્યારે પણ સાહિત્યમાં વાડાપંથી કે કોમી આડખીલીઓ ઊભી થશે ત્યારે એ દોસ્તી દીવાદાંડીની જેમ ઉપદ્રવીઓની આંખો ઉઘાડવા માટે બત્તી ધરશે.
Web link
http://www.sandesh.com/article.aspx?newsid=3087529

છપ્પનવખારી : ગુજરાતી ફૂડ એટલે સ્વાદનો શંભુમેળો


Sandesh - Ardh Saptahik Purti - 1 July 2015

છપ્પનવખારી : તેજસ વૈદ્ય

"ખાના બનાના દુનિયા કી બહેતરીન કલાઓ મેં સે એક હૈ" ફિલ્મ 'ચીની કમ'માં અમિતાભ બચ્ચન આ સંવાદ બોલે છે. ગુજરાતમાં વરસાદ પડી ગયો છે. બજારમાં નવા શાકભાજીની પધરામણી થઇ ચૂકી છે. ગુજરાતીઓ ચટાકાપ્રિય પ્રજા છે. ગુજરાત પાસે નાસ્તા અને ભોજનની વેરાયટીઓની વિશાળ શ્રેણી છે. સમય સાથે ગુજરાતી ફૂડ કેટલું સમૃદ્ધ થયું છે અને કેવાં ફેરફાર આવ્યા છેએની કેટલીક ઐતિહાસિક અને ચટાકેદાર વાતો જાણીએ


"ખાના બનાના દુનિયા કી બહેતરીન કલાઓં મેં સે એક હૈ." ફિલ્મ 'ચીની કમ'માં આ ડાયલોગ અમિતાભ બચ્ચન બોલે છે. ખાવાનું બનાવવું અને એ સ્વાદિષ્ટ બનાવવું એ દુનિયાની બહેતરીન અને બારીક કલા છે. ખાવાનું બનાવવું એ કલા નથી, સ્વાદિષ્ટ બનાવવું એ કલા છે. એનો ક્વોલિટી કંટ્રોલ રોજેરોજ જળવાઈ રહે એ મહાન કલા છે. રોજ દાળ-શાક એકસરખા સ્વાદનાં જ બને. વઘાર થાય તો સુગંધ પરથી જ ખબર પડી જાય કે પડોશનાં માલતીમાસીએ દાળ વઘારી છે. રોજેરોજ એની સુગંધ અને સ્વાદની તીવ્રતા એકસરખી હોય એ કલાકારી છે, તેથી જ દેશની તમામ ગૃહિણી મહાન કલાકાર છે જે રોજ સ્વાદિષ્ટ ભોજન બનાવે છે.
છાલવાળું બટાકાનું શાક અને પંગતમાં રંધાતા ચોખા

આપણાં ઘરોમાં બટાકાનું જે શાક બને છે એ છાલ કાઢયા પછી બને છે. કેટલાંક સામૂહિક જમણવારોમાં શાકમાં જે બટાકા પડે છે એમાં છાલ છોલવામાં આવતી નથી. શાક બટાકાનું જ હોય અને એ છાલવાળું અને છાલ વગરનું હોય તોપણ એના સ્વાદમાં ફરક પડે છે. કેટલાંક લોકોને છાલવાળું શાક વધુ ભાવે છે. ગુજરાતમાં ડિસાની આસપાસ થતાં બટાકાની અન્ય એક આગવી વિશેષતા પણ છે. મોટી મોટી મલ્ટિનેશનલ કંપનીઓ જે વેફર્સના બિઝનેસમાં છે એ વેફર માટે ડિસાના બટાકા જ પસંદ કરે છે. વેફર માટેના યોગ્ય બટાકા ડિસા સિવાય જગતમાં ક્યાંય થતાં જ નથી. રોચક વાત એ છે કે બટાકા મૂળે ભારતની ચીજ છે જ નહીં. બટાકા દક્ષિણ અમેરિકામાં શોધાયા હતા. ભારતમાં બટાકા પોર્ટુગીઝો લાવ્યા હતા. મજાની વાત એ છે કે દેશની અંદર સૌ પ્રથમ બટાકાનું વાવેતર સુરતમાં થયું હતું. બટાકા મૂળે વિદેશી હોવા છતાંય ભારતના તમામ પ્રદેશની થાળીમાં એવા ભળી ગયા છે કે જાણે એ મૂળભૂત રીતે ભારતમાં જ ઉત્પાદન પામ્યા હોય.
ઉપર આપણે છાલવાળા અને છાલ વિનાના બટાકાની સબ્જીનો ઉલ્લેખ સામૂહિક જમણવારના સંદર્ભમાં કર્યો. સામૂહિક જમણવારમાં જે ભાત બને છે એની પણ લિજ્જત અલગ હોય છે. મોટા દેગડા કે તપેલામાં સૂંડલામોઢ ચોખા બાફવામાં આવે છે. બફાઈ ગયા પછી કાથીના ખાટલા પર સફેદ કપડું નાખીને એ ભાતને પાથરી દેવામાં આવે છે. ભાતનો દાણેદાણો છુટ્ટો પડી જાય છે. ખાટલા પર એટલા માટે પાથરવામાં આવે છે કે એનું પાણી નીતરી જાય. જ્ઞાાતિઓના પંગત ભોજનમાં આવાં દૃશ્યો જોવા મળતાં હતાં. હવે એવાં દૃશ્યો ઓછાં જોવા મળે છે. જ્યારથી કેટરિંગ સિસ્ટમનો વ્યાપ વધ્યો છે ત્યારથી આવું ઓછું જોવા મળે છે. કેટરિંગવાળા ઘણી વસ્તુઓ જમણવારમાં તૈયાર બનાવીને જ લાવતા હોય છે.
ગુજરાતી લોગ તો દાલ ભી મીઠી ખાતે હૈં!

 ગુજરાતીઓનાં દાળ અને શાકમાં પણ મીઠાશ હોય છે એવી મીઠી ફરિયાદ નોન ગુજરાતીઓને રહે છે. અન્ય પ્રાંતના દાળ-શાકમાં ગોળ નથી પડતો, જ્યારે કે આપણાં દાળ-શાકમાં ગોળ પડે છે, તેથી નોન ગુજરાતી વ્યક્તિને એ ગળ્યાં લાગે છે. જોકે,આપણાં દાળ-શાક ગળ્યાં હોય છે એ અર્ધસત્ય છે. સત્ય એ છે કે આપણાં દાળ-શાકમાં ખટાશ-મીઠાશનું સ્વાદિષ્ટ કોમ્બિનેશન હોય છે. ખટાશ અને મીઠાશ આ બંને સ્વાદ એવા છે કે જે એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરે છે. એકબીજા સાથે જુગલબંદી કરે છે, તેથી આપણી દાળમાં કોકમ કે આંબલી સાથે ગોળ પડે છે જે ખટમધુરતા સર્જે છે, એ દાળને વિશેષ બનાવે છે. કેટલાંક શાકમાં આપણે ત્યાં ગોળ પણ એ જ કારણસર પડે છે. જો એમાં ગોળને બદલે ખાંડ નાખવામાં આવે તો વાત બનતી નથી. એના માટેનો એક તર્ક એવો છે કે ગોળ એટલે ગ્લુકોઝ. ગરમીના મારણ તરીકે ગુજરાતીઓ એનો શક્ય ઉપયોગ કરવામાં માને છે. અગાઉ ગુજરાતમાં ઉનાળાના દિવસોમાં ધોમધખતા તાપમાં ગોળનું પાણી પીવાતું. લગભગ શરબતની જેમ પીવાતું હતું.
સ્વાદમાં ખટાશ અને મીઠાશના સંતુલનવાળી સ્વાદિષ્ટ આઇટમ કોઈ હોય તો એ કઢી છે. અન્ય પ્રાંતોમાં કઢી બને છે, પણ એ થોડી ઘટ્ટ હોય છે અને એક જ પ્રકારનો સ્વાદ હોય છે. ગુજરાતી કઢી પ્રવાહી હોય છે અને એની ખટમધુરતા બેમિસાલ હોય છે.
ગુજરાતમાં ગૃહિણીઓ જે તુવેર દાળ રાંધે છે એની બનાવટની વિશેષતા એ છે કે તે ત્રણ-ચાર સ્વાદમાં બને છે. એ તમામ વેરાઇટીસભર સ્વાદમાં હોય છે. ગુજરાતમાં કેટલીક હોટેલ કે રેસ્ટોરાં ત્યાં બનતી સ્વાદિષ્ટ દાળ માટે પ્રખ્યાત થઈ છે. ગુજરાતી રોટી જેવી મુલાયમ રોટી ભારતમાં અન્ય કોઈ પ્રાંતની નથી એવું થાળી વગાડીને કહી શકાય છે. રૂમાલી રોટી હોય કે પંજાબી નાન હોય કે પછી કુલચા હોય, એ તવા પરથી ગરમાગરમ ઉતાર્યા પછી અડધા કલાક પછી ઠંડી પડી જાય છે ત્યારે એ નરમ નથી રહેતી. ગુજરાતી રોટલીને બે કલાક પછી ખાશો તોપણ એ નરમ હોય છે. આપણે ત્યાં તો થેપલાંમાં પણ મેથીનાં થેપલાં, તલ છાંટેલાં થેપલાં, તીખા થેપલાં, ગળ્યાં થેપલાં, લસણિયાં થેપલાં વગેરે ફ્લેવરમાં બને છે. ઉપરાંત ભાખરી બને છે. પૂરી પણ ભોજનથી માંડીને નાસ્તાની પૂરી એમ એટલી વેરાઇટીસભર પૂરીઓ બને છે, જે આપણા સ્વાદની રેન્જ દર્શાવે છે. ભોજનમાં અન્ય પ્રાંતોમાં મોટેભાગે એક જ પ્રકારની રોટી બનતી હોય છે. આપણે ત્યાં રોટલી, રોટલો, થેપલાં, ભાખરી, પૂરી કેટકેટલા વિકલ્પ છે!
પાતરા, દાળઢોકળી, ખીચું, લોચો, સેવખમણી, ઉંબાડીયું, મઠીયા, ખાખરા, જેવી કેટકેટલી ચીજો ગુજરાતીઓએ સર્જી છે એ તો ઇશ્વર જ જાણે. ઊંધીયું અને રીંગણનું ભડથું તો રજવાડી દબદબો ભોગવે છે. 
જાણીતા અંગ્રેજી પત્રકાર અને નિરા રાડિયા કેસમાં ચર્ચાસ્પદ બનેલા વીર સંઘવી ગુજરાતી છે. તેઓ ફૂડની એક કોલમ અંગ્રેજી અખબારમાં લખે છે અને ફૂડ સ્પેશ્યાલિટી પર ટીવી શો કરી ચૂક્યા છે. તેમણે એક ઠેકાણે લખ્યું હતું કે, "ચાટ એ ભલે ઉત્તર ભારતમાંથી આવ્યા હોય પણ ભેળપૂરી એ મુંબઈના ગુજરાતીઓની શોધ છે. એમાં ગળપણ માટે ખજૂરની ચટણી હોય છે. કાચી કેરીના ટુકડા ખટાશ આપે છે. લાલ ચટણી એમાં તીખો ટેસ્ટ બનાવે છે. સેવ એને ક્રન્ચી બનાવે છે. બાફેલા બટાકા એને સોફ્ટ બનાવે છે. ડુંગળી એને પોતાનો આગવો ટચ આપે છે. ભેળ ન તો સૂકી હોય છે કે ન તો ભીની હોય છે. એ બંનેની વચ્ચે હોય છે. ભેળનું આ જે સ્વાદના ષટ્કોણ જેવું સ્વરૂપ છે એ મુંબઈના ગુજરાતીઓની સ્વાદપ્રીતિને લીધે વિકસ્યું છે."

ફૂડનો ત્રિવેણી સંગમ : કચ્છ, કાઠિયાવાડ અને ઉત્તર-દક્ષિણ ગુજરાત

 કચ્છ, કાઠિયાવાડ અને ઉત્તર-દક્ષિણ પ્રદેશ એમ મળીને ગુજરાત બને છે. ગુજરાતનાં આ ત્રણેય ક્ષેત્રોની ભૌગોલિક સ્થિતિ અલગ છે. કચ્છ રણકાંઠાનો પ્રદેશ છે. કાઠિયાવાડ દરિયાકાંઠાનો ખારી આબોહવાવાળો ઇલાકો છે. ઉત્તર-દક્ષિણ ગુજરાત એ પ્રમાણમાં મીઠા પાણીવાળો અને વધુ હરિયાળો વિસ્તાર છે. કચ્છ અને કાઠિયાવાડ દાયકાઓથી પાણી માટે ઝઝૂમે છે. ભૌગોલિક મર્યાદા અને પડકાર મુજબ એ વિસ્તારોએ પોતાનાં આગવાં ફૂડ વિકસાવ્યાં છે. એક બીજી પણ વાત છે. કોઈ ફૂડ ચોક્કસ વિસ્તારમાં લોકપ્રિયતા ધરાવતું હોય તો એનું કારણ ત્યાંની આબોહવા અને પાણી હોય છે, તેથી ત્યાંની ખાદ્યચીજો એટલે કે ફૂડ આઇટમ્સમાં પણ એની અસર હોય છે. દાબેલી તમને કચ્છમાં જેટલી ભાવે કે ગાંઠિયા જેટલા કાઠિયાવાડમાં સ્વાદિષ્ટ લાગે એટલા એ અમદાવાદમાં ન લાગે એવું બની શકે. એનું કારણ એ છે કે માત્ર ખોરાકની સામગ્રી જ નહીં પણ એ વિસ્તારનાં પાણી અને આબોહવા પણ સ્વાદ પર નોંધપાત્ર અસર કરતાં હોય છે.
કાઠિયાવાડમાં ગાંઠિયા એટલા ખવાય છે કે કેટલાંક એને પ્રેમથી 'ગાંઠિયાવાડ' પણ કહે છે. કાઠિયાવાડમાં ગાંઠિયા સાથે મરચાં અને સંભારો મુખ્યત્વે અપાય છે. અમદાવાદમાં ગાંઠિયા સાથે કઢી અપાય છે, જે અલગ જ કોમ્બિનેશન છે. શક્ય છે કે ગાંઠિયા લુખ્ખા લાગતા હોય એટલે સાથે કઢીની શરૂઆત થઈ હોય. હવે તો ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ગાંઠિયા સાથે કઢીની પરંપરા શરૂ થઈ છે.
સેવ ટામેટાંનું શાક : દેશમાં ટામેટાંનું ઉત્પાદન પછી થયું, સેવ એનાં વર્ષો પહેલાં બનતી હતી
સેવ ટામેટાંનું શાક હવે તો દેશમાં ઠેકઠેકાણે મળે છે. સેવ ટામેટાંના શાકની ખરી મજા હાઇવે તરફના ઢાબામાં હોય છે. ત્યાં જે તીખુંતમતમતું સેવ ટામેટાંંનું શાક મળે છે એ સ્વાદદાર હોય છે. અલબત્ત, જેને તીખું માફક ન આવે એના માટે એ વર્જ્ય છે. સેવ ટામેટાંનું શાક ગુજરાતની શોધ છે. આપણે ત્યાં સેવનો નાસ્તા વગેરેમાં વ્યાપક ઉપયોગ થાય છે. એ સેવનો આપણે શાકમાં ઉપયોગ કર્યો અને બની ગયું સેવ ટામેટાંનું શાક. સૌથી રસપ્રદ વાત એ છે કે ભારતમાં ટામેટાં અંગ્રેજો લાવ્યા. ટામેટાં એ ભારતીય પેદાશ નથી. ટામેટાં ભારતમાં આવ્યાને દોઢસો વર્ષ જ થયાં છે. જ્યારે કે સેવ ગુજરાતમાં એનાં અનેક વર્ષો અગાઉથી બનતી હતી. આમ, સેવ ટામેટાંના શાકમાં સૌથી પહેલાં શોધાયેલી વસ્તુ સેવ છે.
કેરી : રસ, ફજેતો, મુખવાસ અને અથાણાં!
 કેરીની મોસમ હમણાં જ ગઈ. એક મણ કેસર કેરી ઘરમાં ભરી હોય ત્યારે આખું ઘર કેસરની સોડમથી મઘમઘવા માંડે. કેરીનો રસ કાઢવા માટે હવે તો મિક્સર, ગ્રાઇન્ડર વગેરે ઉપકરણો ઉપલબ્ધ છે. ઘરમાં છ-સાત જણા રસભોજન કરવાના હોય ત્યારે અગાઉ ઘરમાં કેરીનો રસ કાઢવાની પ્રક્રિયા કડાકૂટવાળી પણ રસપ્રદ હતી. કંતાન એટલે કે માદરપાટની ગુણના બારીક કપડામાં ગોટલાને ઘસી ઘસીને રસ કાઢવામાં આવતો હતો. સૌ પ્રથમ કંતાનને ધોઈને સ્વચ્છ કરી દેવામાં આવે. પછી મોટા તપેલાને મોઢું બંધાય એ રીતે ફરતે કંતાનને વીંટાળી દેવામાં આવે. ત્યારપછી કેરીને ઘોળીને એના પર રસધાર કરવામાં આવતી. ગર અને ગોટલાને કંતાન પર ફીણવામાં આવતો ફીણાયેલો રસ નીચે જે તપેલામાં એકઠો થતો એ રેસા વિનાનો રહેતો.
રસની વાત નીકળે એટલે ફજેતાનો ઉલ્લેખ કરવો પડે. રસ નિચોવાયા પછી ગોટલાને પાણીમાં નાખીને એનો થોડો ઘણો જે બચેલો રસ હોય એ પણ ઉપયોગમાં લઈ લેવાની કરકસરકલા એટલે ફજેતો. એ સ્વાદિષ્ટ પણ એટલો જ હોય છે. સ્વાદમાં ખટમધુર ફજેતાને સૂપની જેમ પોપ્યુલર કરવાની જરૂર છે. ફજેતો કર્યા પછી પણ ગોટલાને આપણે છોડતા નથી. એને સૂકવીને મુખવાસ બનાવીએ છીએ. ટૂંકમાં, રસ, ફજેતો અને મુખવાસ. કેરીને આ હદે ઉપયોગમાં લઈ લેવાનું ગુજરાતીઓને જ સૂઝી શકે! કાચી કેરીનાં અથાણાંની ગુજરાતીઓ પાસે જે રેસિપી રેન્જ છે એના માટે તો અલગ જ લેખ લખવો પડે.
ગુજરાતી થાળી : પરંપરા અને પરિવર્તનનો તાલમેલ
ગુજરાતી થાળીમાં ત્રણ પ્રકારનાં શાક, દાળ કે કઢી, કઠોળ, રોટલી કે ભાખરી કે થેપલાં, સંભારો, બે-ત્રણ ચટણી, પાપડ, ફરસાણ,દહીં કે છાશ, ભાત તેમજ મીઠાઈ હોય છે. સમગ્ર દેશમાં આટલી ભરપૂર થાળી બીજે ક્યાંય નથી બનતી, તેથી જ ગુજરાતી વ્યક્તિ કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર કે આસામ જાય ત્યારે થાળી વગર એ બિચારા ભૂખ્યા જ રહે છે. ત્રણ પ્લેટ ઢોંસા ખાઈ જાય કે બે પ્લેટ પાંઉભાજી ખાઈ જાય તોપણ તેને સંતોષ વળતો નથી.
નાના શહેર અને મોટા શહેરની હોટેલોમાં જે ગુજરાતી થાળી પિરસાય છે એનો સ્વાદ અલગ હોય છે. હોટેલ કે રેસ્ટોરાંમાં જે ગુજરાતી થાળી મળે છે એમાં સમય સાથે ઘણાં પરિવર્તન આવ્યાં છે. મજાની વાત એ છે કે એમાં જે પરિવર્તન આવ્યાં છે એમાં પરંપરાગત ગુજરાતી વસ્તુઓ જોખમાઈ નથી. ગુજરાતી થાળીમાં દાળ, ભાત, શાક, રોટલીનું સ્થાન અકબંધ છે. સાથે સાથે પંજાબી, દક્ષિણ ભારતીય, રાજસ્થાની અને ચાઇનીઝ આઇટમ્સ ઉમેરાઈ છે. ગુજરાતી થાળીની ધ્યાનાકર્ષક વિશેષતા એ છે કે એની સાથે અન્ય રાજ્યોની વેજિટેરિયન વાનગીઓ સહજતાથી ભળી જાય છે.
આજથી વીસ-પચીસેક વર્ષ અગાઉ મૂળભૂત ગુજરાતી થાળી જ હોટેલોમાં મળતી હતી. સૂપ, ચાઇનીઝ સમોસા, સ્પ્રિંગ રોલ,રાજસ્થાની ગટ્ટાનું શાક કે પંજાબી શાક અને પનીરની કોઈ આઇટમ્સ એમાં સામેલ નહોતા. ગુજરાતી થાળી સંર્વિધત થઈ એનું કારણ ગુજરાતનાં મોટાં શહેરોમાં વધેલી કોસ્મોપોલિટન વસતી તેમજ મુંબઈની ગુજરાતી રેસ્ટોરાંને એનો યશ આપવો પડે. અમદાવાદ, વડોદરા કે સુરતમાં વસતા નોન ગુજરાતી લોકોને જ્યારે રેસ્ટોરાંમાં ગુજરાતી થાળી ખાવાની ઇચ્છા થાય ત્યારે તેમને પરંપરાગત ગુજરાતી વસ્તુઓ સાથે અન્ય ફૂડ પણ જોઈએ. કારણ એ છે કે ગુજરાતી ફૂડથી થોડો ઘણો અસંતોષ રહી ગયો હોય તો પંજાબી કે રાજસ્થાની સબ્જી એનું સાટું વાળી દે. એ રીતે ગુજરાતી થાળીનું સ્વરૂપ વિસ્તર્યું. સમય જતાં થાળીમાં હજુ વધુ બદલાવ આવશે, પણ થાળીનો જે ગુજરાતી માંહ્યલો છે એ હંમેશાં જળવાયેલો રહેશે, કારણ કે ઇટલીમાં સેટ થયેલા ગુજરાતીને પિઝા દાઢે વળગ્યા હશે તોપણ ઓડકાર તો ગુજરાતી થાળીમાં જ આવે છે.       
૮+૩+૯+૯+૯+૯+૯ = છપ્પનભોગ!
છપ્પનભોગ વૈષ્ણવોની પરંપરા છે. હવેલીઓમાં છપ્પનભોગ થાય છે. પુષ્ટિમાર્ગમાં સમર્પણભાવનાનો એક પ્રકાર છે. જીવ ૮૪ લાખ યોનિમાં ભ્રમણ કરે છે. એમાં મનુષ્ય યોનિ બાદ કરીએ તો ૮૩,૯૯,૯૯૯ યોનિ રહે છે. જેમાં આંકનો સરવાળો ૮ + ૩ + ૯ + ૯ + ૯ + ૯ + ૯ = ૫૬ થાય છે. આ છપ્પનભોગ પ્રભુને સર્મિપત કરવાથી જન્મ-મરણના ચક્કરમાં ફરવું પડતું નથી.
એક ગણતરી મુજબ રાત્રિના 4 પ્રહર અને દિવસના 4 પ્રહર અને સપ્તાહના 7 દિવસ એટલે 4+4 = 8 અને 8 × 7 = 56. તેથી છપ્પનભોગ માટે આવો પણ એક તર્ક છે. 
જોકે, રસપ્રદ વાત તો એ છે છપ્પનભોગની કેટલીક મીઠાઈઓ મુગલ પરંપરાની છે. છપ્પનભોગ એ રીતે સરસ સાંસ્કૃતિક સમન્વય છે.


ગુજરાત અને પારસીઓ : ધાનશાકબ્રેડપાંઉ વગેરે...
ગુજરાતના જે હિન્દુ રજવાડા પરિવારોમાં નોન વેજ ફૂડનું પ્રચલન હતું, આઝાદી અગાઉના ગુજરાતમાં જ્યારે રજવાડાની પરંપરા હતી ત્યારે રાજા-મહારાજાઓ શિકારના શોખીન હતા. એ કંઈ પ્રાણીનો શિકાર કરીને, એની સાથે બંદૂક રાખીને ફોટા પડાવવા માટે જ શિકાર કરતા નહોતા. શિકારનું મહત્ત્વનું પ્રયોજન નોન વેજ ફૂડની મિજબાની હતું. એ સિવાય ગુજરાત એ શાકાહારી અને ફળાહારી રાજ્ય જ રહ્યું છે. ગુજરાત વેજિટેરિયન રાજ્ય છે એનું કારણ અહીં જૈન અને વૈષ્ણવ ધર્મની વ્યાપક અસર કહી શકાય. ગુજરાતમાં મુસ્લિમો જે નોન વેજ ખાય છે એનું પ્રમાણ પણ અન્ય રાજ્યોના મુસ્લિમો કરતાં ઓછું છે.
ગુજરાત એક તરફ વેજિટેરિયન રાજ્ય છે, તો ઈરાનથી આવીને ગુજરાતમાં વસેલા પારસીઓનો મુખ્ય ખોરાક નોન વેજિટેરિયન છે. એ રીતે ગુજરાત બે અંતિમોનું ફૂડકેન્દ્ર પણ છે. ધાનશાક પારસીઓનો મુખ્ય ખોરાક છે. એમાં જે નોન વેજ તત્ત્વ છે એ ઈરાનિયન છે જ્યારે કે શાક મોટાભાગનાં ગુજરાતી છે. આમ, ધાનશાક એ ગુજરાતી-ઈરાનિયન ફૂડ છે.
મહારાષ્ટ્ર હોય કે પંજાબ દેશના મોટાભાગના રાજ્યના કોઈ ને કોઈ નાસ્તામાં પાંઉ કે બ્રેડનો ઉપયોગ થાય જ છે. એવા કેટલાય પરિવારો છે જે સવારના નાસ્તામાં બ્રેડબટર કે સેન્ડવિચ લેતા હશે. ભારતની અંદર બ્રેડ કે પાંઉનું પહેલું પ્રાગટયસ્થાન પણ ગુજરાત જ છે. પાંઉ અને બ્રેડ એ બેકરી આઇટમ્સ છે. બેકરી આઇટમ્સ દેશને પારસીઓની દેણ છે. તેઓ ઈરાનથી ગુજરાત આવ્યા અને પાંઉ, બ્રેડ વગેરે આઇટમ્સ સૌ પ્રથમ ગુજરાતમાં બનવાની શરૂઆત થઈ. પારસીઓની નોંધપાત્ર વિશેષતા એ રહી છે કે તેઓ ઈરાનથી એ ગુજરાતમાં આવ્યા જેમના ખાનપાનમાં ખાસ્સો ફરક છે. આટલાં વર્ષે પણ પારસીઓએ પોતાનો મૂળભૂત ખોરાક જાળવી રાખ્યો છે એ મોટી વાત છે.

Web link
http://www.sandesh.com/article.aspx?newsid=3092827

છપ્પનવખારી : સિનેમાની નવી આબોહવા અને મણિ કૌલ


Sandesh - Ardh Saptahik Purti - 8 July 2015

છપ્પનવખારી - તેજસ વૈદ્ય

હિન્દી ફિલ્મોમાં હવે કોર્મિશયલ અને આર્ટહાઉસ તેમજ પેરેલલ ફિલ્મોના ભેદ ભૂંસાઈ રહ્યા છે. આ પ્રક્રિયા ખૂબ ધીમી પણ મક્કમ ઢબે થઈ રહી છે. 'હાઇવે', 'દેવ-ડી', 'લવ સેક્સ ઔર ધોખા', 'શિપ ઓફ થીસિયસએના દાખલા છે. તાજેતરમાં જ રજૂ થયેલી મરાઠી ફિલ્મ 'કિલ્લામહારાષ્ટ્ર સિવાયનાં રાજ્યોમાં પણ વાહવાહી મેળવી રહી છે. મરાઠી ફિલ્મ 'કોર્ટપણ સફળ રહી. ફિલ્મોમાં હવે અવનવા પ્રયોગો થવા માંડયા છે. ભારતીય સિનેમામાં મણિ કૌલ એકમાત્ર એવા ડિરેક્ટર હતા કે તેમના જેટલા પ્રયોગો અત્યાર સુધી કોઈએ કર્યા નથી. તેમણે ફિલ્મમેકિંગનું નવું મૌલિક વ્યાકરણ રચ્યું હતું. અનુરાગ કશ્યપઇમ્તિયાઝ અલી કબૂલે છે કે મણિ કૌલની ફિલ્મો જોઈને તેઓ ઘણું શીખ્યા છે. મણિ કૌલની સિનેસૃષ્ટિ સમજવા પ્રયાસ કરીએ


નેશનલ એવોર્ડ મેળવનાર મરાઠી ફિલ્મ 'કિલ્લા' ૨૬ જૂને ભારતમાં રજૂ થઈ. ફિલ્મ મરાઠી હોવા છતાં મહારાષ્ટ્ર સિવાયનાં રાજ્યોમાં પણ ખૂબ જોવાઈ રહી છે. અમદાવાદમાં તો બબ્બે અઠવાડિયાં સુધી હાઉસફુલ રહી. વિચારોકોઈ મરાઠી ફિલ્મ ગુજરાતનાં સિનેમાઘરમાં બબ્બે અઠવાડિયાં સુધી હાઉસફુલનાં પાટિયાં ઝુલાવે એ મોટી ઘટના જ કહેવાયને!
કિલ્લા ફિલ્મનું પહેલું દૃશ્ય રસપ્રદ છે. જ્યાં છેલ્લા કેટલાંક દિવસોથી વરસાદ પડી રહ્યો છે અને લીલોતરી છવાયેલી છે એવા નાના ગામના એક ઘર તરફ જતો સાંકડો રસ્તો દર્શાવાયો છે. કેમેરો ધીમે ધીમે એ રસ્તા તરફ આગળ વધે છે. બારેક સેકન્ડ સુધી માત્ર કેમેરો જ હરિયાળા રસ્તામાં આગળ ચાલતો રહે છે. ન કોઈ એક્ટરન કોઈ સંવાદ. 'ચેન્નાઈ એક્સપ્રેસઅને 'દબંગ'બ્રાન્ડ ફિલ્મો જોવા ટેવાયેલા દર્શકોને કદાચ મનોમન એમ થાય કે આ શું માંડયું છે. આ તો ફિલ્મ જેવું લાગતું જ નથી.
પહેલા જ સીનમાં માત્ર કેમેરા દ્વારા ફિલ્મમેકર એવું દર્શાવી દે છે કે એક અંતરિયાળ ગામ છેજ્યાં થોડા દિવસથી વરસાદ પડે છે. ગામ લીલુંછમ થઈ ગયું છે. આ દૃશ્ય માત્ર બે-ચાર સેકન્ડમાં પણ ડિરેક્ટર દર્શાવી શક્યા હોતપણ એના માટે બારેક સેકન્ડ જેટલો સ્વાભાવિક સમય ફાળવે છે. જે ઠહેરાવ છે એને ફિલ્મનું 'ટાઇમ' તત્ત્વ કહે છે. એ દરમિયાન દર્શક માત્ર જાણી જ નથી લેતો પણ માણી લે છે કે વાહ! સરસ ગામ છે.
'કિલ્લા'માં આવાં અનેક દૃશ્યો છે. જેમાં દૃશ્યો પોતે જ બોલે છે. એ અભિનેતા કે સંવાદના ઓશિયાળા નથી. ફિલ્મ ઓડિયો-વિઝ્યુઅલ એટલે કે દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ છે. જેનું પહેલું અને પાયાનું અંગ વિઝ્યુઅલ્સ એટલે કે દૃશ્યો છે. ફિલ્મમાં દૃશ્યાવલી પોતે જ મુખરિત થવી જોઈએ. મુખરિત થવી એટલે બોલવી જોઈએ. એક્ટર્સ અને સંગીત એમાં સહાયરૂપ થવાં જોઈએતેથી જ સાચી ફિલ્મ એ છે કે એનો સાઉન્ડ તમે બંધ કરીને મૂંગી પણ માણી શકો. ફિલ્મની સમગ્ર કથાને પામી શકો. 'કિલ્લા'ની મજા જ એ છે કે એ મરાઠી હોવા છતાં વૈશ્વિક બોલી બોલે છે. એની ભાષા વિઝ્યુઅલ્સ પોતે છે, નહીં કે મરાઠીતેથી જ ગુજરાતી હોય કે તેલુગુ દરેક વ્યક્તિ એ માણી શકે છે. સિનેમામાં આ પ્રકારના પ્રયોગ માટે મણિ કૌલ પાયાનું નામ છે.
મણિ કૌલ! એ વળી કોણ?
સિનેમામાં હવે કમર્શિયલ, પેરેલલ, આર્ટહાઉસ એવી ભેદરેખાઓ ધીમે ધીમે ભૂંસાઈ રહી છે. એમાં 'કિલ્લાજેવી ફિલ્મો મોટો રોલ ભજવે છે. 'કિલ્લા' જોઈએ એટલે મણિ કૌલ યાદ આવે. મણિ કૌલ ૨૦૧૧માં જ દુનિયા છોડી ગયા.
થોડાં વર્ષ પહેલાં ઓસિયાન ફિલ્મ સમારંભમાં ફિલ્મ એપ્રિસિએશન વિશે એક વ્યાખ્યાન યોજાયું હતું. મણિ કૌલ એમાં વક્તા હતા. કાર્યક્રમના સંચાલકે જ્યારે મણિ કૌલનો પરિચય આપતાં કહ્યું મણિ અત્યારના સમયના શ્રેષ્ઠ ડિરેક્ટર છે." સંચાલકનું આ વાક્ય સાંભળીને દર્શકોમાં બેઠેલા યુવાઓના કપાળે આશ્ચર્યચિહ્ન સર્જાઈ ગયું. મણિ કૌલ! એ વળી કોણ૯૦ના દાયકામાં તેમજ એ પછી જે પેઢી જુવાન થઈ છે તેમણે મણિ કૌલનું નામ ભાગ્યે જ સાંભળ્યું હશે. તેમની મહાનતા પણ તેમની ફિલ્મોની જેમ બોલકી નથી.
મણિ કૌલ એવા ડિરેક્ટર હતા જેમણે ફિલ્મ દર્શાવવાની પોતાની શૈલી એટલે કે આગવું ગ્રામર વિકસાવ્યું હતું. એ ગ્રામર પણ ભારતીય હતુંહોલિવૂડિયું નહીં. મણિ કૌલની ફિલ્મોમાં સૌ પ્રથમ દૃશ્યો બોલે છે. શબ્દો એની પાછળ પાછળ આવે છે અને પૂરક બને છે. સિનેમામાં લાઘવકલા એટલે કે ડાયલોગ વગર કહેવાની કલા મણિ કૌલે જેટલી સરસ રીતે ઉપયોગમાં લીધી છે એટલી ભાગ્યે જ કોઈ ડિરેક્ટરે લીધી હશે.
ફોર્મ્યુલા ફિલ્મોની ચ્યુઇંગ ગમ
ધીમે ધીમે સારા બદલાવ આવી રહ્યા છે, પણ હિન્દી સિનેમામાં દર્શકો ફોર્મ્યુલા એટલે કે ઢાંચાની બહારની ફિલ્મો જોવા ટેવાયેલા નથી. સૌથી કંગાળ બાબત તો એ છે કે ફિલ્મો સ્ટાર્સ થકી જ વધુ ચાલે છે. સરેરાશ કથાનક ધરાવતી પણ મોટો સ્ટાર ધરાવતી ફિલ્મો વધુ ચાલે છેજ્યારે કે મજબૂત કન્ટેન્ટ ધરાવતી સ્ટારવિહીન ફિલ્મો નબળી કહેવાય છે. ફિલ્મ જોવા જનારા સરેરાશ વ્યક્તિની ડિમાન્ડ એવી હોય છે કે એમાં મસાલો હોવો જોઈએડ્રામા હોવો જોઈએ, શાહરુખ-સલમાન-દીપિકા હોવાં જોઈએ,ઢેંટેણેને-ઢીશૂમ ઢીશૂમ હોવું જોઈએ, અનરિયાલિસ્ટિક રોમાન્સ એટલે કે હવાઈ પ્રેમ હોવો જોઈએ. યાદ રહે કે સરેરાશ ફિલ્મોની વાત છેઆમાં સુખદ અપવાદો હોય છે. વર્ષોથી દર્શકો અને ફિલ્મમેકર્સે આ જ સમીકરણ સેટ કરી દીધાં છે. દર્શકોની આંખો આ જ ફોર્મ્યુલા ચ્યુઇંગ ગમ ચાવ્યા કરે છે. કોઈક ફિલ્મકાર કંઈક નવું પ્રયોગશીલ અને ર્માિમક કરે તો એની કૃતિને ટિકિટબારી એવી રીતે ઉતારી પાડે છેજાણે એ નાત બહારની હોય. એને વાહિયાત ગણવામાં આવે છે.

દર્શકોનો ટેસ્ટ એન્ટરટેઇનમેન્ટ, ડ્રામા, સ્ટાર વેલ્યૂ વગેરે પર જ વર્ષોથી સ્થિર થઈ ગયો છે એમાં વાંક દર્શકોનો નથી. વાંક ફિલ્મમેકર્સનો છે. 'લોકોને આવું જ ગમે છેએટલે આવું જ પીરસોનામનો જે સિન્ડ્રોમ છે એનો ફિલ્મમેકર્સ વર્ષોથી શિકાર છે. એના બચાવમાં એવી દલીલ થાય છે કે પ્રોડયુસર્સ તો કરોડો દાવ પર લગાવીને બેઠા હોય છે. જોખમ શા માટે ઉઠાવેતો એની સામે દલીલ એ છે કે ફિલ્મ તો માધ્યમ જ ક્રિએટિવિટીથી ફાટફાટ કલાનું છે. એ કાંઈ શેરબજાર તો છે નહીં. જો દર્શકોને પ્રયોગો ગમતા જ ન હોય તો અનુરાગ કશ્યપ 'દેવ ડી' કે 'ગેંગ્સ ઓફ વાસેપુરબનાવે જ નહીં. ઇમ્તિયાઝ અલી 'હાઇવેબનાવે જ નહીં. દીપા મહેતા 'વોટરબનાવે જ નહીં.
ફિલ્મ જોવા માટે દર્શકો જે રીતે ટેવાયેલા છે એ રીતે મણિ કૌલની ફિલ્મો ન જોઈ શકાય. તેમની ફિલ્મો નિહાળવાની નવી શિસ્ત માગે છે. જો થોડી ધીરજ સાથે એ ફિલ્મો નિહાળવામાં આવે તો એ ફિલ્મો પોતે જ એ શિસ્ત દર્શકોને શીખવે છેદર્શકોને કેળવે છે.
મણિ કૌલ એવા ફિલ્મમેકર હતા, જેમનું નામ સમય જતાં વધુ ગાજવા માંડશે. મણિ કૌલને દાદ દેનારા ભારત કરતાં વિદેશમાં વધુ પડયા છેપણ આપણે ત્યાં બદલાઈ રહેલી આબોહવા કહે છે કે આપણે ત્યાં દાદ દેનારો વર્ગ વધી રહ્યો છે. અનુરાગ કશ્યપ, ઇમ્તિયાઝ અલીઅવિનાશ અરુણચૈતન્ય તમ્હાણે(ફિલ્મ 'કોર્ટ'નો ડિરેક્ટર) વગેરે આબોહવા બદલી રહ્યા છે.
મણિ કૌલ એવા પ્રયોગકર્મી અને પ્રગતિશીલ ડિરેક્ટર હતા કે તેમની દરેક ફિલ્મો દીવાદાંડી છે. ફિલ્મ માત્ર જોવાની નહીં,નિહાળવાની હોય છે. જોવું અને નિહાળવું એ બે અલગ બાબત છે. ચિત્રપ્રદર્શનીમાં ચિત્રો જોવાનાં નહીંનિહાળવાનાં હોય છે. જે વ્યક્તિ ચિત્રની બારીકાઈને નિહાળે એની દૃષ્ટિ ધીમે ધીમે માલામાલ થવા માંડે છે. મણિ કૌલની ફિલ્મો પણ એવી જ છે. એ નિહાળો એટલી દૃષ્ટિ માલામાલ થાય. તેમની ફિલ્મો જીવન જોવાનો દૃષ્ટિકોણ કેળવે છે.


ઋત્વિક ઘટક અને મણિ કૌલ
૧૯૬૯માં માત્ર ૨૫ વર્ષની ઉંમરે તેમણે હિન્દીના વિખ્યાત કથાકાર મોહન રાકેશની વાર્તા 'ઉસકી રોટીપરથી એ જ નામની ફિલ્મ બનાવી હતી. એ ફિલ્મ દ્વારા તેમણે હિન્દી સિનેમાને પોપ્યુલર સિનેમાની વ્યાખ્યામાંથી બહાર કાઢીને પેરેલલ એટલે કે સમાંતર સિનેમાનો નવો રાહ બતાવ્યો હતોજ્યારે 'ઉસકી રોટીરજૂ થઈ ત્યારે લોકોએ એવી ટીકા કરી કે ફિલ્મ એકદમ ધીમી અને કંટાળાજનક છે. દૃશ્યોની વચ્ચે ભાગ્યે જ સંભળાતા સંવાદમાં કેટલાંકને અસહજતા લાગી. ત્યારે કોઈને એવું ન સમજાયું કે શબ્દોને ફિલ્મમાં આ રીતે ઠહેરાવ સાથે પ્રયોજવા એનો અર્થ અને મર્મ હોય છેફિલ્મ માત્ર ગતિથી જ નથી બનતી એનાં દૃશ્યોની શાંત સ્થિતિ પણ કંઈક કહેતી હોય છે. એની પાસે આંખ-કાન માંડતાં કેળવાવંુ પડે.
મણિ કૌલ એફટીઆઇઆઇ(ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા)માં સ્ટુડન્ટ હતા ત્યારે બંગાળના ઊંચા ગજાના ફિલ્મમેકર અને 'મેેઘે ઢાકા તારાજેવી બેનમૂન ફિલ્મ બનાવનાર ઋત્વિક ઘટક તેમને ભણાવતા હતા. ઘટકના ફેવરિટ શિષ્ય મણિ કૌલ હતા. ગુરુ-શિષ્યમાં સામ્ય એ છે કે ઋત્વિક ઘટકની ફિલ્મો અને મણિ કૌલની ફિલ્મોનો દર્શકવર્ગ મર્યાદિત છે.
ઋત્વિક ઘટક ઉપરાંત રશિયન ફિલ્મકાર તારકોવ્સ્કીથી પણ મણિ કૌલ પ્રભાવિત હતા. મજાની વાત એ છે કે મણિ કૌલેઋત્વિક ઘટક અને તારકોવ્સ્કીના આભાવર્તુળમાંથી બહાર નીકળીને પોતાનો નવો માર્ગ તૈયાર કર્યો હતો. સિનેમાનું નવું વ્યાકરણ રચ્યું હતું. તેમની ફિલ્મોમાં ટેક્નિક અને નરેશન(કથન-વિઝ્યુઅલ વર્ણન) નોખી જ ઢબે જોવા મળે છે. તેમની ફિલ્મો ડોક્યુમેન્ટરી અને ફીચર ફિલ્મનું કોમ્બિનેશન છે. આ પ્રકારનું ફોર્મેટ તેમની નબળાઈ નહીંપણ નાવીન્ય અને મજબૂતી હતું.
મણિ કૌલની મિતા વશિષ્ઠને ચમકાવતી ફિલ્મ 'સિદ્ધેશ્વરી' જોશો તો એ સમગ્ર ફિલ્મમાં કેમેરા મૂવમેન્ટ ધ્યાન ખેંચે એવી છે. તમે કોઈ રમણીય સ્થળે ગયા હો અને ધીમે ધીમે ટગર ટગર એ સ્થળને નિહાળતા હો એ રીતે ફિલ્મનાં દૃશ્યો ફિલ્માવાયાં છે. ફિલ્મમાં બનારસના ઘાટગંગા અને ત્યાંની ઇમારતોની આસપાસ જે રીતે અંગડાઈ લેતો કેમેરો દૃશ્યો ઝીલે છે અને પડદા પર એ દૃશ્યો રજૂ થાય છે ત્યારે દર્શક માટે એ નોખી અને નવી જ અનુભૂતિ બની રહે છે. 'સિદ્ધેશ્વરીબનારસના વિખ્યાત ગાયિકા સિદ્ધેશ્વરીદેવી પર આધારિત ફિલ્મ હતી.
ફિલ્મને ટોટાલિટીમાં રજૂ કરવાની કલા
મણિ કૌલની માસ્ટરી એ છે કે એ હિરોઇનને દૃશ્યમાં રજૂ કરશે તો એનો ચહેરો તરત નહીં બતાવે. ઘરની દીવાલ પર તેનો ટેકવેલો હાથ પહેલાં દેખાડશે. એ પછી ચહેરો દર્શાવ્યા વગર જ એના સંવાદો સંભળાશે. તેઓ કેમેરાને પાત્રોના ચહેરા પર કેન્દ્રિત કરવા કરતાં હીરો કે હિરોઇનનાં હાથપગઆંગળીઓ વગેરે પર કેન્દ્રિત કરતા. આ રીતે તેની આસપાસની સ્થિતિ દર્શાવીને છેક છેલ્લે તે હિરોઇનની મુંહ દિખાઈ કરાવશે. એ દરમ્યાન દર્શક પામી લે છે કે એ ફિલ્મમાં તે શું છેક્યાંની છેએનું ઘર કેવું છેઘરમાં એની સ્થિતિ શું છે વગેરે. મણિ કૌલ ફિલ્મમાં જેટલું મહત્ત્વ કલાકારોને આપે એટલું જ મહત્ત્વ ખુલ્લી જગ્યાઆસપાસ સંભળાતા અવાજને આપે. સ્વાભાવિક ઢંગથી તેઓ દૃશ્ય રજૂ કરતા હતા. ફિલ્મને તેઓ માહોલની સંપૂર્ણતયામાં એટલે કે ટોટાલિટીમાં નિહાળતાબોલિવૂડની જેમ માત્ર અભિનેતાઓના અભિનય અને સંવાદથી જ તેઓ પ્રસંગ અને ઘટનાને ન આટોપી લેતા.
ઉપરાંત સાહિત્યચિત્રકળાકવિતા અને સંગીત જેવાં કલાતત્ત્વોની મજેદાર રજૂઆત તેમની ફિલ્મોમાં જોવા મળે છે. ફિલ્મ'સિદ્ધેશ્વરી'માં કાવ્ય, 'ધ્રુપદ'માં સંગીત, 'દુવિધા'માં 'ચિત્રકલા', 'સતહ સે ઉઠતા આદમી'માં 'વાસ્તુશિલ્પ'નું પ્રભુત્વ બળૂકી રીતે રજૂ થયું છે. એ રીતે તેઓ દૃશ્યો અને કહાણીને વધુ પ્રભાવી બનાવતા હતા.
મણિ કૌલની ફિલ્મોમાં જે મીઠાશપૂર્વક હિન્દી ભાષા રજૂ થઈ છે એના પર તો સંશોધન કરી શકાય એમ છે. તમે ફિલ્મ 'દુવિધા'નિહાળો તો માલૂમ પડે કે આહા! હિન્દી આટલી મધઝરતી ભાષા છે! મણિ કૌલ મૂળે રાજસ્થાનના જોધપુરમાં જન્મેલા કાશ્મીરી હતા. તેમણે ફિલ્મોમાં હિન્દીને એવી રીતે રજૂ કરી જાણે એ ફિલ્મોનો મુખ્ય વિષય ભાષા હોય. તેમની કેટલીક ફિલ્મો હિન્દી સાહિત્ય પરથી પ્રેરિત છે. સિનેમા ભાષા વિશે વિચાર કરે છે એવું એમાંથી પ્રતિબિંબિત થવું જોઈએ. અત્યારની કઈ ફિલ્મ કે ટીવી સિરિયલ જોઈને એના વિશે એવું કહી શકાય કે એ ફિલ્મ કે સિરિયલ ભાષા વિશે વિચારે છે! 'સતહ સે ઉઠતા આદમીતો કાવ્યાત્મક કટાક્ષિકા છે, જે હિન્દીના સાહિત્યકાર ગજાનન માધવ મુક્તિબોધની કૃતિ પરથી પ્રેરિત છે. મણિ કૌલે હિન્દીની સાહિત્યકૃતિઓ પરથી ફિલ્મો બનાવી છે. તેમણે નવલકથાવાર્તા અને નિબંધો પરથી ફિલ્મો રચી છે. તેઓ માનતા કે જે સાહિત્યકૃતિ છે એ ફિલ્મમાં મૂળભૂત રીતે રજૂ થવી જોઈએ. એની મૂળભૂતતા જાળવીને ડિરેક્ટરે પોતાનો કસબ દર્શાવવાનો હોય છે.
તમે નિરીક્ષણ કરશો તો ભારતીય ફિલ્મો નાટક પરંપરા પર જ ટકેલી છે. ફિલ્મોેએ પોતાની આગવી રજૂઆતશૈલી વિકસાવી નથી. જે રીતે નાટકમાં સીન અને સ્ક્રિપ્ટ લખાય છે એ રીતે જ ફિલ્મના સીન અને સ્ક્રિપ્ટ લખાય છે. નાટક જીવતાંજાગતાં કિરદારો સાથે લાઇવ રજૂ થાય છે. ફિલ્મમાં પહેલાં શૂટિંગ થાય છે અને પછી પડદે રજૂ થાય છે. આટલાં વર્ષોમાં ફિલ્મે પોતાનું વિશિષ્ટ સ્વરૂપ વિકસાવ્યું જ નથી. મણિ કૌલ ભારતીય સિનેમામાં ન્યૂ વેવ ફિલ્મોના પ્રહરી હતા. તેમણે સિનેમાને નવી ભાષા, ભાવ અને નવી અભિવ્યક્તિ આપી.        
'ઉસકી રોટીનહીં, 'અપના હલવાબનાઓ
જાની રાજકુમાર મણિ કૌલના કાકા હતા. બંને અલગ અલગ પેટર્નની ફિલ્મ સાથે સંકળાયેલા હતા. એક ફિલ્મી પાર્ટી દરમ્યાન બંને ભેગા થઈ ગયા. રાજકુમારે પોતાની અદાયગીભરી સ્ટાઇલમાં કહ્યું કે મણિ-જાનીસુના હૈ તુમને ફિલ્મ બનાઈ હૈ... 'ઉસકી રોટી'.ક્યા હૈ યહ? રોટી કે ઉપર ફિલ્મઔર વો ભી ઉસકી રોટીતુમ મેરે સાથ આ જાઓ. હમ મિલકર અપની ફિલ્મ બનાયેંગે, 'અપના હલવા'.
મણિ કૌલ અને ધ્રુપદ સંગીત
મણિ કૌલના વ્યક્તિત્વનું સૌથી મજબૂત પાસું એ પણ હતું કે તેઓ સંગીતની ધ્રુપદ પરંપરાના શાગિર્દ હતા. તેઓ ધ્રુપદ સંગીત શીખ્યા અને કેટલાય દેશી-વિદેશી શિષ્યોને પણ શીખવ્યું. ધ્રુપદ ભારતીય શાસ્ત્રીય સંગીત પરંપરાનું સૌથી પ્રાચીન સંગીત છે. ધ્રુપદ ગાનારા અને સાંભળનારાની સંખ્યા ખૂબ જૂજ છેકારણ કે એ ધીરજની અખૂટ કસોટી માગી લેતું સંગીત છે. તેમણે ધ્રુપદ પર એક ફિલ્મ પણ તૈયાર કરી હતીજેને નેશનલ એવોર્ડ મળ્યો હતો.

મણિ કૌલે સાહિત્યિક કૃતિઓ પરથી ફિલ્મો બનાવી અને છતાં ફિલ્મમેકિંગની પોતાની એક મૌલિક સ્ટાઇલ વિકસાવી. તેમણે દાખલો બેસાડયો. સિનેમાના સ્ક્રીન પર કોઈએ સુંદરતાપૂર્વક દૃશ્યો ચીતર્યાં હોય તો એ મણિ કૌલ છે.
-ગુલઝાર


મણિ કૌલ ભારતના એવા મહાન ફિલ્મકાર હતા, જેની ફિલ્મો વિશે ભારતીયો કરતાં યુરોપિયન લોકો વધુ જાણે છે.
- અનુરાગ કશ્યપ

મણિ કૌલની મહત્ત્વપૂર્ણ ફિલ્મો
મણિ કૌલે વીસ કરતાં વધુ ફિલ્મો બનાવી છે. જેમાંની મોટા ભાગની ફિલ્મોને દેશ-વિદેશના એવોર્ડ મળી ચૂક્યા છે. તેમની ફિલ્મો ભારતનાં સિનેમાઘરો કરતાં વિદેશનાં સિનેમાઘરોમાં રજૂ થઈ છે. કેટલીક ફિલ્મોની વિગત જોઈએ.
ઉસકી રોટી (૧૯૬૯)
(મોહન રાકેશની હિન્દી વાર્તા પર આધારિત આ ફિલ્મને ન્યૂ વેવ સિનેમાની પાયાની ફિલ્મ ગણવામાં આવે છે.)
દુવિધા (૧૯૭૩)
(રાજસ્થાની કહાણીકાર વિજેયદાન દેથાની કહાણી પર આધારિત હતી, જેને નેશનલ એવોર્ડ મળ્યો હતો. શાહરુખ ખાન-રાની મુખર્જીને ચમકાવતી અમોલ પાલેકરની ફિલ્મ 'પહેલી' પણ એ જ કહાણી પર આધારિત હતી.)
નઝર (૧૯૮૧)
(શેખર કપૂરસુરેખા સિકરી અને સંભાવી કૌલને ચમકાવતી આ ફિલ્મ રશિયન સાહિત્યકાર પ્યોદોર દોસ્તોયેવસ્કીની વાર્તા 'ધ મીક વન' પર આધારિત હતી)
સિદ્ધેશ્વરી (૧૯૮૯)
(બનારસનાં મહાન શાસ્ત્રીય ગાયિકા સિદ્ધેશ્વરીદેવીનાં જીવન પર આધારિત આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો હતો. )
સતહ સે ઉઠતા આદમી (૧૯૮૦)
(આ ફિલ્મ હિન્દીના સાહિત્યકાર ગજાનન માધવ મુક્તિબોધની કૃતિ પરથી પ્રેરિત છે.)
ઇડિયટ (૧૯૯૨)

(શાહરુખ ખાનને ચમકાવતી આ ફિલ્મ ફ્યોદોર દોસ્તોયવસ્કીની કૃતિ પર આધારિત હતી.)

Web link of Article

http://www.sandesh.com/article.aspx?newsid=3095856